પુલવામા એટેક પછી ભારતે PoKમાં કરેલી એર સ્ટ્રાઈક અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ફાઈટર જેટ વચ્ચે ખેલાયેલી ડોગફાઈટના પગલે બંને દેશની સીમા પર સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ વધતે-ઓછે અંશે યથાવત્ રહી છે. તંગદીલિ વચ્ચે ફરી એકવાર અધૂરી રહેલા ફેન્સિંગનો મુદ્દો ઉછળ્યો છે. ખેડાના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે અધૂરી ફેન્સિંગ અંગે પૂછેલાં એક પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર પાઠવતાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજુજીએ આમ જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ગુજરાતમાં 508 કિલોમીટર લાંબી રણ સરહદ છે. જે પૈકી 340 કિલોમીટર સરહદ પર કાંટાળી વાડ બાંધવી શક્ય છે. જેમાંથી 280 કિલોમીટરની સરહદ પર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે અને માત્ર 60 કિલોમીટર લાંબી સરહદે વાડ બાંધવાનું કામ અધૂરું રહી ગયું છે જે આગામી માર્ચ 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે. લેખીત પ્રત્યુત્તરમાં રિજુજીએ ઉમેર્યું છે કે, 168 કિલોમીટર લાંબી સીમાએ ફેન્સિંગ શક્ય ના હોઈ ત્યાં બીએસએફ દ્વારા વિવિધ પ્રકારે ચાંપતી નજર રખાઈ રહી છે. બીએસએફ સૂત્રોના જણાવ્યા અનુસાર આ 168 કિલોમીટરની સીમા ક્રીક વિસ્તારની છે. વાડ વગરની સીમાએ 2015 બાદ એકપણ વખત ઘુસણખોરી કે દાણચોરી ના થઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
અહીં અનેક પાકિસ્તાનીઓ ઘુસણખોરી કરતાં પકડાયા છે. વર્ષોથી કાંટાળી તારનું ચાલી રહેલું કામ પૂરું થઈ શક્યું નથી.