ગાંધીજીનું રેંટીયાથી કાપડ ઉદ્યોગનું 100 વર્ષમાં સ્વપ્ન પૂરું ન થયું

ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હજાર લોકો મીલમાં બનેલા દોરાથી ખાદીના નામે કાપડ વણીને 171 વેચે છે. ખાદી વણવાનું હવે સદંતર બંધ થઈ ગયું છે. 15 ઓગસ્ટે સ્વરાજ અને આઝાદીમાં ખાદી ઉદ્યોગની વિગતો ચોંકાવનારી છે.

આમ ગાંધીજીનું સ્વપ્ન ગુજરાતના રાજકારણીઓ અને અધિકારીઓએ રોળી નાંખ્યું છે. ગુજરાતના ખેડૂતોએ એક કરોડ કપાસની ગાંસડી પેદા કરી બતાવીને મબલખ રૂ પેદા કરી બતાવ્યું છે. પણ સરકારી યોજનાઓએ ખાદીનું નિકંદન કાઢી નાખ્યું છે.

શું હતું ગાંધીજીનું સ્વપ્ન ? 

ગાંધીજી સને 1908માં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાં રેંટિયાથી જ હિન્દુસ્તાનની ગરીબી મટી શકે અને આઝાદી મળી શકે તેવું લખ્યું અને માન્યું હતું. ત્યારથી તેઓ રેંટિયો શોધતાં રહ્યાં હતા. 10 વર્ષ પછી  સને 1917-18માં રેંટિયો તેમને મળ્યો હતો. રેંટિયો તત્કાલીન ગાયકવાડ સ્ટેટના વિજાપુર નગરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.

જેને શોધી કાઢવાનું કામ ગંગાબેન નામનાં વિધવા બહેને કરેલું. વિધવા એવા ગંગાબેનએ તેમના જીવનમાંથી અસ્પૃસ્યતા  કાઢી નાખેલી અને બેધડકપણે અત્યંજોમાં ભળતાં, આ બાબત બાપુને હૃદયસ્પર્શી ગઈ હતી. ગંગાબહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદ વખતે ગાંધીજીને થયો હતો. ત્યારે બાપુએ તેમને રેંટિયા અંગે વાત કરી. ગંગાબહેને બાપુની વાતમાનીને રેંટિયાની શોધમાં ગામડાં ખૂંદવાનું શરૂ કર્યું હતું.

આખા ગુજરાતમાં ભટકયા પછી ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળ્યો હતો. તે સમયે અહીંનાં અનેક કુટુંબો પાસે રેંટિયો હતો, પણ પૂણી મળતી નહોતી અને સૂતર લેનાર કોઈ ન હોવાથી દોરા બનાવવાનું કામ બંધ થઈ ગયું હતું. દોરો બનાવનારા રેંટિયા બધાએ મેડા ઉપર ચડાવી દીધા હતા. ગંગાબહેને વિજાપુરની મહિલાઓ પાસેથી આ વાત જાણતાં બાપુને સઘળી વાત કરી. તે પછી બાપુના કહેણથી મરહૂમ ઉમર સોબાનીએ તેમની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. તે ભૂંગળાં ગંગાબહેને આ બહેનો સુધી પહોંચાડયાં. રેંટિયા ફરી શરૂ થયા હતા.

રેંટિયાની તાલીમ કાણોદરમાં લીધેલી
ગાંધીજીને જ્યારે રેંટિયો મળ્યો, ત્યારે તે શીખવાનું કામ કપરું હતું. આથી ગાંધીજીએ તેમના પુત્ર મણિલાલ ગાંધીને કાણોદર મોકલેલા અને તેઓ કરીમભાઈ નૂરભાઈ પોલરાના મકાનમાં બે મહિના સુધી રોકાયેલા. જયાં તેમની પત્ની મલુકબેને તેમને રેંટિયાની તાલીમ આપી હતી.

બાપુ વિજાપુરની ખાદી પહેરતા
ખાદીમય બનવા અધીરા થયેલા બાપુનું ધોતિયું દેશી મિલના કાપડનું હતું. જે ખાદી માત્ર વિજાપુરમાં અને આશ્રમમાં તૈયાર થતી હતી. તે બહુ જાડી અને ૩૦ ઈંચ પનાની હતી.બાપુએ ગંગા બહેનને ૪૫ ઈંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસમાં પૂરું ન પાડે તો જાડી ખાદીનું અડધિયું પહેરીને નભિાવ કરવાનું કહેતાં ગંગાબહેને મહિનાની અંદર ૫૦ ઈંચનો ધોતીજોટો પૂરો પાડેલો.

વિજાપુરની ખાદી પંકાઈ
સંપૂર્ણ સ્વદેશી કાપડ બનાવવા પાછળ બાપુનો મુખ્ય આશય ગરીબોને રોજગારી મળે તેવો હતો. આથી તેમણે મિલમાલિકો પાસેથી પૂણી લેવાનું બંધ કર્યું અને પૂણી બનાવનારને શોધવાનું કામ ગંગાબહેનને સોંપ્યું. તેમણે પીંજારાને શોધી કાઢી તેને દર માસે રૂ.૩૫ના પગારથી નોકરીએ રાખ્યા હતા. તેણે બાળકોને પૂણી બનાવતાં  શીખવ્યું હતું. પૂણી માટે જોઈતું રૂ પૂરું પાડવાનું કામ યશવંતપ્રસાદ દેસાઈએ માથે લીધું હતુ. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું સૂતર વણાવવાનું શરૂ કર્યું. આમ, વિજાપુરની ખાદીની ચોતરફ બોલબાલા વધી હતી.

રેંટિયો આશ્રમમાં
ત્યાર પછી રેંટિયોનું કામ આશ્રમમાં હાથ ધરાયું. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શંકરલાલ બેન્કરનાં માતા અને વસુમતીબહેન વગેરે આશ્રમમાં જ કાંતવાનું શીખેલા. બાપુએ પણ રેંટિયો કાંતવાનું શરૂં કર્યું હતું.

ખાદી વણવાની સાળ પાલનપુરની
ગાંધીજી એવું માનતા કે, જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે જ સ્વરાજ મળે. એના માટે ખાદીવણાટ શ્રેષ્ઠ માર્ગ લાગ્યો. સને ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ ભારત ફર્યા ત્યારથી તેઓ રેંટિયો શોધતાં રહ્નયા હતા. અમદાવાદમાં આશ્રમ શરૂ કર્યો ત્યારે ખાદી વણવા માટે સાળ વસાવેલી. આ સાળ પાલનપુરમાંથી લાવેલા અને સાથે એક શીખવનાર કારીગર પણ હતા. આ રીતે બાપુની ખાદીની શોધ પૂરી થઈ હતી.

ગાંધીજી ખાદી માટે શું માનતા હતા તે તેમના જ શબ્દોમાં … 

‘ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુ-મુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો. વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરંત ન થઈ શકે એમ તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઇચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો.

ખાદીનો જન્મ

સન 1908 સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયા હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંદુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધા અણજાણ, એટલે સાળ મેળવ્યે સાળ ચાલે તેમ નહોતું. અમે બધા કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા. એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.

વિદેશી સુરતનું જ કાપડ ભારતમાં બનતું હતું

અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતાં. તેથી મિલના કપડાં પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું. હિંદુસ્તાનના વણકરોનાં જીવનની, તેમની પેદાશની, તેમને સૂતર મળવામાં પડતી મુશ્કેલીની, તેમાં તેઓ કેમ છેતરાતા હતા તેની, ને છેવટે તેઓ દિવસે દિવસે કેમ કરજદાર થતા હતા તેની ખબર પડી. અમે પોતે તુરત અમારું બધું કાપડ વણી શકીએ એવી સ્થિતિ તો નહોતી જ, તેથી બહારના વણકરોની પાસે અમારે જોઈતું કપડું વણાવી લેવાનું હતું. કેમ કે દેશી મિલના સૂતરનું હાથે વણાયેલું કપડું વણકરો પાસેથી ઝટ મળે તેમ નહોતું. વણકરો સારું કપડું બધું વિલાયતી સૂતરનું જ વણતા હતા. કેમ કે આપણી મિલો ઝીણું સૂતર નહોતી કાંતતી. આજ પણ પ્રમાણમાં ઝીણું સૂતર ને ઓછું જ કાંતે છે, બહુ ઝીણું તો કાંતી જ શકતી નથી. મહા પ્રયત્ને કેટલાક વણકરો હાથ આવ્યા, જેમણે દેશી સૂતરનું કાપડ વણી આપવાની મહેરબાની કરી. આ વણકરોને દેશી સૂતરનું વણેલું કાપડ ખરીદી લેવાની આશ્રમ તરફથી ખોળાધરી આપવી પડી હતી. આમ ખાસ તૈયાર કરાવેલું કાપડ વણાવી અમે પહેર્યું ને મિત્રોમાં તેનો પ્રચાર કર્યો. અમે તો કાંતનારી મિલોના બિનપગાર એજંટ બન્યા. મિલોના પરિચયમાં આવતાં તેમના વહીવટની, તેમની લાચારીની માહિતી મળી. અમે જોયું કે; મિલોનું ધ્યેય પોતે કાંતીને પોતે વણવાનું હતું. તેઓ હાથસાળની ઇચ્છાપૂર્વક મદદગાર નહોતી, પણ અનિચ્છાએ હતી.

આ બધું જોઈને અમે હાથે કાંતવા અધીરા થયા. હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું.

વિજાપુરના ગંગાબાઈએ રેંટિયો આપ્યો

પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર. કોકડાં વગેરે ભરવાના રેંટિયા તો અમારી પાસે હતા, પણ તેમની ઉપર કાંતી શકાય એવું તો ભાન જ નહોતું. એક વેળા એક બાઈને કાળિદાસ વકીલ શોધી લાવ્યા. તે કાંતી બતાવશે એમ તેમણે કહ્યું. તેની પાસે એક આશ્રમવાસી, જે નવાં કામો શીખી લેવામાં બહુ પ્રવીણ હતા, તેમને મોકલ્યા; પણ કસબ હાથ ન લાગ્યો. વખત તો વહેવા લાગ્યો. હું અધીરો બન્યો હતો. ખબર આપી શકે એવા જે આશ્રમમાં ચડી આવે તેમને હું પૂછું. પણ કાંતવાનો ઇજારો તો સ્ત્રીનો જ હતો. એટલે ખૂણેખાંચરે કાંતવાનું જાણનારી સ્ત્રી તો સ્ત્રીને જ મળે.

ભરૂચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન 1917ની સાલમાં ઘસડી ગયા હતા. ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તેમનું ભણતર બહુ નહોતું, પણ તેમનામાં હિંમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતા વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૃશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી. શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્દલ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.

ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો ને તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતા. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ભૂંગળા ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.

રૂ – પૂણીની ભીખ માંગી

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં, તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરમાં શો દોષ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢયો. તેને દર માસે રૂ.35ના કે એથી મોટા પગારથી રોક્યો. પૂણી બનાવતાં બાળકોને શીખવ્યું. મેં રૂની ભિક્ષા માગી. ભાઈ યશવંતપ્રસાદ દેસાઈએ રૂની ગાંસડીઓ પૂરી પાડવાનું માથે લીધું. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું સૂતર વણાવવાનું શરૂ કર્યું. વિજાપુરની ખાદી પંકાઈ.

17 આના વારની ખાદી વેંચી

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડયું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા ને તેમણે હોંશે આપ્યા.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછયા કરતો. ત્યાં બે કાંતનારી બહેનો હાથ લાગી. તેમને એક શેર સૂતરનો એક રૂપિયો આપ્યો. હું ખાદીશાસ્ત્રમાં હજુ આંધળોભીંત જેવો હતો. મારે તો હાથે કાંતેલું સૂતર જોઈતું હતું, કાંતનારી જોઈતી હતી. ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શ્રી શંકરલાલ બેંકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સોજામાંદો કરવામાં ક્યાં ઓછો છે? રેંટિયાને મેં પણ હાથ લગાડયો. આનાથી આગળ આ વેળા હું નહોતો જઈ શક્યો.

વૈષ્ણવોને ખાદી વેંચી

અહીં હાથની પૂણીઓ ક્યાંથી લાવવી? શ્રી રેવાશંકર ઝવેરીના બંગલાની પાસેથી રોજ તાંતનો અવાજ કરતો પીંજારો પસાર થતો. તેને મેં બોલાવ્યો. તે ગાદલાનું રૂ પીંજતો. તેણે પૂણીઓ તૈયાર કરી આપવાનું કબૂલ કર્યું. ભાવ આકરો માગ્યો તે મેં આપ્યો. આમ તૈયાર થયેલું સૂતર મેં વૈષ્ણવોને પવિત્રાં કરવા સારુ દામ લઈ વેચ્યું. ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢયો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું. દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો 45 ઇંચ પનાનું ખરીદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડયો ને મારું દારિદ્ય ફિટાડયું.

રામજીભાઈ અને ગંગાબેનેએ મોટા પાનાની ખાદી વણી

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વલાણી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાંઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.

સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનના ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે. રેંટિયાપ્રવૃત્તિ કેટલી સફળ થશે એ તો હું નથી જાણતો. હજુ તો માત્ર તેનો આરંભકાળ છે. પણ મને તેમાં પૂરો વિશ્વાસ છે. ગમે તેમ હોય પણ તેમાં નુકસાન તો નથી જ. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાપડમાં જેટલો વધારો આ ચળવળથી થાય એટલો લાભ જ છે. એટલે આ પ્રયત્નમાં તમે કહો છો તે દોષ તો નથી જ.’

આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડયો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.’

ગાધીજીના શબ્દોમાં ખાદીની અહીં વાત પૂરી થાય છે.

ગાંધીજીએ ખાદીની શોધ કરીને પોતાની આત્મકથા પૂરી કરી હતી. તેનો મતલબ કે તેમણે ભારતમાં ખાદીને આઝાદી મેળવવાની લગતનું હથિયાર માન્યું હતું. ચરખાથી તેઓ આઝાદી અપાવવા માંગતાં હતા. હવે એજ ખાદી સંસ્થાઓ કરોડો રૂપિયાની જમીન વેંચી રહ્યાં હતા. અંદરો અંદર લડી રહ્યાં હતા.

શું છે આજે ખાદીની હાલત ?

ગુજરાતની 70 ટકા ખાદી વણતી સંસ્થાઓ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ભારતમાં 15 લાખ લોકોને ખાદી રોજગારી આપતી હોવાનું કેન્દ્ર સરકાર માને છે. 111 મીલીયન ચોરસ મીટર ખાદી દેશમાં વણાય છે.

કેટલાં ખાદી વણનારા ?

ગુજરાતમાં 16,384 ખાદી તૈયાર કરતા કારીગરો સરકારના ચોપડે છે. હવે આ કારીગરો લુપ્ત થઈ રહ્યા હોય તેમ ખરેખર તો 5,000 કારીગરો જ ખાદી (મીલના દોરાથી) બનાવી રહ્યા છે. ગુજરાતમાં 11,000થી પણ વધુ લોકોને રોજગારી પણ મળી રહી નથી. સરકાર દ્વારા મળતી સહાયની રકમ યોગ્ય રીતે વપરાતી નથી.

ગુજરાતમાં 171 ખાદી સંસ્થાઓ પૌકી 20થી 30 ખાદી સંસ્થાઓ જ સાચા અર્થમાં ખાદીનું કાપડ બનાવે છે. તેમની પાસે ખાદીના કારીગરો છે. બાકીની સંસ્થાઓએ ચરખામાં તૈયાર થયેલી આંટીને હાથસાળ વડે વણીને આપવી જોઈએ.

કેટલી મજૂરી ?

રૂની પૂણીમાંથી સુતરની આંટી બનાવવાની મજૂરી આંટી દીઠ રૂ. 5.5 કાંતનારને આપવામાં આવે છે. તેમાં થોડો વધારો આપવાની જરૂર છે. મજૂરી ઉપરાંત રાજ્ય સરકાર આંટી દીઠ રૂ. 3 વધારાની સહાય આપે છે. હાથસાળ પર કાપડ વણનારાને મીટરદીઠ રૂ. 20ની મજૂરી મળે છે. વણાટ પર સરકાર એક મીટર રૂ. 6 આપે છે. ખાદી વણનારાઓના ખોટા બેંક ખાતામાં ખાદીના નામે રૂપિયા જમા થઈ રહ્યા છે.

ચરખામાં આંટી કાંતનારી વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 30 આંટી કાંતી શકે છે. જે હિસાબે ચરખો કાંતી રૂ. 255 મજૂરી મેળવી શકે તેમ છે. એક વ્યક્તિ દિવસમાં સરેરાષ 10 મીટર કાપડ વણે છે. આમ બેરોજગારી દૂર કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે. પણ લોકોને પૂરતું વળતર આપવાની ખાદી સંસ્થાઓની ફરજ છે. ગાંધીજીએ ગામડાઓનું અર્થતંત્ર કાપડ વણીને મજબૂત કરવાનું હતું તે હજુ પણ શક્ય છે. હવે કુદરતી કાપડની ભારે માંગ ઊભી થઈ રહી છે.

રૂની પૂણીની પોલ

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન(K.V.I.S.)ના મધ્યપ્રદેશના પ્લાન્ટમાં કપાસમાંથી તૈયાર થયેલી રૂની પૂણી ગુજરાતમાં ખાદી બોર્ડના સુરેન્દ્રનગરના સંગ્રહાલયમાં મોકલાવે છે. ખાદી મંડળીએ તેના 20 ટકા આપવાના રહે છે. ખાદીનું વેચાણ થયા બાદ બાકીની 80 ટકા રકમ આપવાની રહે છે. કારીગરો, ચરખાઓ અને હાથસાળ કાગળ પર જ છે. પૂણી તો મીલમાં આપી દેવામાં આવે છે. સબસીડી અને રિબેટ અંગે ગુજરાત સરકારે તેમાં તપાસ કરી નથી. 200થી 300 રૂપિયે ખરીદાતી પૂણી લેતી હોય એવી 20થી 30 સંસ્થાઓ જ છે. બાકીની ખાનગી પેઢી જેવી 171 સંસ્થાઓ મીલનું કાપડ ખાદી તરીકે વેચે છે. હવે ભૂતીયા કારીગરો રાખે છે.

5 મહિનાનું કામ 15 દિવસમાં કરીને ગાંધીને નામે કૌભાંડ કર્યું

ગુજરાત સરકારે શાળાઓમાં ગણવેશ માટે ખાદીની ખરીદી કરવા માટે 34 સંસ્થાઓને રૂ. 2.48 કરોડનો 1.50 લાખ મીટર ખાદીનું કાપડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને ખાદી બોર્ડે 16 ઓગસ્ટ 2018માં કામ આપ્યું અને 15 દિવસમાં તમામ કાપડ સરકારે વળીને આપી દીધું હતું. જે ખરેખર હાથથી વણતા 5થી 6 મહિલા ગુજરાતના તમામ કારીગર કામ કરે તો થાય તેમ હતું. મિલનું પોલી વસ્ત્ર સરકારને ઊંચા ભાવે આપવામાં આવ્યું હોવાનો આરોપ પણ છે. હાથથી કાપડ વણીને શર્ટનું કાપડ એક મિટરના રૂ. 184 અને ચડ્ડી માટે રૂ. 200 એક મિટરના ગુજરાત સરકારે ચૂકવેલા હતા. જે ખરેખર મીલનું કાપડ રૂ.30થી 60માં મીટર મળી શકે છે. ખાદીના નામે ઊંચા ભાવ આપવામાં આવ્યા હતા. જો ગુજરાત પાસે 20 હજાર કારીગરો ખાદી વણનાર હોત તો આવું ન કરવું પડત.

ખાદીના નામે મીલનું કાપડ આપવામાં આવી રહ્યું છે. ગાંધીજીના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.