મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. માર્કેટ યાર્ડ વિશ્વ કક્ષાની સવલત હશે. માર્કેટ યાર્ડ માટે આનંદિબેન પટેલે રૂ.72 કરોડની જમીન નવી યોજના લાવીને માત્ર રૂ.4.76 કરોડની રકમ લઈને જમીન રાહત દરે આપી છે. તે માટે ઊંઝા બજારના પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને નારણ પટેલને કાર્યક્રમામાં ભાજપના નેતાઓએ બોલાવ્યા ન હતા.
આ પ્રોજેક્ટ બનાવનારા ભાજપના નેતા નારણ લલ્લુ પટેલ અને ગૌરાંગ પટેલને આ કાર્યક્રમમાં કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેમણે જમીન મેળવીને પ્રોજેક્ટ તૈયાર કરેલો તેમને બદલાની ભાવનાથી આમંત્રણ જ આશા પટેલે આપવા દીધું ન હતું. ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું નંબર વન માર્કેટયાર્ડ છે. જેમાં વિવિધ કૃષિ ઉત્પાદનોનો વાર્ષિક રૂ.4500 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે નાના ગામડાથી ગ્લોબલ માર્કેટમાં વૈશ્વીક સ્પર્ધા કરી શકે તેવી આ બજાર હશે. પણ વાસ્તવીકતાં તો એ છે કે, રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારના સિવિલ વર્કના નકશા તૈયાર થયા નથી. પ્રોજેક્ટ માટે ડિઝાઈન બનાવવા માટે કંસલ્ટંટ પણ નિયુક્ત થયા નથી. તેનું કોઈ પ્લીનીંગ થયું નથી અને પાયા ખોદી કાઢવાનું મૂહુર્ત કરવામાં આવ્યું છે. હજું તો એક વર્ષ પછી અહીં પાયા ખોદી શકાય તેમ છે અને અત્યારે જ તેના પાયા ખોદાવનું મૂહુર્ત કરી કાઢવા માટે આટલી બધી ઊતાવળ ભાજપ સરકારે કેમ કરી તેનું આશ્ચર્ય ઊંઝાના વેપારીઓમાં ઊભું થયું છે.
અડધું ભાજપ હાજર પણ ઊંઝાને આગળ લાવનારા વેગળા
સહકાર રાજય પ્રધાન ઇશ્વર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી, ધારાસભ્ય આશા પટેલ, નાયબ મુખ્ય પ્રધાન નીતિનને રક્ષા બાંધી તેમનું અભિવાદન કર્યું હતું. સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય રમણ પટેલ, ઋષિકેશભાઇ પટેલ, બાબુભાઇ જે. પટેલ, કરશનભાઇ સોલંકી, એ.પી.એમ.સી ના અધ્યક્ષ દિનેશ પટેલ, મહેસાણા એ.પી.એમ.સીના અધ્યક્ષ ખોડા પટેલ, ઉપાધ્યક્ષ શિવમભાઇ રાવલ, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ, સી.કે.પટેલ, જુગલ ઠાકોર, નટુ ઠાકોર, ભાજપના જિલ્લા પ્રમુખ નીતિન પટેલ, સહકાર વિભાગના રજિસ્ટ્રાર નલીન ઉપાધ્યાય, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી અને પ્રબુધ્ધ નાગરિકો હતા. પણ નારણ પટેલ અને ગૌરાંગ પટેલનો બહિષ્કાર ભાજપ દ્વારા કરાયો હોય એવું ચિત્ર ઊભું થતાં ઊંઝાના વેપારીઓમાં આઘાતની લાગણી છે.
ગૌચરની જમીનનો વિવાદ
સ્થાનિકોનું કહેવું છે કે, બ્રાહ્મણવાડાની કરોડો રૂપિયાની કિંમતની 52 વિઘા જમીન ફક્ત પોણા પાંચ કરોડ રૂપિયામાં એપીએમસીને આપવામાં આવી છે. 3 વર્ષ પહેલા સરકારે અંદાજે રૂ.69 કરોડ કિંમત નક્કી કરી હતી. મહેસૂલ વિભાગની આ જમીનની માંગણી ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા હતા. 52 વિઘા જમીન સરકારે 2015માં રૂ.69.26 કરોડમાં ઊંઝા APMC ને આપી હતી. રકમ ન ભરી શકાતા કલેક્ટર દ્વારા 2017માં હુકમ રદ કરાયો હતો. 2018માં સરકારની નીતિ બદલાઈ પછી ફરીથી તે જમીન માંગવામાં આવી અને રૂ.4.73 કરોડની રકમ ભરી દઈને ઊંજાએ તે જમીન પર કબજો લીધો હતો.
50 વર્ષનો ઇતિહાસ
ઊંઝા એપીએમસીમાં અત્યાર સુધી સ્વચ્છ હિસાબો રાખીને ખેડૂતોનો ટેકો મેળવીને નારણ લલ્લુ પટેલે સારી પ્રતિષ્ઠા મેળવી છે. જેને ખંડિત કરવા માટે જમીન વિવાદ ચડાવવામાં આવી રહ્યો છે. અહીં ગૌચરની જમીન સરકાર આપી રહી છે, એવો આરોપ હતો. ખરેખર તો આ ગૌચરની જમીન નથી આ જમીન 50 વર્ષ પહેલાં સરસ્વતી ડેરીને આપેલી હતી. જે ફડચામાં જતા સરકાર હસ્તક આપી હતી અને સરકારી પડતર બની હતી. પણ રાજકીય આંદોલનકારીઓ લોકોની ભાવના ભડકાવવા માટે ગૌરચની જમીન તરીકે ખપાવી રહ્યાં છે. મોહન હરીએ સંપાદન કરાવી હતી. પણ પછી સરસ્વતી ડેરી ફડચામાં જતાં જમીન સરકાર હસ્તક ગઈ હતી. 50 વર્ષ પહેલાં જ આ જમીન સરકારી પડતર તરીકે છે. જો ડેરી ફ઼ડચામાં ન ગઈ હોય તો અહીં મોટી ડેરી ધમધમતી હોત. બ્રાહ્મણવાડાની આ જમીન પર મહેસાણાની દૂધસાગર ડેરી બનવાની હતી. પણ પછી મહેસાણાના માનસીભાઈ દૂધસાગર ડેરીને મહેસાણા લઈ ગયા હતા.
શંકરસિંહ આ જમીન આપી દેવા માંગતા હતા
શંકરસિંહ લાઘેલાની રાજપા સરકાર હતી ત્યારે બ્રાહ્મણ વાડાની આ જમીન તેમના ખાસ માણસને આપવા માટે પ્રયાસો થયા હતા. પણ પછી તેમાં કંઈ થઈ શક્યું ન હતું.
વડાપ્રધાન મોદી ન આવ્યા
બ્રાહ્મણવાડાનું અત્યંત આધુનિક બજાર અહીં બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભૂમિ પૂજન કરાવવા માટે નારણ પટેલ અને ગૌરાંગ પટેલે પ્રયાસ કર્યા હતા. અહીં 1 લાખ ખેડૂતો ભેગા કરીને ભૂમિ પૂજન થવાનું છે. ભાજપના નારણ પટેલ અહીં એક લાખ ખેડૂતો એકઠા થાય એવા પ્રયાસો કરી રહ્યાં હતા. પણ વિજય રૂપાણીને બાજુ પર મૂકીને ભાજપના ધારાસભ્ય અને પક્ષ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ 21 મંડળીઓ રદ કરાવીને નારણ લલ્લુની પેનલ હરાવી હતી. કારણ કે નારણ લલ્લુએ અમિત શાહને ભાજપની બેઠકમાં એવી ધમકી આપી હતી કે, જો તમે મને ઊંઝાની ટિકિટ નહીં આપો તો ઊંઝામાં ભાજપ હારશે. અમિત શાહની ટોળકીનો આરોપ હતો કે નારણ પટેલે પાટીદાર આંદોલનમાં ટેકો આપ્યો હતો. પણ, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિરોધી લોકો એક બની ગયા હતા. નવું આધુનિક બજાર બનાવવા માટે ઊંઝા બજારને અધ્યક્ષ ગૌરાંગ પટેલ અને નારણ પટેલની સાથે સમાધાન કર્યું હતું. હવે ઓટા સમાજ પણ ઊંઝા માટે મદદ કરી રહ્યો હતો. જેમાં એમ. એસ. પટેલ, કા. મુ. પટેલ, દશરથ પટેલ(બજરંગ) નાગરિક બેંકના અધ્યક્ષ, નગરપાલિકાના અધ્યક્ષ, ઓટા પટેલ સમાજ, એસપીજી પ્રમુખ ભવલેશ પટેલ નારણ પટેલની તરફેણમાં આવી ગયા હતા.
વેપારમાં રાજકારણ
ઊંઝાનું હાલનું બજાર નાનું પડતું હોવાથી નવું આધુનિક બજાર બનાવવા માટે રાજ્ય સરકારે બાહ્રમણવાડામાં 1.21 લાખ ચોરસ મીટર જમીન આપી છે. જેને લઈને રાજકીય વિવાદ કરનારા હવે ઊંઝામાં સત્તા પર આવ્યા છે. આ જમીન છેલ્લાં 50 વર્ષથી પડી રહી હતી. તેમાં બાવળ ઉગી નિકળ્યા છે. 10 હજાર લોકોને નવી રોજગારી મળી શકે તેમ છે. રોજની એક લાખ બોરી જીરૂ, ઈસબગુલ, વરાયીળી લાવી શકાશે અને તેનું ગ્રેડીંગ પણ કરી શકાય તેવા ઓટોમેટિક મશીનો હશે. ભારતમાં આવું એક પણ ન હોય એવું બજાર અહીં બનવાનું છે. પણ કેટલાંક રાજકીય વ્યાકિતોએ તેની સામે આંદોલન શરૂ કરીને પ્રસિધ્ધિ અને લાભ મેળવવા માટે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં ગામના સરપંચને આગળ ધરીને જમીન પરત આપવા માટે માંગણી કરી છે. હવે એ લોકો સત્તા પર છે અને ગામમાં વિરોધ કરનારા મૌન બની ગયા છે.
અદ્યતન કોલ્ડ સ્ટોરેજ બનશે
2013માં નક્કી કરાયું હતું કે આ જમીન પર ઊંઝા ગંજ બજારનું ઓટોમેટિક મશીનોથી ચાલતું બજાર તો બનશે જ પણ સાથે કોલ્ડ સ્ટોરે જ પણ બનાવવા. એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલે આજના સમયમાં બહોળા પ્રમાણમાં ટેક્નોલોજીના ઉપયોગથી અદ્યતન કોલ્ડ સ્ટોરેજ તેમજ અન્ય જરૂરી માળખાં બનાવી આપવાની માગણી ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ પાસે કરી હતી. માર્કેટ યાર્ડમાં ગોડાઉનો, શોપ-કમ-ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટ, ઓફિસ અને ભોજનાલાય હશે.
ઉત્તર ગુજરાત આગળ છે ગુજરાતમાં
ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો કૃષિ ઉત્પાદનમાં ફાળો રાયડામાં 91 ટકા, વરિયાળી 91 ટકા, બટાકા 79 ટકા, ઈસબગુલ 76 ટકા, એરંડા 60 ટકા, આમળાં 32 ટકા, જીરું 27 ટકા, તલ 15 ટકા અને કપાસમાં 12 ટકા છે.
ગુજરાતમાં માર્કેટ યાર્ડ કેવા
૧૯૩૯માં ૫૭ માર્કેટયાર્ડથી શરૃઆત થઇ હતી. હાલમાં દેશમાં અંદાજિત ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોની લે-વેચ થાય છે. વર્ષ ૨૦૦૬માં જાહેર થયેલા આંક મુજબ દેશમાં ૨૪૨૯ મુખ્ય માર્કેટયાર્ડ અને ૫૧૩૭ સબયાર્ડ તેમજ ૨૭ હજાર સીઝનેબલ યાર્ડ આવેલાં છે. જેમાં ૮૯૦ માર્કેટયાર્ડ સાથે આંધ્રપ્રદેશ રાજ્ય મોખરે છે.પશ્ચિમ બંગાળમાં ૬૮૪, ઉત્તરપ્રદેશમાં ૫૮૫, મધ્યપ્રદેશમાં ૪૮૯ અને ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ આવેલાં છે. ગુજરાતમાં માર્કેટયાર્ડ થકી ખેતપેદાશોની આવકનો આંક ૨૬ હજાર કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. ૧૯૯૨માં ઉદારીકરણની નીતિ ભારતમાં દાખલ થતાં આજે માર્કેટયાર્ડ ગ્લોબલ બની ગયાં છે. રાજ્યનું ઊંઝા માર્કેટયાર્ડ જીરાના વેપારમાં એશિયામાં અગ્રણી માર્કેટયાર્ડ ગણાય છે.
ખેડૂતોને ખેતપેદાશોના ઊંચામાં ઊંચા ભાવ અને ત્વરિત નાણાં મળી રહે તેવા હેતુસર સ્થપાયેલી માર્કેટ સમિતિઓ આજે વટવૃક્ષ બની ગઈ છે. કરોડો રૃપિયાની ખેતપેદાશોની લે-વેચ કરતી માર્કેટ સમિતિઓનો ખેડૂતોને મદદરૃપ થવાનો હેતુ આજે રાજ્યમાં ફળીભૂત થયો છે. રાજ્યમાં સબયાર્ડ અને મુખ્યયાર્ડ મળી ૪૦૩થી વધુ અને દેશમાં આઠ હજારથી વધારે માર્કેટયાર્ડ આવેલાં છે. ૨૦૦૩થી અમલમાં આવેલો માર્કેટ એક્ટ આજે પણ ૧૬ રાજ્યોમાં અમલમાં કરાયા પછી નિયમો ઘડાયા નથી. દેશમાં કૃષિ પ્રગતિને પગલે માર્કેટયાર્ડોનો સતત વિકાસ થઇ રહ્યો છે. દેશમાં આજે ઇ-માર્કેટ મોબાઇલ કોલ્ડવાન, કોલ્ડચેઇન, આધુનિક ગ્રેડિંગ અને પેકિંગ વ્યવસ્થા તેમજ રેપનેઇંગ ચેમ્બર ગોડાઉન જેવી વ્યવસ્થાની બોલબાલા છે.