ગુજરાતનું 2026-27નું સંપૂર્ણ અંદાજપત્ર અને સમીક્ષા गुजरात का पूरा बजट 2026-27 और रिव्यू Gujarat’s full budget for 2026-27 and review
અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026
2026-27નું રૂ.4,08,053 કરોડનું અંદાજપત્ર 18 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. 2025-26નું અંદાજપત્ર 3 લાખ 70 હજાર 250 કરોડનું હતું. ગયા વર્ષ કરતાં 37 હજાર કરોડ વધારે નાણાં ફળવાયા છે. અંદાજપત્રના કદમાં ગત વર્ષની સરખામણીએ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
3 ક્ષેત્રોમાં નાણાં પ્રવાહ ઘટાડી દેવાયો છે. અંદાજપત્રમાં કોઈ નવો વેરો નથી પણ રૂ. 11 હજાર કરોડની રાહત આપવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈ સતત 5મી વખત અંદાજપત્ર રજૂ કર્યું હતું.
હવામાન ફેરફારોથી વધુ વરસાદ, વાવાઝોડા અને દરિયાની વધતી સપાટી છતાં તે માટે દુર્લક્ષ છે. ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂતો આર્થિક સંકટમાં ડૂબેલા છે,
અંદાજપત્ર રજૂ થાય તે પહેલા વિધાનસભા બહાર કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં કોંગ્રેસે ખેડૂતોની દેવા માફ કરવાની,ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની , સમાન કામ અને સમાન વેતનની, રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની અને ST, SC વસ્તી મુજબ અંદાજપત્ર ફાળવવા આવે તેવી માંગ કરી હતી. અંદાજપત્રમાં વચનો આપ્યા છે, પણ પળાતા નથી. ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોને રાહત મળે તેવી આશા. અંદાજપત્ર વાસ્તવિકતા કરતા આભાસી છે.
જનતાની અનેક અપેક્ષાઓ પર સરકારે પાણી ફેરવ્યું . અંદાજપત્રમાં પાક વીમા યોજનાનો એક શબ્દ પણ નથી .અમિત ચાવડાએ અંદાજપત્રને ખેડૂત-વિરોધી ગણાવ્યું SC-ST સમાજ માટે નહિવત્ વધારો થયો છે. ખેડૂતો અને વંચિત વર્ગને નિરાશ કરનારું અંદાજપત્ર છે.
અમદાવાદને ઓલમ્પીક શહેર બનાવવા માટે રૂ.1278 કરોડ ખર્ચ કરાશે.
સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું રૂ.4 લાખ 8 હજાર 53 કરોડનું (રૂ.4,08,053 કરોડ) ફાળવણી કરી હતી.
મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગેમ્સ અને ઉદ્યોગોના નામે આંકડા રજૂ કરીને વિકાસનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે. રોજગાર, કૃષિ, મોંઘવારી અને સામાજિક સુરક્ષા જેવા મૂળ પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે. અંદાજપત્ર જનતાને ન્યાય આપતું નહીં, પરંતુ જાહેરાતો અને પ્રચારથી ભરેલું દસ્તાવેજ છે. ફરી ગુજરાતને સપનાઓ બતાવ્યા છે. સરકારની પ્રાથમિકતાઓ જનહિતથી દૂર હોવાનું સ્પષ્ટ કરે છે.
જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું અંદાજપત્ર રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું અંદાજપત્ર સ્પષ્ટ કરે છે. મોંઘવારી વધારવાનું અને બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. જમીન પર સામાન્ય લોકો માટે રાહત જોવા મળતી નથી. 2047ના સપના બતાવવામાં આવે છે, જ્યારે આજની હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી છે.
આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત અંદાજપત્રમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં અંદાજપત્રમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે.
મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. અન્ય રાજ્યોમાં ગેસ સિલિન્ડર સસ્તા આપવાની યોજનાઓ અમલમાં છે, પરંતુ ગુજરાતની બહેનો માટે ગેસના બાટલામાં રાહત કે માસિક સહાય જેવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે.
યુવાનો અને કામદારો માટે પણ આ અંદાજપત્ર નિરાશાજનક છે.
મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.
સામાજિક ન્યાયમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો માટે વસ્તીના પ્રમાણમાં યોગ્ય ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનમાં વધારો કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી.
2463 નવી બસો મૂકાશે
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 AC ઈલેકટ્રીક બસ મૂકવામાં આવશે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતા ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીની બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ રૂ.1286 કરોડની જોગવાઇ.
કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ.97 કરોડની જોગવાઇ.
અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે રૂ.32 કરોડની જોગવાઇ.
જૂની શરતની જમીનોની નવી વ્યાખ્યા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્ત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીન હવે સ્વમેળે ‘જૂની શરત’ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.
ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે રૂ.60 કરોડની જોગવાઇ.
રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં 20444 જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ અંદાજપત્રમાં રૂ.1571 કરોડની જોગવાઇ.
દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી
ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.100 કરોડની જોગવાઇ કરું છું.
ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન
ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે રૂ.5600 કરોડની જોગવાઇ.
‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ માટે 800 કરોડની ફાળવણી
રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે રૂ.800 કરોડની જોગવાઇ.
2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કર્યું
ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 236 કરોડની જોગવાઈ
વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ.236 કરોડની જોગવાઇ કરું છું.
“સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી કરાશે
સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1 હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.
સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે
સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્લાન.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે 95 કરોડની જોગવાઈ
ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. PM મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.95 કરોડની જોગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત(Wed in Gujarat)” કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.
“અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” જાહેર
અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત રૂ.300 કરોડની જોગવાઇ.
ભક્તો માટે મોટી જાહેરાતો
પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.55 કરોડની જોગવાઇ સૂચવું છું.
સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.60 કરોડની જોગવાઇ કરું છું.
રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે 447 કરોડની ફાળવણી.
કડાણા ડેમ સોલર પ્રોજેક્ટ માટે 150 કરોડની ફાળવણી
રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે રૂ.150 કરોડની જોગવાઇ.
અંબાજીમાં કોપર પ્રોજેક્ટ માટે 613 કરોડની ફાળવણી
આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે રૂ.613 કરોડની જોગવાઇ.
લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા રૂ.300 કરોડની જોગવાઇ
તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે રૂ.300 કરોડની જોગવાઇ.
રાજ્યના નાગરિકોની મુશ્કેલી ઓછી થશે…
Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે રૂ.100 કરોડની ફાળવણી.
“ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન”ની જાહેરાત
રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂ.100 કરોડની જોગવાઇ.
State Disaster Mitigation Fund બનાવાશે
ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરાશે. જેના માટે રૂ.1855 કરોડની ફાળવણી.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનું ફંડ વધાર્યું
નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ 17% જેટલો વધારો કરી રૂ.16 હજાર 116 કરોડની જોગવાઇ.
સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાશે
રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂ.100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.
5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે
રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.
અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે
આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ રૂ.1278 કરોડની જોગવાઇ.
મહિલાઓ માટે કઈ કઈ જાહેરાત
GYAN ના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે.
– મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા રૂ.47 કરોડની જોગવાઇ.
– સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા રૂ.45 કરોડની જોગવાઇ કરું છું.
પૂરક પોષણ યોજના માટે 972 કરોડની ફાળવણી
3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત રૂ.972 કરોડની જોગવાઇ.
નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે રૂ.1250 કરોડની જોગવાઇ.
“નમો કૌશલ્ય લક્ષ્મી યોજના”ની જાહેરાત
મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે રૂ.40 કરોડની જોગવાઇ.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે મોટી ફાળવણી
વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે રૂ.2848 કરોડની જોગવાઇ.
6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર
રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે રૂ.2000 કરોડની જોગવાઇ કરું છું.
વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ
50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં રૂ.10 હજાર કરોડની જોગવાઇ. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
બે એક્સપ્રેસ વે માટે વધુ 3000 કરોડની જોગવાઈ
રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ રૂ.3000 કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.
ધોલેરા માટે મહત્ત્વની જાહેરાતો
ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમીકોન હબ ગુજરાતને Chip ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા SIR ખાતે ફેઝ-1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ રૂ.610 કરોડની જોગવાઇ.
સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂ.1237 કરોડ
દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.1237 કરોડ, સૌની યોજના માટે રૂ.473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.1333 કરોડ એમ કુલ રૂ.3043 કરોડની જોગવાઇ.
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે રૂ.958 કરોડની જોગવાઇ.
મત્સ્ય ઉદ્યોગ માટે શું?
રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂ.1340 કરોડની જોગવાઇ.
ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ
પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે રૂ.500 કરોડની જોગવાઇ.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત
ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા રૂ.1539 કરોડની જોગવાઇ કરું છું.
4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે
સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે રૂ.112 કરોડની જોગવાઇ.
ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી
– ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.1565 કરોડની જોગવાઇ.
– વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે રૂ.39 કરોડની જોગવાઇ.
– રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂ.12 કરોડની જોગવાઇ.
GIDC માટે મોટી જાહેરાત
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં રૂ.1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.
પાંચ નવી GIDC બનશે
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.
ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત રૂ.67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂ.2755 કરોડની ફાળવણી.
ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરાશે
રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું.
હસ્તકલા માટે મોટો નિર્ણય
રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે I-HUb સ્થપાશે
અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે રૂ.80 કરોડની જોગવાઇ.
MSME માટે રૂ.1775 કરોડની જોગવાઇ
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે રૂ.1775 કરોડની જોગવાઇ સૂચવું છું.
સંકલિત શાળાઓ બનાવાશે
‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય’ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે રૂ.120 કરોડની જોગવાઇ સૂચવું છું.
નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવાશે
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ અંદાજપત્રમાં રૂ.100 કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયો છે. જેના માટે રૂ.250 કરોડની જોગવાઇ.
દિવ્યાંગજનો માટે મોટી જાહેરાત
દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જોગવાઈ.
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ.226 કરોડની જોગવાઇ
કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા રૂ.226 કરોડની જોગવાઇ સૂચવું છું.
એપ્રેન્ટિસ કરતાં તાલીમાર્થીઓએ ભથ્થું આપવા માટે 80 કરોડની જોગવાઈ
યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂ.3000 સુધીની સહાય આપવા રૂ.80 કરોડની જોગવાઇ સૂચવું છું.
LD કોલેજમાં રિસર્ચ પાર્ક માટે 51 કરોડની ફાળવણી
રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા રૂ.51 કરોડની જોગવાઇ.
SC-ST અને અન્ય અનામત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂ.2160માં રૂ.340નો વધારો કરી રૂ.2500 કરવાની જાહેરાત.
નવી 926 પીએમ શ્રી શાળાઓ શરુ કરાશે
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક રૂ.2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા રૂ.2 લાખ 50 હજારથી વધારીને રૂ.6 લાખ કરવાની જાહેરાત કરાઈ છે.
– શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરાશે, નવા 121 કેન્દ્ર શરૂ થશે
– 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂ.260 કરોડની જોગવાઇ
VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી
– VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ રૂ.1500 કરોડની ફાળવણી.
શિષ્યવૃત્તિ માટે 5967 કરોડની ફાળવણી
– ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂ.5967 કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી
‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે રૂ.3472 કરોડની જોગવાઇ.
હાયર એજ્યુકેશન લોન માટે 869 કરોડની ફાળવણી
નાણામંત્રીએ કહ્યું કે સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ રૂ.869 કરોડની જોગવાઇ કરું છું.
આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે રૂ.360 કરોડની જોગવાઇ સૂચવું છું.
GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ખાસ જોગવાઈ
GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ અંદાજપત્રમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.
‘ઘર સૌના માટે’ : આવાસ યોજના માટે 4272 કરોડની જોગવાઈ
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે રૂ.4272 કરોડની જોગવાઇ સૂચવું છું.
દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2%
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક રૂ.3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ગુજરાત પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકેની નીતિઓ જાહેર
પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.
પીએમ મોદીના સંકલ્પનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વિકસિત ભારત@2024 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.
અંદાજપત્ર અગાઉ વિધાનસભામાં કોંગ્રેસના દેખાવ
અંદાજપત્ર અગાઉ જ કોંગ્રેસના નેતાઓએ વિધાનસભામાં દેખાવ કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કદાવર નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારે અંદાજપત્રમાં માત્ર જાહેરાતો કરવાની જગ્યાએ નક્કર પગલાંઓ ભરવાની જરૂર છે.
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા
ગુજરાતના નાણામંત્રી આજે સતત પાંચમી વખત ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવાના છે. તે વિધાનસભા પહોંચી ગયા છે. બસ થોડીક જ મિનિટોમાં અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. આ વખતે 4 લાખ કરોડથી વધુનું અંદાજપત્ર હોવાના સંકેત મળી રહ્યા છે. આ વખતે કનુ દેસાઈની અંદાજપત્રપોથી ચર્ચાનો વિષય છે. તેના પર બીના હસમુખ પટેલે વારસી ચિત્રકલા ઉકેરી છે. જે છેલ્લા ચાર વર્ષથી અંદાજપત્ર પોથી પર અવનવા ચિત્રો દોરતા આવ્યા છે.
અંદાજપત્રનું કદ: રૂ.4 લાખ કરોડનો ટાર્ગેટ
નિષ્ણાતોના મતે, આ વખતે ગુજરાતનું અંદાજપત્ર રૂ.4,00,000 કરોડને પાર કરી શકે છે. જેનું મુખ્ય કારણ રાજ્યમાં વધી રહેલું આંતરમાળખાકીય રોકાણ અને સામાજિક કલ્યાણની યોજનાઓ છે.
આવક અને ખર્ચનું ગણિત (રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો?)
આવકના મુખ્ય સ્ત્રોત:
GST અને અન્ય કરવેરા: 43.22%
જાહેર દેવું અને લોન વસૂલાત: 30.47%
કેન્દ્રીય વેરામાં હિસ્સો: 13.47%
કેન્દ્રીય ગ્રાન્ટ: 11.97%
ખર્ચની ફાળવણી
વિકાસલક્ષી ખર્ચ: 65.57% (શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ)
બિન-વિકાસલક્ષી ખર્ચ: 23.45% (વહીવટી ખર્ચ)
દેવું ચૂકવણું: 9.16%
લોન અને પેશગી: 1.31%
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની નજરે અંદાજપત્ર
અંદાજપત્રના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે.
➢ એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ અંદાજપત્ર છે.
➢ એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20 ટકા એટલે કે 64 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.
➢ શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવાશક્તિના નિર્માણ માટે અંદાજપત્રમાં ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે.
➢ આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે.
➢ આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે જે 39 ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત-અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાયનાન્શીયલ મેનેજમેન્ટ ને કારણે વધુ તીવ્ર બનાવશે.
➢ વડાપ્રધાન મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલાં આહવાનને ઝિલી લઈને આ વર્ષના અંદાજપત્રમાં 15 હજાર કરોડથી વધુની રકમ ગ્રીન અંદાજપત્રના ભાગરૂપે ફાળવી છે.
➢ મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરીઝમ મેપ પર ચમક્યું છે.
➢ પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઉંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની અંદાજપત્ર જોગવાઈ કરી છે.
➢ ભગવાન બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.
➢ ચાર આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
➢ આદિવાસી યુવાઓને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે.
➢ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો અવસર મળ્યો છે.
➢ આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલમ્પીક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ અંદાજપત્રમાં કરી છે.
➢ રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઇ-સ્પીડ કોરીડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે.
➢ ક્લાયમેટ રેઝિલિયન્ટ અને ન્યૂ ટેકનોલોજી માર્ગો માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
➢ હવેનો સમય AI અને ડિપ ટેક્નો યુગ છે. ગુજરાતને એ.આઈ. અને ડિજીટલ ગવર્નન્સના ઈનિશ્યેટિવમાં અગ્રેસર રાખવા 850 કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી છે.
➢ રાજ્ય સરકારે 6 રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે.
ગુજરાતી
English




