ઈસ્કોન ગાંઠીયા અને ઓનેસ્ટને ગંદકી માટે દંડ ફટકારાયો

ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમપા દ્વારા બહુ આકરો રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ 16 જાન્યુઆરી 2020માં ફટકાર્યો હતો.

શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરાયેલી જાહેરાતના ગણતરીના કલાકોમાં જ અમયુકો તંત્ર દ્વારા તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઓનેસ્ટ તેની ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત બાદ હવે ગંદકીના મુદ્દે પણ ગંભીર વિવાદમાં ફસાઇ છે. અસ્વચ્છતા અને ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. ઊતરાયણનો તહેવાર હોવાછતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલાં જ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી ફેલાવનારા તત્વો સામે રૂ.પાંચ હજારથી લઇ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી.