ગાંધીનગરમાં ધારાસભ્યોને આપવામાં આવતાં મફત પ્લોટ માંથી મોટાભાગના પ્લોટ પર હેતુ ફેર કરીને ગેરકાયદે બાંધકામ કરી દીધું છે. પૂર્વ ધારાસભ્યો અને હાલના ધારાસભ્યોએ દબાણ પણ કરી દીધા છે. તેમ છતાં તેમની સામે વર્ષોથી કામ ચલાવાતું નથી અને સામાન્ય લોકોના બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હોવાથી ભારે રોષ ફેલાયો છે. સેક્ટર 2,1,22,8 એ ગાંધીનગરના સમૃદ્ધ વિસ્તારો છે. જ્યાં રાજકીય વગ ધરાવતાં લોકોએ ગેરકાયદે દબાણો કરી દીધા છે. જે દૂર કરતાં નથી. આ સવાલ એટલા માટે ઊભો થયો કે ગાંધીનગરના સત્તાવાળાઓએ સામાન્ય લોકોના દબાણો તોડવાનું શરૂ કર્યું છએ ત્યારે લોકો એવો સવાલ કરી રહ્યાં છે કે ગુજરાતની પ્રજાની જમીન ધારાસભ્યોને સરકારે આપી છે તે પ્લોટ પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે તે દૂર કરો પછી અમારા તમે તોડી નાંખો તો કોઈ વાંધો નથી.
7 જૂન 2018માં પણ ગાંધીનગરમાં રહેણાંક હેતુ માટે ફાળવેલા પ્લોટ્સમાં વાણિજ્ય હેતુનું બાંધકામ કરેલું છે તે તોડી પાડવા માટે રાજ્યની વડી અદાલતે આદેશ આપ્યો હતો ત્યારે પણ બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. પણ તે એકાએક અટકાવી દેવામાં આવ્યું હતું કારણ કે શરતભંગના મકાનો તો સાંસદો અને ધારાસભ્યોને ફાળવેલા પ્લોટ્સમાં વધું છે. મોટાભાગના રાજકીય નેતાઓએ પોતાના પ્લોટ વેચી શકાય તેમ ન હોવા છતાં વેચી માર્યા છે. જેના ઉપર શરતભંગ કરીને બિલ્ડરોએ બાંધકામ કરી દીધું છે. ખરેખર તો આવા પ્લોટ ખાલસા કરાવવા પડે તેમ છે. આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓ તથા સંસદસભ્ય અને ધારાસભ્યોને 330 ચોરસમીટરના પ્લોટ સસ્તામાં ફાળવાયા છે. ત્યારબાદ અધિકારીઓ અને કર્મચારીઓને તેની કક્ષા પ્રમાણે 250, 200, 135, 90 અને 81 ચોરસમીટરના પ્લોટ સાવ મફતના ભાવે આપેલાં છે.
અગાઉ પણ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાનથી માત્ર 50 મીટર દૂર આવેલા બોરીજ ગામમાં તંત્રએ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું. ગાંધીનગર મહાનગરપાલિકાએ 250થી વધુ ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિકો સાથે ઘર્ષણ પણ થયું. કેટલાક અસરગ્રસ્તોએ કોર્ટમાંથી સ્ટે લાવીને કામગીરી રોકાવી દીધી હતી.
મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની નજીક ગેરકાયદેસર બાંધકામ છે અને આ જગ્યાએ પરપ્રાંતના લોકો પણ ઘુસી આવ્યા છે. જેથી સુરક્ષાનો પર એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો. મતદારો કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેથી તેમને બેઘર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં તંત્રએ મકાનો ખાલી કરવાનો પણ પૂરતો સમય આપ્યો નથી.