મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં તેમને ફરી જેલમાં ધકેલી દેવાય તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે. મોદી સરકાર મહેબૂબાને જેલમાં મોકલીને બિહારમાં રાજકીય ફાયદો અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ પર અંકુશ એમ એક કાંકરે બે પક્ષી મારવા માગે છે.
મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ
મહેબૂબાએ શુક્રવારે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા માટે અપમાનજનક ટીપ્પણી કરતાં મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ છે. ભાજપે મહેબૂબા સામે રાજદ્રોહનો કેસ કરવાની માગ કરી છે જ્યારે કોંગ્રેસે પણ મહેબૂબાની વિરૂધ્ધ છે. મહેબૂબાને જેલમાં ધકેલી દેવાય તો કોઈ વાંધો ના લે અને બિહારની ચૂંટણીમાં રાષ્ટ્રવાદની લહેર ઉભી કરીને ભાજપ તેનો લાભ લઈ શકે.
મહેબૂબાએ 17 નવેમ્બરે શ્રીનગરમાં વિશાળ સંમેલન બોલાવ્યું
મહેબૂબાએ જેલમાંથી બહાર આવીને રાજકીય પ્રવૃત્તિઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. મહેબૂબાએ કાશ્મીરના તમામ પક્ષોને ભેગા કરીને પીપલ્સ એલાયન્સ બનાવીને 17 નવેમ્બરે શ્રીનગરમાં વિશાળ સંમેલન બોલાવ્યું છે. આ પ્રવૃત્તિઓ ગંભીર ખતરો બને એ પહેલાં મહેબૂબાને અંદર કરી દેવાય તો બીજા નેતાઓમાં પણ ફફડાટ ઉભો થાય તેથી મહેબૂબા ગમે ત્યારે ફરી નજરકેદ થઈ શકે છે.