એમસીએ અને એમબીએમાં 4 હજારને પ્રવેશ અપાયો

એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં આપેલી ચોઇસના આધારે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. જેમાં કુલ ૧૯૪૩૪ બેઠકોની સામે ૪૦૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતાં ૧૫૩૦૧ બેઠકો ખાલી પડી છે. જેમાં એમબીએમાં ૯૬૩૩ બેઠકોની સામે ૨૮૨૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતાં ૬૯૬૬ બેઠકો ખાલી રહી છે.

આજ રીતે એમસીએમાં ૪૭૨૩ બેઠકોની સામે ૫૩૩ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતાં ૪૨૧૯ બેઠકો ખાલી પડી છે. એમસીએ લીટરલમાં ૪૭૯૬ બેઠકોની સામે ૬૮૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતાં ૪૧૧૬ બેઠકો ખાલી પડી છે. આમ, એમબીએ-એમસીએ અને એમસીએ લીટરલની મળીને કુલ ૧૫૩૦૧ બેઠકો ખાલી રહી છે.

રાજ્યની એમ.ઇ. અને એમ.ફાર્મ. કોલેજોમાં પ્રવેશ માટેનું મેરિટલિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એમ.ઇ.ના મેરિટમાં કુલ ૩૯૬૦ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. એમ.ઇ.ની કુલ ૭૬૫૫ બેઠક છે જેની સામે અડધા વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો છે. એમ.ફાર્મ.માં કુલ ૧૮૮૭ બેઠકની સામે મેરિટલિસ્ટમાં ૯૩૫ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આગામી દિવસોમાં ૨૩મીથી ૨૪મી જુલાઇ દરમિયાન વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.