નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.28
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ની મેમનગર ખાતેના બોર્ડના કાર્યાલયમાં યોજાયેલી એજીએમ પ્રિસ્ક્રિપ્ટેડ એજન્ડા મુજબ કોઈજ ઉત્તેજના વિના માત્રને માત્ર ચાર હોદ્દાદારોના નામની જાહેરાત સાથે આજે પૂરી થઈ હતી. આ હોદ્દેદારોમાં પણ કોઈ ખાસ આશ્ચર્ય ઉપજાવે એવા નામ સામે આવ્યા નહતા અને પ્રમુખપદેથી અમિત શાહ, ઉપપ્રમુખપદેથી પરિમલ નથવાણી ઉપરાંતના હોદ્દેદારોએ પણ લોઢા સમિતિઓની ભલામણના આધારે હોદ્દા છોડવા પડે એમ હોઈ તેમના સ્થાને નવી નિમણૂક કરવામાં આવી હતી. જેના પગલે આ ખાલી જગ્યાઓ ભરવા માટે શનિવારે પ્રમુખપદ ખાલી રાખીને બાકીના ચાર હોદ્દા પર નામ જાહેર કરાયા હતા જેમાં ઉપપ્રમુખપદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી હતી.
આદેશના અમલ કરવો પડ્યો
એમ તો ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા તમામ રાજ્યના બોર્ડને ચૂંટણી યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ 2009માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નરહરિ અમીન જૂથ પાસેથી સત્તા આંચકી લીધા બાદ જીસીએમાં ભાજપ પ્રેરિત સત્તાધિશો જ રહ્યા છે. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અમિત શાહ જીસીએ ના પ્રમુખ બન્યા પણ તેમણે પણ બોર્ડનો વહિવવટ દિલ્હી બેઠા બેઠા જ ચલાવ્યો હતો. બીસીસીઆઈના વહિવટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સંચાલન સમિતિ (સીઓએ)એ દેશના તમામ રાજ્યોના ક્રિકેટ એસોસિયેશનોને ચૂંટણી યોજવા આદેશ આપતા આ પ્રક્રિયા ગુજરાતમાં પણ હાથ ધરવાની ફરજ પડી હતી.
કોણ બન્યા હોદ્દેદાર
પ્રમુખઃ હાલ કોઈ નહીં
ઉપપ્રમુખઃ ધનરાજ નથવાણી
સેક્રેટરીઃ અશોક બ્રહ્મભટ્ટ
જોઈન્ટ સેક્રેટરીઃ અનિલ પટેલ
ટ્રેઝરરઃ ભરત ઝવેરી
આજે પ્રમુખપદે જય શાહની તાજપોશી થાય તો નવાઈ નહિ
અત્યંત આધારભૂત સૂત્રોના અનુસાર જીસીએ દ્વારા શનિવારની એજીએમ બાદ માત્ર ચાર હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પ્રમુખનું નામ જાહેર ન કરાતા એવું જાણવા મળ્યું છે કે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 29 તારીખે અમદાવાદ આવવાના હોઈ આ બાબતે તેઓ જ અંતિમ નિર્ણય લઈને સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા છે. જોકે, આ નામ માટે હાલમાં જય શાહનો કોઈ વિકલ્પ જણાતો નથી પણ છતાં કોઈ આશ્ચર્યજનક નામ પણ સામે આવી શકે છે. પ્રમુખનું નામ જાહેર ન કરવા બાબતે સત્તાવાર કોઈ સ્પષ્ટતા પણ કરાઈ નથી. પ્રમુખ નક્કી કરવા એજીએમ બોલાવવી પડે જેના માટે થોડો સમય જોઈએ.
સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છેઃ ધનરાજ
ધનરાજ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પદે પણ હતા. જોકે, આ બાબતે તેમને પૂછવામાં આવતા તેમણે પહેલાં તો એ તો જોયું જશે એમ કહીને વાત ટાલી હતી પરંતુ તોડી જ મિનિટો બાદ મેં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે એમ જણાવ્યું હતું. જોકે, વેબસાઈટ પર હજુ પણ તેમનું નામ પ્રમુખ તરીકે ચાલું જ છે એ બાબતે તેમણે કહ્યું કે, મેં જ વેબસાઈટ બનાવડાવી છે.
બીસીસીઆઈની બેઠકમાં જય શાહ જ જીસીએનું પ્રતિનિધિત્વ કરશે
બીસીસીઆઈના નિર્દેશ અનુસાર દરેક બોર્ડે છ ઓક્ટોબર પહેલાં ચૂંટણી યોજીને પાંચ હોદ્દેદાર અને એક્ઝિક્યુટિવના નામ આપી દેવાના છે. જે અંતર્ગત જીસીએ આજે માત્ર ચાર જ નામ જાહેર કર્યા છે એવામાં હવે પછીના દિવસોમાં જીસીએએ તેના અન્ય ઓછામાં ઓછા છ અને વધુમાં વધુ 19 સદસ્યોના નામ મોકલવા જોઈએ. જોકે, આ બાબતે એક આદારભૂત સૂત્રના અનુસાર, છ ઓક્ટોબરની બીસીસીઆઈની બેઠક માટે જીસીએએ કોઈ વધારાના નામ જાહેર કરવાની જરૂર નથી. એમાં તો જીસીએ કોઈને પણ મોકલી શકે છે અને જય શાહનું નામ પ્રતિનિધિ તરીકે મોકલી અપાયું જ છે. પ્રમુખનું નામ ચોક્કસ જાહેર કરાશે. પણ એના માટે એજીએમ બોલાવવી પડે અને એમાં જ નિર્ણય લેવાશે.
ટીમોની પસંદગીમાં પરફોર્મન્સ એસસમેન્ટ પર ભાર મૂકાશેઃ બ્રહ્મભટ્ટ
જીસીએના મેનેજમેન્ટમાં ફેરફાર પહેલાં જ ગુજરાતની ક્રિકેટ ટીમોના મેનેજમેન્ટમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતની ટીમમાં પણ મોટા ફેરફારની શક્યતા અંગે નવા વરાયેલા સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે તેઓ તાજડેતરમાં જ બહારથી આવ્યા છે ત્યારે એક વાત ચોક્કસ ધ્યાન રખાશે કે ખેલાડીઓની પસંદગી દેખાવના આધારે કરાય. જોકે, હાલમાં અમારું ધ્યાન મોટેરા સ્ટેડિયમને તાત્કાલિક કાર્યરત કરવા પર જ છે.