એક વર્ષમાં 4 લાખ બાળકો કેમ ઘટી ગયા  ? લકવાની રસી પીવડાવો

પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થતાં. પોલિયો વાયરસથી થતો રોગ છે. પોલિયોની રસી આપી હોય તેવા બાળકોને આ રોગ થતો નથી. રસી પછી વિશ્વભરમાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી.

2019માં 84 લાખ બાળકોને પોલીયોની રસી અપાઈ હતી. આ વર્ષે 80 લાખ બાળકોને રસી આપવાની છે એવું મુખ્ય પ્રધાને જાહેર કર્યું છે. આમ 4 લાખ બાળકો એક વર્ષમાં કેમ ઘટી ગયા તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૯ જાન્યુઆરી 2020 રવિવારે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડમાં ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮.૩૦ કલાકે પોલીયા મુક્ત ગુજરાતના અભિયાનની શરૂઆત કરાવી હતી.

રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦ લાખથી વધુ બાળકો છે. ૩૩૬૪૧ બુથ મારફતે ૧ લાખ ૫૨ હજાર આરોગ્ય કર્મીઓ કામ કરશે.

20 જૂન 2019ના દિવસે પલ્સ પોલિયો હેઠળ માર્ચ-૨૦૧૯માં ૮૪ લાખથી વધુ, ૯૯.૪૫ ટકા બાળકોને રસી અપાઈ હોવાનો આરોગ્ય કમિશનર જ્યંતિ રવિ દ્વારા દાવો કરાયો હતો. મુખ્ય પ્રધાને 9 માર્ચ 2019માં જાહેર કર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 0થી 5 વર્ષ સુધીના અંદાજે 84 લાખ ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવરાવી પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાતનો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં 37,503 બુથ મારફતે 1 લાખ 71 હજાર આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે.

૨૦૧૮-૧૯માં રાજ્યનું સરેરાશ કવરેજ ૯૬ ટકા તેમજ જિલ્લામાં ૯૫ ટકા સરેરાશ રસીકરણ થયું છે. જેમાં અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં ૧૦૦ ટકા કે તેથી વધુ રસીકરણ થયું છે.

આ ભલામણનું શું થયું

જે જિલ્લાઓમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તેવા જિલ્લાઓમાં રસીકરણ વધુ થાય તે માટે વિવિધ ધર્મોના સ્થાનિક ધર્મગુરૂઓના સહકારથી જે તે જ્ઞાતિના લોકોને તેમના બાળકોના રસીકરણ માટે જાગૃત કરવા પ્રયાસો કરવાની ભલામણ 2019માં હતી.

દૂરના ગામડાં માટે સેટકોમનો ઉપયોગ કરવો જોઇએ.

પોલીયોની રસી પીવડાવો

સૂક્ષ્મ વિષાણુઓથી થતો બાળ લકવો, બાળકનાં અંગોનાં સ્નાયુઓમાં અસર કરી કાયમ માટે અપંગ બનાવી દે છે અને કોઈક વખત આખા શરીરનાં સ્નાયુઓમાં અને મગજમાં ફેલાઈ બાળક માટે જીવલેણ બની જાય છે.

પોલિયો વાઇરસ આર.એન.એ. પ્રકારનાં મુખ્યત્વે ત્રણ ટાઈપનાં છે. મોં વાટે તેનાં વાઇરસ દાખલ થઈ દર્દીનાં ઝાડા મારફત ફેલાય છે. તે માખીઓ દ્વારા અથવા તો ચેપી માણસો દ્વારા બીજા તંદુરસ્ત બાળકોમાં ફેલાય છે. જો પીવાના પાણીનું ગટર સાથે જોડાણ થઈ જાય તો કોઈક વખત પાણી વાટે પણ ફેલાઈ શકે છે.

મુખ્યત્વે ચોમાસામાં કે ઉનાળામાં ફેલાતો આ રોગ બાળકનાં આંતરડામાં હુમલો કરી કોલોની બનાવે છે અને ત્યાંથી લોહીમાં ભળી જાય છે. આ સ્થિતિમાં બાળકને તાવ અને દુખાવો થાય છે. પછીથી આગળ વધતાં પોલિયોના વિષાણુ કરોડરજ્જુના ચેતાકોષો, લંબમજજા અને મગજના ચેતાકોષો પર ભેગા થઈ તેને નુકસાન કરે છે. આટલે સુધી હજુ પણ લકવો પડતો નથી અને અંગોને બચાવી શકાય છે, પરંતુ પછીથી એકવાર આ ચેતાકોષો નકામા પડી જાય ત્યારે તેના લીધે આખા અંગના જે તે સ્નાયુઓમાં લકવો પડી જાય છે.

બાળકની આ સ્થિતિમાં નાનાં ઓપરેશનો જેવાં કે, કાકડાના કે દાંત ખેંચવાના અથવા તો તાવ માટે ઈંજેકશન આપવામાં આવે તો, બાળકને તે પગમાં લક્વો પડવાની શક્યતા વધી જાય છે. માટે ચોમાસામાં આ સ્થિતિમાં બાળકને ઇંજેક્શન આપતાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત બાળકની સ્થિતિમાં વધારાના શ્રમથી કે કસરતોથી, બાળકને લકવો પડવાની શક્યતા વધી જાય છે.

લકવાનાં લક્ષણો

ચેપ લાગ્યા પછી ૭થી ૧૪ દિવસમાં બાળકને લક્ષણો દેખાવા લાગે છે. તાવ, ઊબકા, માથાનો દુખાવો વગેરે જણાય છે. સાથે સાથે બાળકની ડોક કડક બની જાય છે. અને આપણને મગજના સોજાનો આભાસ થાય છે.

જો રોગ આગળ વધે અને ચેતાકોષો પર હુમલા થવાના ચાલુ થાય તો બાળકનાં જે તે અંગમાં લકવો પડી જાય છે. આ લકવો જો આગળ વધે અને ઉપર લંબમજજા કે મગજ સુધી પહોંચે તો ખોરાક ગળવાનાં અને મોંના સ્નાયુઓને પણ અસર પહોંચે છે. બાળકને ખોરાક ગળવાની મુશ્કેલી પડે છે. પ્રવાહી સીધું ગળામાંથી શ્વાસનળીમાં જતું રહેતાં ન્યુમોનિયા થઈ શકે છે. મગજનાં કોષોને અસર થતાં બાળક ભાન ગુમાવે છે. શ્વસન સ્નાયુઓને લકવો થવાથી અંતે શ્વસનમાં તકલીફ થઈ બાળક ગંભીર બની જાય છે.

નિદાન

બાળકનાં લકવો પડવાનાં સમય પછીથી તેનાં લકવો પડેલાં અંગની તપાસથી જ નિદાન સરળ બની જાય છે. છતાં પણ તેને લકવો કરે તેવી બીજી બીમારીઓથી અલગ પાડવું પડે છે.

સારવાર

નિદાન થયા પછી તરત જ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવવું પડે છે. સ્નાયુઓ સંપૂર્ણ આરામ, દુખાવો દૂર કરે તેવી દવાઓ, ઇન્ફ્રારેડ લાઈટનો શેક અને અંગની આરામદાયક સ્થિતિ એ મુખ્ય સારવાર છે. લકવાના વાઇરસ સામેની કોઈ જ ચોક્કસ દવા હજુ સુધી ઉપલબ્ધ નથી. પરંતુ બીજા કોઈ જીવાણુનો ચેપ ના લાગે તે માટે સાથે સાથે એન્ટિબાયોટિક્સની દવાઓ આપવી જરૂરી છે.

જેવો સ્નાયુઓનો દુખાવો અને અક્કડપણું ઓછાં થાય એટલે તરત જ કસરતો ચાલુ કરાવવી જરૂરી છે. નહીંતર તે પગ બેડોળ બની લબડી પડે છે. તેમ ના થાય તે માટે, ફિઝિયોથેરાપિસ્ટની મદદથી જુદી જુદી કસરતો ચાલુ કરાવવી.

પછીથી પણ જો ખોડ રહેતી લાગે તો, બાળકને સ્પ્રિંગવાળા બૂટ કે ઘોડીની મદદથી પગને ટેકો આપી ચાલતો કરી શકાય. સ્નાયુઓ લબડી પડવાથી જો પગ બેડોળ થઈ ગયા હોય તો તેને ઓપરેશન કરી ઠીક કરી શકાય છે.

બાળ લકવાની રસી- (OPV)

મોંએથી ચમચાના રૂપમાં પિવડાવવાની આ રસી સેબીને શોધી હતી. તે પહેલાં ઈંજેકશનના રૂપમાં પણ આ રસી અપાતી હતી, પરંતુ મોંએથી અપાતી રસી આપવી સરળ હોવાથી, આંતરડામાં જ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરતી હોવાથી, તથા તેનાથી ઉત્પન્ન થતી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાથી અત્યારે એ જ વપરાશમાં છે. જેને ઓરલ પોલિયો વેક્સીન (OPV) કહેવામાં આવે છે.

તેના પ્રાથમિક પાંચ ડોઝ-જન્મ સમયથી ચાલુ કરી ૪થી ૬ અઠવાડિયાને અંતરે અને બે પૂરક ડોઝ ૧૮ માસે અને ૫ વર્ષે આપવામાં આવે છે.

બાળકને તાવ હોય કે ઝાડ-ઊલટી હોય ત્યારે આ રસી આપવી નહિ. આ રસી આપ્યા પછી કોઈ મોટી આડઅસર જોવા મળતી નથી.

પોલિયોની રસી (OPV) દ્વારા ભારત સરકારની આપણા દેશમાંથી સંપૂર્ણપણે પોલિયો નેસ્તનાબૂદ કરી તેને હાંકી કાઢવાની નેમ હતી. આપણા દેશના બાળકોનાં આંતરડામાં પોલિયોના સામાન્ય ઉપરાંત કેટલાક જલદ વિષાણુઓ (વાઈલ્ડ વાઈરસ) પણ માલૂમ પડયાં. તેથી ચાલુ રસીઓના ડોઝ ઉપરાંત વધારાના બે ડોઝ (પલ્સ પોલિયો) આપવામાં આવે તો જ તે બિલકુલ નાબૂદ થાય તેમ હતા. તેથી સરકારે ઘનિષ્ઠ ઝુંબેશ દ્વારા દરેક બાળકને ‘પલ્સ પોલિયો’ આપી વધારાનું રક્ષણ આપેલ છે.

અને ક્રમશઃ આપણા દેશમાંથી પોલિયો પણ રસીકરણ દ્વારા શીતળાની જેમ કાયમ માટે વિદાય લઈ રહ્યો છે, અને હવે બાળકોમાં પોલિયોનાં કેસ લગભગ નહિવત્ થઈ ગયા છે.

આમ જો સંપૂર્ણપણે પોલિયો જેવા કાયમી રોગને હાંકી કાઢવામાં આપણે સફળ થઈ જઈએ, તો આપણા ઘનિષ્ઠ રસીકરણ કાર્યક્રમની એક અન્ય સિદ્ધિ ગણી શકાય.

આ મહત્ત્વની અને જીવન રક્ષક શોધ અમેરિકાના વિજ્ઞાાની જોનાસ સોલ્કે કરેલી.

જોનાસ સોલ્કનો જન્મ ઈ.સ. ૧૯૧૪ના ઓક્ટોબરની ૨૮ તારીખે ન્યૂયોર્કમાં થયો હતો. તેના માતાપિતા અભણ અને ગરીબ હતા પરંતુ તેમણે જોનાસને ખૂબ જ ખંતથી ભણાવેલો. ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ મેડિસીનમાં અભ્યાસ કરી જોનાસ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૫૫માં તેણે પોલિયોની રસીની શોધ કરી. તેણે ઈન્જેક્શન દ્વારા

અપાતી રસી શોધેલી. હાલમાં ટીપાં દ્વારા પિવડાવાતી રસીની શોધ આલ્બર્ટ સાબિન નામના વિજ્ઞાાનીએ કરેલી. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. બંને તેની પેટન્ટ મેળવી જંગી કમાણી કરી શક્યા હોત.

રસીની શોધ કર્યા પછી જોનાસે પોતાના પરિવારના સભ્યો પર જ પરીક્ષણો કરીને તે સફળ હોવાનું સાબિત કર્યું હતું. જોનાસે રસીની શોધ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા. ઈ.સ. ૧૯૯૫ના જૂનની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.