પત્રકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કર્તવ્ય અંગે બધું જ, પણ 3 સ્મારક સિવાય કંઈ બચ્યું નહીં

29 એપ્રિલ 2023

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય બનશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રારા ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ અને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત 27 એપ્રિલ 2023માં કરવામાં આવ્યું હતું.

સરકાર સંગ્રહાલય જો બનાવી રહી છે. પણ મેઘાણી વાપરતાં હતા એવી એક પણ ચીજ આજે બચી નથી. તેથી તે મ્યુઝિયમમાં નહીં જોવા મળે. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતને ઘણું અપ્યું, પણ ગુજરાતે મેઘાણીના જીવન સાથે જોડાયેલી એક પણ વસ્તુ બચાવી રાખી નથી કે, બચી નખી. પ્રજાએ ઝવેરચંદનું ઋણ અદા કર્યું નથી.

ઝવેરચંદ મેઘાણીની ત્રીજી પેઢીના પિનાકી નાનકભાઈ મેઘાણી કે જેઓ ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન ચલાવે છે. તેમણે અને મહેન્દ્ર મેઘાણીએ તેમની સાથે જોડાયેલી કૃત્તિ અને અવાજ સંગ્રહ કરેલા છે. તેમની સહિ કરેલાં કેટલાંક પુસ્તરો અને સસ્તલિખીત કેટલીક કૃત્તિઓ છે. સરદાર અને ગાંધીની જેમ તેમની કોઈ ચીજ સચવાયેલી નથી.

પિનાકી નાનકભાઈ મેઘાણી કહે છે કે, સરકારે જે કંઈ કર્યું છે તે સારું છે. મેં પોતે ઝવેરચંદ મેઘાણીના 21 રેર્કડમાં અવાજ સાચવ્યા છે. પણ અમારા કુટુંબ પાસે મેઘાણી જે વસ્તુઓ વાપરતાં હતા એ એક પણ ચીજ સચવાયેલી નથી. કે કોઈની પાસે હોય એવું અત્યારે ખાતરી પૂર્વક કહી શકાય તેમ નથી. તેમણે લખેલા ગીતો તેમના અવાજમાં ગવાયલા છે, તેની રેકર્ડ મારી પાસે છે.

ગુજરાતના તેઓ મહાન પત્રકાર હતા. પણ પત્રકાર તરીકે તેમની કોઈ યાદગીરી નથી તે પત્રકાર તરીકે મેઘાણી એવું કોઈ સંગ્રહિત પુસ્તક નથી.

મેઘાણીનો કોઈ વિડોયો કોઈ નથી. ગાંધીજી કે રવિન્દ્રનાથ સાથેના ફોટો નથી. જીવનના પ્રસંગો ઘણા છે. પણ દસ્તાવેજો નથી. પત્રકાર તરીકેના તેમના લેખો છે. પણ પત્રકાર તરીકે તેમની જીવંત કોઈ યાદો નથી. લખાણ સિવાય કંઈ નથી. ત્યારે આવી ચીજો સાચવવાની કોઈ ખ્યાલ પરિવાર પાસે નહીં હોય.

કેટલાંક સમય પહેલાં ઝવેરચંદ મેઘાણીની સાથે જોડાયેલી વસ્તુઓ એકઠી કરવા માટે પ્રયાસ કર્યો તો તેમાં ફ્રોડ લોકો ઘણાં આવ્યા હતા. કહે કે આ ખુરશી પર મેઘાણી બેઠા હતા. ઘણાં લોકો ખોટા સ્મૃત્તિ ચિન્નો બતાવતાં હતા. પણ તેની ખાતરી આપી શકે એવા કોઈ પુરાવા કે વ્યક્તિઓ નથી. મેઘાણીના સામયમાં તેમની સાથે કામ કરતાં કે રહેલાં કોઈ વ્યક્તિઓ આજે જીવીત નથી. તેમની સાથે રહેલાં હોય એવા કોઈ જીવીત નથી.

રણજીતરામ સુવર્ણચંદ્રક મેઘાણીને મળેલો હતો. જે ખરેખર સોનાનો હતો. તે પણ આજે નથી રહ્યો. કોની પાસે હશે? પરિવારના સભ્યો ગુજરી ગયા છે. હવે ત્રીજી પેઢી રહી છે.

બે ખંડમાં ફોટો માટે જગ્યા નથી. 500 જેટલાં તસવીરો છે. 64 પીક્ચર સ્ટોરી છે.

ચોટીલાનું ઘર, રાજકોટની શાળા અને ધંધુકાની કોર્ટરૂમ એક માત્ર યાદગીરી બચી છે.

ધંધુંકાની કોર્ટ આજે પણ છે. સ્મારક છે. રિસ્ટોર કરેલી છે. ટુરીઝમ સર્કિટમાં કોર્ટને સરકારે લીધી છે. પહેલાં આ લોકો મકાનમાં રહેતાં હતા. હવે આ વાજ મકાનની રિપ્લીકા બની રહી છે. મોટું કેમ્પસ છે. ધંધુકામાં સારી જગ્યા છે. ત્યાં બાળકોનો ઝોન બનશે. લાયબ્રેરી બનશે.

રાજકોટ કોર્પોરેશનની શાળામાં મેઘાણી ભણેલા તે શાળા સાચવી છે. તેના બે ખંડ સ્મૃત્તિ બનશે. શાળા ચાલુ રહેશે. મેઘાણીનું રજીસ્ટર ત્યાં સચવાયેલું છે.

આમ 3 હિસ્ટોરીક બિલ્ડીંગ સચવાયેલા છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકાર વડનગરમાં સ્થપાતા મ્યુઝિયમ માટે ફાળવવાની મંજૂરી 2022માં આપી હતી. ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ માટે બજેટમાં 5 કરોડની જોગવાઈ કર્યા બાદ કોરોના અને વહીવટી કારણોસર જમીન ફાળવણી થઈ ન હતી.

રૂ.5 કરોડની રકમ પૈકી 3 કરોડ રૂપિયા વડનગર મ્યુઝિયમ જમીન સંપાદન વળતર પેટે ફાળવવા પુરાતત્ત્વ નિયામકની દરખાસ્તને સરકારે મંજૂરી આપી હતી. નાણાં વિભાગની મંજૂરી લીધા બાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ મેઘાણી મ્યુઝિયમ માટે જોગવાઇ કરેલી રકમ વડનગર મ્યુઝિયમ માટે ચૂકવવા મંજૂરી આપી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, પત્રકારત્વ તથા સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન વિષય આધારિત સંગ્રહાલયની રચના કરવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ હતી. આ માટે જમીન ફાળવણી તેમજ મ્યુઝિયમ સહિતની સુવિધા ઊભી કરવા માટે 5 કરોડની જોગવાઈ પણ કરી હતી. જોકે સમગ્ર વર્ષ દરમિયાન આ મ્યુઝિયમ માટે સરકાર તરફથી કોઇ કાર્યવાહી જ કરાઈ ન હતી. જમીન પણ ફાળવાઇ ન હતી.

ઝવેરચંદને અંગ્રેજોએ ખોટી સજા કરી હતી. પણ ગુજરાતમાં ભગવા અંગ્રેજો ગોરા અંગ્રેજો કરતાં સવાયા નિકળ્યા હતા. મેઘાણીને ફરીથી 125 વર્ષના વર્ષે સજા કરી હતી. મેઘાણીને અન્યાય માટે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ જવાબદાર હતા.

સંસ્કૃતિના અમૂલ્યવારસાના વારસદાર એવા ઝવેરચંદ મેઘાણીના સિદ્ધાંતો તેમજ સંસ્કૃતિથી સમગ્ર વિશ્વ વાકેફ થાય તેમજ પ્રવાસીઓ તેમના જન્મ સ્થાનની મુલાકાત લઇને આ સ્મરણોને જીવનની કાયમી યાદોના સ્વરૂપમાં યાદ કરે તે ઉદ્દેશથી પ્રવાસન સુવિધા ઊભી કરવાની હતી. મેઘાણી, પત્રકાર, કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.

ઉપરાંત ઝવેરચંદ મેઘાણી સર્કિટનો વિકાસ 1 કરોડ રૂપિયાની ફાળવણી 2020-21ના અંદાજપત્રમાં કરી હતી. તેનું શું થયું તે જાહેર કરાયું નથી.

 

1928માં પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી હતા.
ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમના દ્વારા પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અપાયેલા યોગદાનને જનતા સમક્ષ પ્રદર્શિત કરશે. મેઘાણીના ફોટોગ્રાફ્સ, પિક્ચર, વિડીયો, ઓડિયો, વસ્ત્રો સહિત તેમનાં સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ, સામગ્રીઓને પ્રદર્શિત કરવામાં આવશે.

પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો સંશોધકો સંશોધનના હેતુસર ઉપયોગ કરી શકશે.

2018માં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્‍મસ્‍થળ ચોટીલાની મુલાકાત મુખ્‍યમંત્રીએ લીધી હતી. રાષ્‍ટ્રીય શાયરના જીવનઝરમર તથા સાહિત્‍યનું પ્રદર્શન હતું.

CM વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિના આ વર્ષને રાષ્ટ્રિય શાયરના ગૌરવ-સન્માનને ઊજાગર કરતી રાજ્યકક્ષાની ઉજવણી તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

12 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી મતી વિભાવરીબહેન દવે ઉપાધ્યક્ષ તરીકે રહેશે.

CMના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ આગામી તા. 28 ઓગસ્ટ-2021ના છે તે સંદર્ભમાં આ વર્ષની ઉજવણીને વ્યાપક સ્વરૂપે રાજ્યભરમાં ઉજવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું હતું. આ 125મી જન્મજયંતિ ઉજવણીમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સરકારની વખતોવખતની સૂચનાઓ અનુસાર કાર્યક્રમો વિવિધ વિભાગો હાથ ધરે તે અંગેની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આ 125મી જન્મજયંતિને આજની પેઢી, યુવાશક્તિ અને સાહિત્ય, કલા-સંસ્કૃતિ પ્રેમીઓ માટે મેઘાણીજીના જીવન-કવન, લોકસાહિત્ય-સંસ્કૃતિમાં તેમના પ્રદાનની સ્મૃતિ ઊજાગર કરનારો અવસર બનાવવાના ઉદાત્ત ભાવથી કાર્યક્રમો યોજવાની બાબતે પણ CMના માર્ગદર્શનમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

તદઅનુસાર, લલિતકલા અકાદમી અને શિક્ષણ વિભાગ સંયુકતપણે મેઘાણી જીવન-કવન આધારિત ચિત્રસ્પર્ધા શાળા-કોલેજોમાં યોજી શકે તે માટે, મેઘાણી રચિત શૌર્ય ગીતો, હાલરડાં, શૃંગાર ગીતોની સ્પર્ધાઓ, મેઘાણીજી રચિત પુસ્તકોનું ઓનલાઇન પ્રદર્શન અને વેચાણ, લોકવાર્તા સ્પર્ધા, ઇ-બૂક તૈયાર કરવી, કવિતા, નિબંધ લેખન, ગ્રામ પંચાયતોમાં મેઘાણીજીના સાહિત્યીક પુસ્તકોના વાંચન કેન્દ્રો, મેઘાણી સાહિત્યનું અન્ય ભાષામાં ભાષાંતરણ અને વિવિધ રાજ્યોના ગુજરાતી સમાજ ભવનોમાં મેઘાણી જન્મદિન ઉજવણી જેવા કાર્યક્રમોના આયોજન અંગે વિશદ પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બધા કાર્યક્રમોના સ્વરૂપ તેમજ સરળતાએ આયોજન માર્ગદર્શન માટેની સમિતિમાં અન્ય સભ્યો તરીકે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર કાપડીયા, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયા, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ તેમજ રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નાયબ સચિવ, સાહિત્ય અકાદમીના મહામાત્ર, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ અને લલિત કલા અકાદમીના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રાજ્યકક્ષાની સમિતિના સૂચનો અને માર્ગદર્શન અનુસાર ઉજવણીના અસરકારક અમલ માટેની એક સમિતિ રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમના અધ્યક્ષપદે રચવામાં આવી છે. આ સમિતિમાં પણ શિક્ષણ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ, માહિતી, પ્રવાસન, પૂરાતત્વ અને સંગ્રહાલય, ગ્રંથાલય, લલીતકલા અકાદમી જેવા વિભાગોના ઉચ્ચઅધિકારીઓ અને પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.
——-
મેઘાણી ઝવેરચંદ કાળીદાસ – ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ 17-08-1897થી 09-03-1947:
રાષ્‍ટ્રીય શાયર મેઘાણી પ્રપૌત્ર પીનાકીન મેઘાણીએ કહયું હતું કે, 28મી ઓગસ્‍ટએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પણ જન્‍મજંયંતિ છે. મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896, ચોટીલામાં થયો હતો અને મૃત્યુ 9 માર્ચ 1947માં બોટાદમાં થયું હતું. તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા. તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઇ.સ.1912માં તેમને મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો. 1922 માં દમયંતી સાથે લગ્ન થયાં હતા.

પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં લીધું હતું. 1912માં મૅટ્રિક. 1916માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. થયા હતા. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા હતા.

1919માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ કર્યો.

1922માં સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા હતા. ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ થયો. 1926માં સૌરાષ્ટ્ર માંથી છૂટા થયા. 1930માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ થયો હતો.
1932માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી 1933માં છૂટા થયા હતા. મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન કર્યું હતું. 1936માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા હતા. 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા. 1928માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1946માં મહીડા પારિતોષિક અપાયું હતું. બોટાદમાં 9 માર્ચ, 1947માં અવસાન થયું હતું.

75 પુસ્તકો પ્રકાશિત થયા છે.

મુળ બગસરાનાનું કુટુંબ
તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં 1910 થી 1912 સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને 1912 મૅટ્રીક થયા હતા. ઇ.સ. 1916માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. 1917માં તેઓ કોલકાતામાં જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1918 થી 1921 સુધી તેમને કલકત્તામાં એક એલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી.

1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 1922થી 1935 સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે 6 કાવ્ય સંગ્રહ, 13 નવલકથા સંગ્રહ, 7 નવલિકા સંગ્રહ , 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેષ્ઠ નવલકથા કહી શકાય. 16 લોકકથાઓના, 10 લોકગીતોના, 5 લોકસાહિત્ય વિવેચનનાં, લોકસાહિત્ય અને ઇતિહાસ માટે કરેલા પ્રવાસોના 4, 6 કે 9 કાવ્યસંગ્રહો, 7-12 વાર્તાસંગ્રહો, 13 નવલકથાઓ, 4 નાટકો, 10-13 જીવનકથાઓ, 17 ઇતિહાસ અને સંપાદન કર્યા છે.

પત્રકાર
મેઘાણી લોકસાહિત્યકાર, સંશોધક, ઇતિહાસના સંશોધન તેમને ગમતા હતા. પત્રકારત્વ તેમને માટે સરવાજનિક જીવનને વ્યક્ત કરવાનું માધ્યમ હતું. તેમનું પત્રકારત્વ શબ્દને ચેતનામાં પરિવર્તિત કરવાનો હતો. રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’નું પ્રકાશન એ ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક ઘટના છે. ત્યાં એવું પત્રકારત્વ સરજાયું કે અહેવાલ અને લેખો, તંત્રીલેખો અને મથાળાં, વાક્ય રચના અને કહેવત-પ્રયોગોમાં સાવ બદલાવ આવી ગયો. સામાન્ય નાગરિક પણ તે વાંચીને સમજતો, કૈંક મેળવતો. પંડિતાઈના પિંજરને છોડીને, છતાં સાહિત્યિક રીતે ઊણું ના હોય તેવું એ પત્રકારત્વ તત્કાલિન રાજકીય સ્થિતિ, સ્વાતંત્ર્ય જંગ, સાહિત્ય અને સમાજસુધાર માટેનું માધ્યમ બની રહ્યું. સાહિત્યિક પત્રકારત્વ એટ્લે શું એ સમજવા માટે મેઘાણીનાં કલમ અને કિતાબ કોલમનાં લેખોનાં બે ભાગ ‘પરિભ્રમણ’ દરેક સાહિત્યસેવી પત્રકારે વાંચી જવા. ગુજરાતી પત્રકારત્વનાં અભ્યાસક્ર્મોમાં ભલે બીજું ઘણું ભણાવાતું હોય પણ જ્યાં સુધી એક ‘સ્પિરિટ’ સુધી લઈ જતી પત્રકારિતા શીખવાડવામાં ના આવે તો સમાજ રચનાની જવાબદારી પત્રકારોમાં આવે નહીં એ સત્ય સ્વીકારવું પડે. આપણે ત્યાં મેઘાણી અને તેમના જેવા પત્રકારોની દીર્ઘ કલમ યાત્રા અને તેનું મહત્ત્વ યુવકોનાં ચિત્તમાં સ્થાપિત કરવાની જવાબદારી આ સંસ્થાઓની છે. સમિતિ ભલે અનેક કાર્યક્રમો ના કરે પણ મેઘાણીનાં લોકસાહિત્ય, સંશોધન, સમર્પિતતા:આટલું જ્યાં નવી યુવા પેઢીને પ્રાપ્ત થાય તેવું દૃશ્ય શ્રાવ્ય આધુનિક મ્યુઝિયમ સ્વરૂપે સ્મારક ઊભું કરે તો પણ એ મોટું ઐતિહાસિક અને નિર્ણાયક કામ ગણાશે. અન્યથા ઉજવણી અને સ્મારકોની કેવી દશા થાય છે તે કહેવાની જરૂર નથી.

સમાજમાં સમગ્ર બદલાવની સંવેદના હતી, ગુલામ ભારતનો તેમને ડંખ હતો અને તેને માટે એક તરફ સરદાર ભગત સિંહ માટે ‘સપ્ત સિંધુને સમશાન’ રોપાયા ત્રણ રૂખડા હો જી..’ ગાયું અને બીજી તરફ ગાંધીજીની ગોળમેજી ઘટના માટે ‘છેલ્લો કટોરો’ પણ ગાયું.
્રાંતિકારી શહીદોની વેદનાને વાચા આપી, તેમના દેશકાવ્યોનો ‘સિંધુડો’તો પ્રતિબંધનું ભાગ્ય પામ્યો, ગુજરાતને માટે તે પહેલવેલું ‘સેમિઝ્દાત’ (ભૂગર્ભ પત્રકારત્વ) હતું, (પછીથી તેવા ભૂગર્ભ સાહિત્ય અને પત્રકારત્વનો ઉપયોગ સોવિયેત રશિયામાં સામ્યવાદી શાસનને અને ભારતમાં 1975ના કટોકટી કાળને ઉખેડવા માટે થયો હતો!) કોઈનો લાડકવાયો એ સમબડી’ઝ ડાર્લિંગનો મુક્ત અનુવાદ છે, જાણે ભારતના સ્વાતંત્ર્ય યુગના યુવા શહીદનો જ સાક્ષાત્કાર કરાવે છે.

બરવાળા સત્યાગ્રહમાં તેમને બે વર્ષની સજા થઈ તો પિંજરામાં ઊભા રહી ‘હજારો વર્ષની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુદન ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ હો, સમર્પણ હો પ્રભુ પ્યારા તને ઓ!’ ગાઈને ન્યાયમૂર્તિને રડાવ્યા, જેલવાસ દરમિયાન ચંદ્રશેખર આઝાદના સાથી કેદી વૈશંપાયનનાં ગીત ‘હમ ભી ઘર રહ સકતે થે’ પરથી ‘અમારે ઘર હતાં, વહાલાં હતાં…’ ગીતનાં માધ્યમથી ક

મેઘાણીનું સાહિત્ય (નવલકથા, વાર્તા, નાટક) સામાન્ય પરિવારોનાં અસામાન્ય જીવન વલણ અને વહેણની છબી છે, લોકસાહિત્યમાં તેમણે, બ્રિટિશ અને રજવાડા દ્વારા વગોવાયેલા બહારવટિયાઓ, ભક્તિ અને શક્તિના ઉપાસકો, ખમીર અને ખાનદાનીનાં ઉદાહરણ જેવાં પાત્રો અને ઘટનાઓને પ્રસ્તુત કર્યા.ઓખાના વીર માણેકો, ક્નરા ડુંગર પરના મૈયા સત્યાગ્રહીઓ, ના છડ્યા હથિયારનાં શૂરા મુળૂ માણેક અને ફિલસૂફ જોધા માણેકને આલેખિત કર્યાં.

સોરઠમાં જે અમર પ્રેમીઓ થયા તેની કહાણીમાં ઉમેરે છે કે ‘પ્રભુભક્તોનાં તીર્થસ્થાનો છે. પ્રેમભક્તોનાં યાત્રાધામો મુકરર થશે ત્યારે કેટલા બધા પ્રેમીજનોની કથાઓનો અહેસાસ થાય એવા આ સ્થાનો પીઆર સહેલાણીઓ ઊમટશે …’ પ્રવાસન વિભાગે આ દિશામાં વિચારવા જેવું ખરું, જો યુવા પ્રવાસીઓને નજરમાં રાખે તો!

1929 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી.
‘લાગ્યો કસુંબીનો રંગ’થી શરૂઆત કરે અને ‘મન મોર બની થનગાટ કરે…’અમર કૃત્તિ છે.
કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. 1926માં માંડ્યા. ઇ.સ.1928માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ.1930માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ.1933માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ.1936થી 1945 સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી હતી. જે દરમ્યાન 1942માં ‘મરેલાનાં રુધીર’ નામની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. 1946માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

ગીરમાં
ગીરના પ્રદેશમાં પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું 1922 થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

સોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (1923) અને ‘કિલ્લોલ’ (1930) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે; તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (1935)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (1947)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (1943)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (1944)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.

એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (1922) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું 1931થી. એમની મહત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. 1, 2 (1931, 1935) અને ‘વિલોપન’ (1946)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (1934)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે. ‘માણસાઈના દીવા’ (1945)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (1934) અને ‘પલકારા’ (1935)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (1932) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (1936)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (1937) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (1939) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. ‘તુલસીક્યારો’ (1940) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (1943) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. ‘કાળચક્ર’ (1947) 1940-50ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે.

એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (1938) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (1939) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. 1, 2 (1939, 1942) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે.

એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (1932) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (1939) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (1937) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (1938) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે.

વિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (1923) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (1923, 1924, 1925, 1927, 1927 ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (1927, 1928, 1929) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી બહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. 1,2 (1927, 1928)માં ચમત્કારી તત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (11927) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (1945)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (1928) અને ‘પુરાતન જ્યોત’ (1938) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (1931)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.

‘રઢિયાળી રાત’- ભા. 1 થી 4 (1925, 1926, 1927, 1942)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. 1-2 (1928, 1929)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (1928), ‘ઋતુગીતો’ (1929) ‘સોરઠી સંતવાણી’ (1947) અને ‘સોરઠિયા દુહા’ (1947) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે.

‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. 1,2 (1939, 1944)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (1944) રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (1946)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે.

મેઘાણી તો સ્વમાની અને હક્ક-અધિકાર માટે લડનારા.. એકવાર આકાશવાણીવાળા તેમનું રેકોર્ડિંગ કરવા ગયા .. મેઘાણી એ રેકોર્ડિંગ માટે પુરસ્કાર નું પૂછ્યું.. આકાશવાણી અધિકારીએ જણાવ્યું કે અમે આપને ત્યાં રેકોર્ડિંગ માટે આવીએ તો પુરસ્કાર ની જોગવાઈ નથી.. મેઘાણી એ રેકોર્ડિંગ ની સ્વમાનભેર ના પાડી દીધી..!
પણ મેઘાણી તો લોકોનાં દિલમાં 125 વર્ષેય ધબકે છે.
જેની સ્વાયત્તતા છીનવી લઈ સરકારીકરણ કરી દેવાયું છે એ અકાદમી નું વરવું રૂપ… મેઘાણી નો ઉત્સવ ને મેઘાણી ગાયબ હતા …!
સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (1946) અને ‘છેલ્લું પ્રયાણ’ (1947)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (1948)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (1927), ‘ઠક્કરબાપા’ (1939), ‘મરેલાંનાં રુધિર’ (1942), ‘અકબરની યાદમાં’ (1942), ‘આપણું ઘર’ (1942), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (1942), ‘આપણાં ઘરની વધુ વાતો’ (1942) તથા ‘દયાનંદ સરસ્વતી’ (1944) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.

‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) અને ‘સોરઠને તીરે તીરે’ (1933) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (1939)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’- ભા. 1, 2, 3 (1944, 1947, 1947)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (1944) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે.

‘વંઠેલા’ (1934) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (1923) અને ‘શાહજહાં’ (1927) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (1926) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે.

‘એશિયાનું કલંક’ (1923), ‘હંગેરીનો તારણહાર’ (1927), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (1930), ‘સળગતું આયર્લેન્ડ’ (1931), ‘ભારતનો મહાવીર પાડોશી’ (1943) અને ‘ધ્વજ-મિલાપ’ (1943) એ એમના ઇતિહાસગ્રંથો છે.
-જયંત ગાડીત

યુગવંદના (1935) : સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે.
-જયંત ગાડીત

સોરઠ તારાં વહેતાં પાણી (1930) : ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

વેવિશાળ (1938) : સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

સૌરાષ્ટ્રની રસધાર – ભા. 1 થી 5 (1923-1927) : લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

રઢિયાળી રાત – ભા. 1, 2, 3, 4 (1925, 1926, 1927, 1942) : ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો 1973 ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

લોક સાહિત્યનું સમાલોચન (1946) : ઝવેરચંદ મેઘાણીએ 1943માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે.
-જયંત ગાડીત