ખેતીની જમીન હવે ઝડપથી ઘટશે, ઓનલાઈન બિનખેતીની મંજૂરી શરૂં

સમગ્ર રાજ્યમાં જમીનને લગતી એનએની કામગીરી આજથી હવે ઓનલાઇન શરૂ થઈ રહી છે. આ પ્ર‌િક્રયા માટે પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની પસંદગી કરાઇ છે. સૌપ્રથમ અમદાવાદથી 17 ઓગષ્ટે કામગીરી શરૂ થઈ હતી. આમ થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપથી ખેતીની જમીન ઘટવા ગાલશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 2017ના છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન એન.એ.કરવા અંતર્ગત ૨૦૧૬માં અમદાવાદ જિલ્લામાં ૧,૨૫,૬૨,૭૮૪ ચો.મી. અને ગાંધીનગર જિલ્લામાં ૧૭,૦૫,૧૭૬ ચો.મી. તેમજ ૨૦૧૭માં અનુક્રમે ૧,૦૬,૦૭,૦૯૫ અને ૨૪,૪૬,૧૭૧ ચો.મી.જમીન એન.એ.માં ફેરવવામાં આવી છે. એન.એ.માં ફેરવવાથી અમદાવાદ જિલ્લામાં ૨,૩૧,૬૯,૭૮૯ ચો.મી અને ગાંધીનગર જિલ્લામાં ૪,૧૫,૧૩,૩૪૭ ચો.મી.જમીન ઓછી થઇ છે.મહેસૂલપ્રધાને જણાવ્યું કે, એન.એ.ની પ્રક્રિયા સરળ થાય તે માટે રાજ્ય સરકારે અનેક પ્રયત્નો કર્યા છે તેમાં અગાઉ ૨૭ જેટલી બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી. જે આજે માત્ર ૬ જેટલી બાબતો ના-વાંધાપ્રમાણપત્ર સાથે સરળતાથી અરજદારની અરજીનું એન.એ. કરવામાં આવે છે.

ત્યારબાદ તેમાં સુધારા-વધારાનાં સૂચનો અને કામગીરીની સફ્ળતા બાદ રાજ્યભરમાં તેના અમલ બાબતે વિચારણા હાથ ધરાશે. હાલના તબક્કે આ પ્રોજેક્ટ માત્ર ટ્રાયલ રન રહેશે. આ માટે પાંચ સભ્યનો સ્ક્રૂટિની સેલ ઊભો કરાયો છે. અરજદારોની જે અરજીઓ આવશે અને તેમાં જે રેકોર્ડ રજૂ કરવામાં આવ્યાે હશે તેનું આ સેલ વેરિફિકેશન કરશે

ઓનલાઇન એનએ પ્રક્રિયામાં કામગીરી ઝડપી બનશે. સામાન્ય સંજોગોમાં અરજદારે અરજી કર્યા બાદ જરૂરી પુરાવા પૂરતા પ્રમાણમાં મૂક્યા હશે તો ૪પ દિવસમાં તેનો નિકાલ આવશે જ્યારે કોઈ વિવાદિત કિસ્સામાં વધુમાં વધુ ૯૦ દિવસનો સમય લાગશે અને તેના માટે ગાંધીનગર અને અમદાવાદનો ડેટા બેઝ તૈયાર કરી દેવાયો છે. ૧ લાખથી વધુ રેકોર્ડનો ઓનલાઇન ડેટા બેઝ તૈયાર કરાયો છે. વધુ કામગીરી હાલમાં ચાલુ છે

પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે અરજદારે એનએ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજદારે એનએ માટે જે અરજી કરી હશે તેમાં તે જમીનના ૭-૧ર અને ૮-અના ઉતારા તેમાં વારસાઈમાં જેટલાં નામ હોય તે તમામના સહી-સિક્કા સાથેના સોગંદનામા સાથેનો તમામ રેકોર્ડ રજૂ કરવો પડશે.

વિદેશમાં રહેતી વ્યક્તિની પાવર ઑફ એટર્ની નહીં, છેલ્લે પાંચ સભ્યની ટીમ દ્વારા અરજી સાથે જોડાયેલ રેકોર્ડ ચેક કરવામાં આવશે તેનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ તેને ઓનલાઇન એન્ટર કરવામાં આવશે. ઓનલાઇન અરજીની ચકાસણી માત્ર ત્રણ દિવસમાં જ કમિટીએ કરી લેવાની રહેશે

ત્યારબાદ કલેકટર દ્વારા જરૂર પ્રમાણે ઓપિનિયન મંગાવવામાં આવશે. અરજી માટે ત્રણ ચેનલ નિયત કરાઈ છે-ગ્રીન, યલો અને રેડ. ગ્રીન ચેનલમાં અરજીનો નિકાલ ૧પ દિવસમાં થશે. યેલો ચેનલમાં ૪પ દિવસમાં અરજદારને હા કે નાનો જવાબ મળી જશે, જ્યારે રેડ ચેનલમાં ૯૦ દિવસમાં જવાબ મળશે.

અગાઉ એનએ માટેની ફાઈલ જુદાં જુદાં ૧પ ટેબલ પર ફરતી હતી. હવે માત્ર ત્રણ લેવલ પરથી પસાર થશે, જેમાં ચીટનીશ અરજીની ચકાસણી કરશે. ત્યારબાદ એડિશનલ કલેક્ટરને મોકલશે. તેઓ ચકાસણી કરીને કલેકટરને મોકલશે. જિલ્લા કલેકટર અરજી અંગે આખરી નિર્ણય લેશે.

કલેક્ટર કચેરીમાં જમીન રિ-સર્વેની વાંધાઅરજીઓનો તબક્કાવાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે આગામી સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે તેમજ ૧૦૦ ટકા જમીન માપણી રિ-સર્વેની અને વાંધાઅરજીઓના નિકાલની કામગીરી પૂર્ણ કરાશે.

આ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી જમીન માપણી રિ-સર્વેની બાબતમાં ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી સરકાર પોતાનો રેકોર્ડ ફાઇનલ નહીં કરે. રિ-સર્વેમાં વાંધાઅરજીઓનો નિકાલ કરવા માટે જિલ્લામાં કેમ્પ યોજવામાં આવશે, જેમાં પ્રથમ કેમ્પ આજે દસક્રોઇ તાલુકામાં યોજાયો છે, જેમાં રિ-સર્વેમાં વાંધા અંગેની કુલ ૧૦૦૦ અરજીઓનો નિકાલ કરાશે અને તેના અરજદારને રેવન્યૂ રેકોર્ડમાં અસરવાળી ઓર્ડરની કોપી આપવામાં આવશે.