આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે જોડાયેલા, પૂર્વ કેબીનેટ મંત્રી, પ્રખર શિક્ષણશાસ્ત્રી, જાણીતા સમાજ સેવિકા, દાતા, પ્રખર ગાંધીવાદી અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ડૉ. સુશીલાબેન શેઠનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સદગત ડૉ. સુશીલાબેન કેશવલાલ શેઠ જી.ટી. શેઠ હોસ્પિટલ, જી.ટી. શેઠ મેડીકલ ફાઉન્ડેશન, એચ.કે. શેઠ મેડીકલ ફાઉન્ડેશન, શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, કે.ટી. સ્મારક નિધી, કે.કે. શેઠ ફીજીયોથેરાપી કોલેજ, જી.ટી. શેઠ ઓર્થોપેડીકલ હોસ્પિટલ, જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલ (રાજકોટ કેન્સર સોસાયટી), એચ.ટી. શેઠ આંખની હોસ્પિટલ, જી.ટી. શેઠ વિદ્યાલય, પ્રકાશ જ્ઞાન મંદિર સહિતની સંસ્થાઓમાં પાયાના પથ્થર હતા, જેમાં ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકે સેવાઓ વર્ષોથી આપી રહ્યા હતા તેમના નિધનથી ગુજરાતે સમાજ સેવાના ભેખધારીને ગુમાવ્યા છે.
તેઓ વર્ષ ૧૯૮૫થી ૧૯૯૦ દરમ્યાન કોંગ્રેસ પક્ષની સરકારમાં સ્વ. અમરસિંહ ચૌધરીના નેતૃત્વમાં મંત્રીપદે સેવા આપી હતી. ચુસ્ત ગાંધીવાદી હતા, આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે જોડાયેલા હતા. કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ માટે શૈક્ષણીક અને આરોગ્ય સંસ્થાના માધ્યમથી અનેરુ યોગદાન આપ્યું હતું.
પ્રખર ગાંધીવાદી, કન્યા કેળવણીમાં અવલ્લ કામગીરી કરનાર સમાજ સેવિકા સ્વ. સુશીલાબેન શેઠના નિધન અંગે શ્રધ્ધાંસુમન અર્પણ કરતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, જુની પેઢીના પીઢ રાજકારણી તરીકે ડૉ. સુશીલાબેન શેઠે પોતાનું આખુ જીવન પ્રજા સેવા માટે સમર્પિત કરી દીધું હતું. સ્ત્રી જાગૃતિના મશાલચી તેમણે કંડારેલ કેડી પર ચાલ્યા અને તેઓના ડોક્ટરી વ્યવસાયનો ત્યાગ કરી સમગ્ર સમાજના અને ખાસ મહિલાઓના ઉત્કર્ષ અર્થે અનેકવિધ સંસ્થાઓ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી આપેલ હતું. સ્વ. સુશીલાબેન શેઠની જાહેર જીવનમાં આગવી ઓળખ હતી. કન્યા શિક્ષણથી સમાજ ઘડતરના પાયાના કામ વડે અલગ ઓળખ ઉભી કરી હતી. જાહેર જીવનમાં મૂલ્યો સાથે પ્રતિબધ્ધતાથી કામ કરનાર સ્વ. સુશીલાબેન શેઠ અનેક વિધ સંસ્થાઓનું નિર્માણ કર્યું અને સંસ્થાઓના માધ્યમથી સમાજસેવાનું પાયાનું કામ કર્યું. સ્વ. સુશીલાબેન શેઠના નિધનથી માત્ર સૌરાષ્ટ્રે નહિ પણ સમગ્ર ગુજરાતે પ્રખર ગાંધીવાદી, સમાજસેવિકા ગુમાવ્યા છે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી દીપક બાબરીયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, કોગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા શ્રી નિદત બારોટ, સહિતના આગેવાનોએ સ્વ. સુશીલાબેન શેઠના નિધન અંગે શ્રધ્ધાસુમન પાઠવીને તેમની સમાજ સેવાના કાર્યોને યાદ કર્યા હતા.