અમદાવાદ,તા.03
અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે. છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે થઈ શકે તેમ નથી. પ્રોજેક્ટ બે વર્ષ લંબાઇ શકે તેમ છે. આવી સ્થિતિમાં હવે મેટ્રો હજુ પણ એક સપના સમાન જ બની રહેશે.
બે વર્ષ પ્રોજેક્ટ લંબાવાયો
વર્ષ 2019માં બીજા તબક્કાનો ભાગ શરૂ થઈ જવાનો હતો પણ હવે હાલની સ્થિતિ ચાલુ રહી તો 2020 સુધી મેટ્રોની સવારી દોડી શકે તેવી શક્યતા નહીંવત છે. તેથી 2022માં થઈ શકે તો પણ સારૂ છે. કુલ રૂ.11,000 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2000 કરોડ વધી ગયો છે. તેથી 13 હજાર કરોડ કુલ ખર્ચ થશે.
એપીએમસી રૂટ ખોરવાયો
વસ્ત્રાલ બાદ ભાજપ સરકારનો એપીએમસીથી શ્રેયસનો ફેઝ શરુ કરવાની યોજના હતી. એપીએમસીથી શ્રેયસનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવામાં આવ્યો છે. પણ મોટાભાગના પેટા કોન્ટ્રાક્ટરોને આઇએલએફએસ દ્વારા નાણાં ચુકવવામાં આવ્યા ન હોવાથી પ્રોજેક્ટમાં કામ કરવા તૈયાર નથી.
નવા ઠેકા આપવા પડશે
હવે નવેસરથી ઠેકેદારો નક્કી કરવા પડશે. ડીસેમ્બર 2015માં આઇએલએફએએસ કંપનીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થયેલી ટેન્ડર પક્રિયામાં એપીએમસીથી શ્રેયસના રુટની કામગીરી આપવામાં આવી હતી. જેમાં ગ્યાસપુરમાં મેટ્રોના ડેપોના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો.
બે સ્ટેશન બનાવ્યા
ટેન્ડર અપાયા બાદ બે વર્ષ દરમિયાન કંપનીએ એપીએમસીથી કામગીરી શરુ પણ કરી અને શ્રેયસ સુધી પીલર્સ તૈયાર કરી દીધા હતા. એપીએમસીથી જીવરાજ વચ્ચે ટ્રેક માટેની જગ્યા અને બે સ્ટેશન બનાવ્યા હતા. કામગીરી ચાલતી હતી ત્યારે આઇએલએફએસ આર્થિક ભીસમાં આવી જતા કંપની પેટા કોન્ટ્રાક્ટરોને નાણાં ચુકવવામાં નિષ્ફળ ગઇ હતી. રાતોરાત મેટ્રો લાઇનનું કામ ઠપ્પ થઇ જતા અનેક કોન્ટ્રાક્ટરોના લાખો કરોડો રુપિયા ફસાઇ ગયા છે.
પ્રજા પર જોખમ
મેટ્રો પ્રોજેકટમાં સુપરવિઝન ન હોવાને કારણે લોકો પર જોખમ ઉભુ થયું છે. જીવરાજ ચાર રસ્તા, એપીએમસી અને શ્યામલ બ્રીજની નજીક મોટા પ્રમાણમાં દુકાનો આવેલી છે. મેટ્રોનું કામ બંધ થતા વેપારીઓ પણ પરેશાન થઇ ગયા છે.
આરોગ્યના પ્રશ્નો
એપીએમસી પાસે ફર્નિચર શો રુમ ધરાવતા રફીકભાઇ કહે છે કે તેમની શોપ મેટ્રો લાઇનની નજીક જ છે. જ્યારે કામ ચાલતુ હતું ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હતી અને હવે કામ અટકી જતા મેટ્રોના સ્ટેશનથી પાણી ટપકવાના કારણે આસપાસમાં બિમારી થવાની ચિંતા છે. આ અંગે અનેકવાર રજુઆત કરી છે કે પણ હાલ કંપની કામગીરી કરતી ન હોવાને કારણે કોઇ નિરાકરણ આવતું નથી.
વિકાસ નહીં વિનાશ
જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા સુનિલભાઇ પટેલ જણાવે છે કે સરકારે મોટા મોટા દાવા કર્યા કે મેટ્રોથી વિકાસ થશે. પણ વિકાસ તો દુરની વાત છે પણ હાલ તો હાલાકી જ હાલાકી છે. 2020નો પ્રોજેક્ટ 2021માં પણ માંડ પુરો થાય તેમ લાગી રહ્યું છે. ખાસ કરી શ્યામલ ઓવર બ્રીજના ડાબી બાજુ થયેલા અડધા કામને કારણે હાલત ખરાબ છે.
આઇએલએફએસ કાચી પડતા કામ અટક્યુઃ મેટ્રો અધિકારી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આઇએલએફએસ કંપનીની આર્થિક સ્થિતિ લથડતા તેમણે માલ સપ્લાઇ કરતા વેપારીઓ અને લેબર કોન્ટ્રાક્ટરોને નાણાં મળતા બંધ થતા કામગીરી અટકી ગઇ છે. હાલ આ કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવામાં આવ્યો છે જોકે હજુ પણ કામગીરી શરુ થતા થોડો સમય થઇ શકે તેમ છે. માલ સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટરો અગાઉના બાકી નાણાં ન મળે ત્યાંસુધી કામ કરવા માટે તૈયાર નથી. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું.
શા માટે એપીએમસી રુટ મહત્વનો?
આઇએસએફએએસ કંપનીને જે ટેન્ડર મળ્યું હતું તે મુજબ કંપનીને ગ્યાસપુર ડેપોથી એપીએમસી અનેએપીએમસીથી શ્રેયશ સુધીની કામગીરી કરવાની હતી. અને ફેઝ સરકાર વસ્ત્રાલની સાથે જ શરુ કરવાના આયોજનમાં હતી પણ હવે આઇએલએફએસ કંપની કાચી પડતા હવે આ પ્રોજેક્ટ બે વર્ષ લંબાઇ શકે તેમ છે. આવી સ્થિતિમાં હવે મેટ્રો હજુ પણ એક સપના સમાન જ બની રહેશે.
ભાવી અંધકાર
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ભાજપ સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી કે વર્ષ 2020 સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી અપેરલ પાર્કના રુટનું ઉદ્દઘાટન પણ કરી દીધું. પણ, આ રુટ પર ધાર્યા મુસાફરો મળતા નથી તો હજુ શહેરમાં અનેક સ્થળોએ કામ બંધ છે. તેથી પ્રોજેક્ટનું ખર્ચ રૂ.2000 કરોડ વધી જશે.
કાશ્મિરનો પ્રોજેક્ટ પણ લટકી પડ્યો
જમ્મુ કાશ્મિરમાં રૂ.6800 કરોડના 14.2 કિલોમીટર લાંબા ઝો જિલા ટનલ માટે નવેસરથી કામ આપવામાં આવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (આઇએલએફએસ)ને કામ આપ્યું હતું.
13 હજાર કરોડની ગરબડ
આઈએલએફએસ ગ્રુપમાં ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમની નાણાકીય ગરબડો થઇ હોવાનો પર્દાફાશ ગ્રાન્ટ થોર્નટન કંપનીએ તૈયાર કરેલા ઓડિટ-અહેવાલમાં બહાર આવ્યુ છે. આઈએલએફએસ (ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઇનેન્શિયલ સર્વિસિસ) ગ્રુપના કેસમાં ગ્રાન્ટ થોર્નટને કરેલી તપાસનો અહેવાલ બહાર પડી જતાં તેમાં અનેક નાણાકીય ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે અને તેમની 150 કંપનીઓમાં ગરબડ નિકળી છે. કુલ કરજ એક લાખ કરોડ છે તેથી અમદાવાદ મેટ્રો લટકી પડી છે.