કોંગ્રેસ પ્રવકતા પદેથી રાજીનામુ આપી ચૂકેલા બદરૂદ્દીન શેખ અને દીનેશ શર્મા વચ્ચે ચડસાચડસી

અમદાવાદ,તા.૫
અમપામાં ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે વિપક્ષનેતા દીનેશ શર્માએ ઓકટોબરની સામાન્યસભામાં ઉગ્ર વિરોધ કરવાથી લઈ સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં કોંગ્રેસ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં મંગળવારે આ મામલે દીનેશ શર્માની પ્રતિક્રીયા એવી આવી કે,ભાજપ કે કમિશનર નહેરા હવે તેમના નિર્ણયમાં ફેરબદલ કરવાના નથી.ત્યારે કાયમ માટે આંખ લડે એ સારુ ન કહેવાય.આમ કહી દીનેશશર્માએ ગર્ભિત ઈશારો કરી દીધો કે,આ નિમણૂંકમાં ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં કયાંકને કયાંક તેમની પણ સંમતિ હતી.આ તરફ કોંગ્રેસના પ્રવકતા તરીકે બહેરામપુરાની પેટાચૂંટણી અગાઉ રાજીનામુ આપી ચુકેલા બદરૂદીન શેખે આ મામલે તેમનો વિરોધ જારી રાખતા પક્ષના બે નેતાઓ વચ્ચે શીતયુધ્ધ શરૂ થઈ ગયુ છે.

આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૦૦ના વર્ષથી બદરૂદીન શેખ કોંગ્રેસ તરફથી ઘણી સત્તા ભોગવતા આવ્યા છે.વર્ષ-૨૦૦૦માં અમપામાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ બદરૂદીન શેખને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા.અઢી વર્ષ સુધી તેઓ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રહ્યા હતા.બાદમાં વર્ષ-૨૦૦૫ની અમપાની સામાન્ય ચૂંટણીમાં તેમનો પેનલ સાથે પરાજય થયો હતો.વર્ષ-૨૦૧૦માં તેમણે દાણીલીમડા બેઠક પરથી જીત મેળવ્યા સતત પાંચ વર્ષ વિપક્ષનેતા પદે રહ્યા.કોંગ્રેસના અન્ય કોર્પોરેટરોને અમપાની વિવિધ કમિટીઓમાંથી રાજીનામા અપાવી દઈ પોતે સ્ટાફ સિલેકશન કમિટી,રીવરફ્રન્ટ સહીતની કમિટીઓમાં હોદ્દા અને સવલતો ભોગવતા રહેતા કોંગ્રેસના કોર્પોરેટરોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.

આસિસ્ટન્ટ કમિશનરોની નિમણૂંકનો વિવાદ કોંગ્રેસના વિરોધ સાથે સોમવારે પુરો થઈ ગયો.કમિશનર નહેરાએ દસ લોકોને એક વર્ષ માટે પ્રોબેશનથી નિમણૂંક આપી દીધી.છતાં બહેરામપુરાના કોર્પોરેટર દ્વારા મંગળવારે પણ નિમણૂંક મામલે અખબારી યાદી જારી કરાતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.કોંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે શરૂ થયેલા શીતયુધ્ધ મામલે એક કોર્પોરેટરે નામ ન આપવાની શરતે કહ્યુ,બદરૂદીન શેખે તો અમારા પક્ષમાંથી બહેરામપુરામા પોતાની પસંદગીનો ઉમેદવાર ન મુકાતા રાજીનામુ આપી દીધુ છે.હવે એમને કયાં કોંગ્રેસ તરફથી નિવેદનો કરવાની જરૂર છે.

પીરાણા ડમ્પસાઈટ પાંચ વર્ષ બાદ યાદ આવી.

વર્ષ-૨૦૧૦થી સતત પાંચ વર્ષ વિપક્ષનેતા તરીકે રહેલા બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન શેખને પાંચ વર્ષ વિવિધ સવલતો ભોગવતી વખતે પીરાણાની ૧૬ માળની ડમ્પસાઈટ કયારેય યાદ નહોતી આવી.જેવી વિપક્ષનેતા તરીકેની સત્તા ગઈ કે તરત પીરાણા ડમ્પસાઈટ મામલે જલદ આંદોલન કરવાની હાલત કેમ યાદ આવી એવો સવાલ પણ એક સિનિયર કોંગ્રેસી કોર્પોરેટરે વિવાદ સંદર્ભમાં કર્યો છે.

કમિશનરે એક વર્ષ માટે કોને-કોને નિમણૂંક આપી.

અમપામાં એક ખાલી અને નવી ખોલવામાં આવેલી ૨૪ મળી કુલ ૨૫ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની જગ્યા પૈકી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ૧૦ લોકોને એક વર્ષના પ્રોબેશન માટે રાજય સરકારની મંજૂરીની અપેક્ષાએ નિમણૂંક આપી છે.જેમાં દેવેન ભટ્ટ,રાહુલ શાહ,પંકજકુમાર નરસિંહભાઈ,પૃથ્વીરાજ ઝાલાની જનરલ કેટેગરીમાં, પ્રજાપતિ,હાર્દીક ઠાકોરની એસઈબીસી કેટેગરીમાં,સાગર જગદીશભાઈની એસ.સી.કેટેગરીમાં,નરેન્દ્ર ગમારાની એસ.ટી.કેટેગરીમાં,દીવ્યેશ પટેલની એસ.ટી.કેટેગરીમાં અને શ્રીકુમાર સોનીની ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નિમણૂંક આપી ફીટનેસ સર્ટી સાથે તમામને નિમણૂંક આપવાના ઓર્ડર કરાયા છે.