કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાયા છે. આ સિગ્નલનું લોકેશન અંજાર શહેર અને ચોબારી વચ્ચે જોવા મળે છે. પોલીસે તપાસ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત પહેલા સિગ્નલ મળ્યાં હોવાથી તંત્ર તેને ગંભીર ગણી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બર 2018ના રોજ એક દિવસની મુલાકાત લેશે. તેઓ આણંદ, રાજકોટ અને કચ્છના અંજાર અથવા મુન્દ્રાની મુલાાકત લેશે. સેટેલાઇટ ફોનના જે સિગ્નલ ટ્રેસ થયા છે તે મોદીની જાહેર સભાની નજીકથી મળ્યાં છે. જે સિગ્નલ ટ્રેસ થયા છે તે થુરાયા કંપનીના ફોનના છે. બોર્ડર રેન્જના કહેવા પ્રમાણે ફ્લાઇટને કારણે આ સિગ્નલ ટ્રેસ થયા છે, જેનીતપાસ ચાલી રહી છે. ઓક્ટોબર 2017માં કચ્છની દરિયાઈ સીમાએ લખપત નજીકથી સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાતચીત થઈ હોવાના સિગ્નલ મળ્યાં હતા. બીએસએફના કચ્છના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ આ વાતને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે કચ્છમાંથી સેટેલાઇટ ફોન મારફતે બહાર વાતચીત થતી હોવાના સિગ્નલ વારેવારે ટ્રેસ થાય છે.