ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા રમખાણોમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા તપાસ પછી ક્લીન ચિટ આપવામાં આવી હતી. આ ક્લીન ચિટને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી હતી. આ પછી અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ મોદીને ક્લીન ચિટ આપતા ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. હવે મોદીને ક્લીન ચિટ આપતા ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરવાનું નક્કી કર્યું છે. આ કેસની સુનાવણી હવે ૧૯મીને સોમવારે હાથ ધરાશે.
ગોધરા કાંડ પછી અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં ગુલબર્ગ સોસાયટીમાં હિંસા ફાટી નીકળી હતી અને કોંગ્રેસનાં સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોનાં મોત થયા હતા. બાબરી મસ્જિદ તોડી પાડવાનો બદલો લેવા માટે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨નાં રોજ ગોધરામાં સાબરમતી ટ્રેનને રોકીને તેનાં કોચમાં આગ લગાડાઈ હતી જેમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા ૫૯ કારસેવકોના મોત થયા હતા. આ પછી ગુજરાતમાં ઠેરઠેર રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા.
૬૯ લોકોનાં મોત
ગોધરાકાંડ વખતે અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તોફાનીઓએ હુમલો કર્યો હતો જેમાં કોંગ્રેસનાં સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોનાં મોત થયા હતા. ઘટના પછી સોસાયટીમાંથી ૩૯નાં મૃતદેહો મળ્યા હતા જ્યારે ૩૦ લોકોનાં મૃતદેહ નહીં મળતા તેમને ૭ વર્ષ પછી મૃત્યુ પામેલા ગણવામાં આવ્યા હતા.
સુપ્રીમની દેખરેખ હેઠળ તપાસ
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી દ્વારા ગુલબર્ગ સોસાયટી કેસની બીજી વખત તપાસ કરાઈ હતી. એસઆઈટીએ આ કેસમાં ૬૬ લોકોની ધરપકડ કરી હતી. ઝકિયા જાફરીએ આક્ષેપ કર્યો હતો કે તેમનાં પતિ અહેસાન જાફરીએ વારંવાર ફોન કરવા છતાં મદદ મળી ન હતી અને તોફાનીઓને રોકવામાં આવ્યા ન હતા.
સીટે ૨૦૧૨માં મોદીને ક્લીન ચિટ આપી હતી । રમખાણો વખતે મોદી ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા. ઝકિયા જાફરીએ મોદી અને કેટલાક પ્રધાનો તેમજ અન્ય લોકો સામે ગુનાઈત કાવતરંુ રચવાનાં આરોપો લગાવ્યા હતા. તેમણે ૨૦૦૬માં મોદી, કેટલાંક પ્રધાનો અને અન્ય અધિકારીઓ સામે પોલીસ કેસ કરવાની માગણી કરી હતી. બે વર્ષ પછી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ગુલબર્ગ હત્યાકાંડ ઉપરાંત રમખાણનાં અન્ય ૯ કેસની સીટ દ્વારા તપાસનાં આદેશો આપ્યા હતા. ઝકિયા જાફરીની અરજી તપાસવા સીટની રચના કરવા સુપ્રીમ કોર્ટે ૨૭ એપ્રિલ ૨૦૦૯નાં રોજ આદેશ આપ્યો હતો. સીટ દ્વારા માર્ચ ૨૦૧૨માં ક્લોઝર રિપોર્ટ રજૂ કરીને મોદીને આ કેસમાં ક્લીન ચિટ અપાઈ હતી. ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીનાં નિર્ણયને માન્ય ઠેરવી અરજી ફગાવી હતી