ઉલમા – એ – હીન્દના 100 વર્ષ માટે 50 હજાર મુસ્લિમો પાલનપુર એકઠા થયા

ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ , જમીયત ઉલમા એ હીન્દના શતાબ્દી પર્વનો બનાસકાંઠાથી પ્રારંભ, મૌલાના સૈયદ મેહમુદ અસદ મદનીનું માર્મિક અને દમદાર ભાષણ

પાલનપુર : મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા – એ – હીન્દની સ્થાપનાને 100 વરસ પુરા થતાં હોઇ તેના શતાબ્દી પર્વના કાર્યક્રમોની પ્રથમ કડીનો બનાસકાંઠાથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે સ્કાઉટ ગાઇડની પ્રવૃતિઓ દ્વારા યુવાનોને શારીરીક અને માનસિક સશક્ત થવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જમીયત ઉલમા એ હીન્દના ઓલ ઇન્ડીયા જનરલ સેક્રેટરી મૌલાના મહેમુદ અસદ મદનીએ દેશમાં મુસલમાનોની સ્થિતિને લઇને દમદાર અને માર્મિક સંબોધન કર્યુ હતુ.

દેશની મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા એ હીન્દની સ્થાપનાના શતાબ્દી પર્વના કાર્યક્રમોનો જમીયત ઉલમા ગુજરાતના મહાઅધિવેશન સાથે બનાસકાંઠાથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે પાલનપુર નજીકના છાપી ખાતે તા. 16.06.2019ની સાંજે એક જંગી જાહેર સભા યોજાઇ હતી જેમાં 50,000 થી વધુ મુસ્લિમો ઉમટ્યા હતાં. આ પ્રસંગે છેલ્લા ચાર વરસથી બનાસકાંઠા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં જમીયત યુથ ક્લબના માધ્યમથી શાળા કક્ષાએ શરૂ કરાયેલ સ્કાઉટ પ્રવૃતિઓનું આકર્ષક નિદર્શન કરાયું હતું અને ભાગ લેનાર ટીમોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે માહીતી આપતાં જણાવવામાં આવ્યુ હતું કે, જિલ્લામાં 1200 જેટલા છાત્રો સ્કાઉટની પ્રવૃતિમાં જોડાયેલા છે, જે પૈકીના 30 જેટલા બાળકોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે જ્યારે અન્ય 12 જેટલા બાળકો રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાની યાદીમાં છે. આ પ્રસંગે બનાસકાંઠા જમીયત ઉલમા દ્વારા સામાજીક સેવા પ્રવૃતિઓની સરાહના કરવામાં આવી હતી. 2017ના પુર બાદ ધાનેરા ખાતે જામેલી ગંદકીની સફાઇમાં જમીયત દ્વારા કરાયેલ સફાઇ કાર્યની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય વક્તા એવા જમીયત ઉલમા એ હીન્દના ઓલ ઇન્ડીયા જનરલ સેક્રેટરી મૌલાના મહેમુદ અસદ મદનીએ નફરતની દિવાલોને દુર કરવાનો પૈગામ આપતાં મુસલમાનોની સ્થિતિ વિષે માર્મિક ટકોર કરતાં પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે, મુઝરીમ હૈ હમ, ઉનકે ગુનેગાર હમ હીં હૈ…. તેમણે જણાવ્યું હતુ કે, જાણે દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, બેઇમાની કોઇ સમસ્યા છે જ નહી ફક્ત મુસલમાનો જ સમસ્યા છે તેવી ભ્રાંતિ ફેલાવવામાં આવી રહી છે, તેમણે જંગી મેદનીને સંબોધતા જણાવ્યું હતુ કે, મુસલમાનોએ દેશની આઝાદીમાં બહુ મોટુ યોગદાન આપ્યું છે, ધર્મના નામે દેશના ભાગલા પડ્યા તે વખતે પણ એવા તત્વોનો વિરોધ કરી દેશમાં જ રહ્યાં છે. આ દેશ આપણો છે અને તેની સાથે ગદ્દારી કરનારને ચલાવી નહી લેવાય.

તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયા પછી મુસલમાનોની સૌથી વધુ વસ્તિ ભારતમાં છે અને મુસલમાન યુવકો માટે સારી તકો પણ ભારતમાં જ છે, આથી કોઇ પણ કીંમતે કોમ હીંમત ન હારે, માયુસ ન થાય, મુસલમાનો ક્યારેય બોજ નહોતા અને બોજ નહી હોય, આ મુલ્કને આપણે બનાવ્યો છે. તેમણે કોઇનુંય નામ લીધા વગર જણાવ્યું હતું કે, કોઇની સુપ્રીમસી નહીં ચાલે અને કોઇના દીમાગમાં સુપ્રીમસી ભરાઇ ગઇ હોય તો તે પોતાનું દિમાગ દુરસ્ત કરાવી લે. તેમણે પોતાના વકતવ્યના સમાપનમાં આગવા અંદાજમાં બે પંક્તિઓમાં જણાવ્યું હતું કે, ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ.

તેમણે શેરી મહોલ્લાઓની સાફ સફાઇ અને વૃક્ષારોપણ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, જિલ્લાની સ્કાઉટની 42 ટીમોએ આ ચોમાસામાં વૃક્ષારોપણ માટે 3 – 3 ગામો દત્તક લેવા જોઇએ. સમગ્ર કાર્યક્રમ રાતે લગભગ 11 વાગે પુરો થયો હતો.