અમદાવાદ, 12 જાન્યુઆરી 2020
સીસીટીવી મૂકવામાં આવી રહ્યાં છે, ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ સત્ય પારખવાની દ્રષ્ટિ ક્યાંથી લાવશે ? એવો સવાલ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા પૂછવામાં આવ્યો છે. સરકારે કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે જેથી ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી પેન્ટવાળાના ફુટેજ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપોઆપ અદ્રશ્ય થઈ જાય.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ વિશ્વાસ યોજના હેઠળ ભલે ૭૦૦૦ સીસીટીવી કેમેરા લગાવે સારી બાબત છે. પણ પહેલા એ જણાવે કે હાલ અમદાવાદમાં સ્માર્ટ સીટી યોજના હેઠળ રૂ.32 કરોડના ખર્ચે જે કેમેરા લગાવેલા તેની હાલત શું છે અને તે ચાલુ સ્થિતિમાં છે ? એમાંથી કેટલા કેમેરા કંટ્રોલ કમાન્ડ સેન્ટર સાથે જોડાણ ધરાવે છે ? તે જાહેર કરવું જોઈએ.
હાલ લગાડેલા કેમેરાની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કે ટ્રાફિક પોલીસની તેનો વિવાદ છે. જવાબદારી એક બીજા પર ઢોળી રહ્યા છે.
હમણાં જ થોડા સમય પહેલા પાંજરાપોળ ખાતે થયેલા અકસ્માતમાં દુર્ઘટના સ્થળે ૧૬ સીસીટીવી કેમેરા લાગેલા હતા જે બંધ હતા. બંધ કેમ હતા તે અંગે ભૂલ કોની એ નક્કી કરી શકાયું નથી.
કેમેરાનું રિસોલ્યુશન પૂરતું હોવું જોઈએ. નાઈટ વિજન કેમેરા હોવા જોઈએ.
પ્રજાના કરોડો રૂપિયાની યોજનાઓ કરો પણ એનાથી પરિણામ ના મળતું હોય તો ફક્ત ભાજપના મળતીયાઓ પૈસા કમાઈ શકશે એથી વિશેષ કઈ નહીં થઇ શકે.
પોલીસખાતુ કાયદાના બદલે ભાજપના ફાયદા મુજબ વર્તે છે. તો પછી સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો પછી પણ પોલીસ કંઈ કરી શકતી નથી. પોલીસે નજરે જોયું હતું કે, એબીવીપીના તોફાનીઓ વિરુદ્ધ નામજોગ એફઆઈઆર કરતાં ડરતી હોય તેને કેમેરા હોય કે ના હોય શું ફરક પડે?
પાટીદાર આંદોલન વખતે પણ પોલીસ અત્યાચારના 221 ફુટેજ મળ્યા જ હતા. કોઈને સજા નથી થઈ કે ગુના નથી નોંધાયા. તો પછી સીસીટીવી કેમેરાનો કોઈ મતલબ નથી. ભાજપની પુર્વ નિયોજીત અનેક ગુંડાગીરી કેમેરે કંડારાઈ છે. પોલીસે શું ઉખાડી લીધુ? આજેય ટ્રાફિક સીગ્નલ પર સીસીટીવી છે જ પણ ચાર રસ્તે ઉભેલા પોલીસની આંખમાં શટલીયા રીક્ષા નથી પકડાતી. નાના ભુલકા સાથે જતા માતા પિતા ત્રણ સવારીમાં તરત પકડાઈ જાય છે.
અમિતભાઈ પગ પર જ કુહાડો મારી રહ્યાં છે. ભાજપના મળતીયાઓ કાયદો હાથમાં લેનાર સીસીટીવીમાં પકડાય અને પોલીસ તેમને ના પકડે એટલે ઉઘાડો ભાજપ પડે છે. અમિત શાહે નીચાજોણુ થાય. તેથી કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી, પેન્ટવાળાના ફુટેજ ઓટોમેટીક અદ્રશ્ય થઈ જાય. આમેય મોર્ફીંગમાં ભાજપ આઈટીસેલ નિષ્ણાત છે. આમ કરવાથી મોટાભાઈ અને પોલીસ બંન્નેની આબરૂ સચવાઈ જશે. કપડા પરથી ગુન્હેગારોને ઓળખી લેવાની મોદી ટેક્નોલોજી ને પણ સરળતાથી લાગુ કરી શકાશે. અમિતભાઈ સીસીટીવી લગાડવા કરતાં પોલીસ અધિકારીઓને પ્રજાની સુરક્ષાના કામે લગાડો. દારૂના અડ્ડા પર કેમેરા લગાવો. ભાજપના કાર્યક્રમોમાં પણ લગાવજો જેથી બળાત્કારના આરોપીઓ, બુટલેગરો કે ગુનેગારો સ્ટેજ પર ગોઠવાઈ ના જાય અને બધાએ શરમજનક સ્થિતિમાં ના મુકાવું પડે. કેમેરાનો ઉપયોગ માત્ર પોતાના પક્ષમાં રહેલા વિરોધીઓ કે વિપક્ષના જ લોકો સિવાય પણ થઈ શકે એ વિચાર આવવા બદલ અમિતભાઈને અભિનંદન પણ તેનો ઉપયોગ પ્રામાણિકતાથી થાય એટલી વિનંતિ ગુજરાતની પ્રજા વતી ચોક્કસ કરીશ. તેમ જયરાજસિંહ પરમાર 9825096601 જણાવ્યું હતું.