ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ-પ્રોફેસર્સને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ અને અધિકારીઓને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ ઊભો થયો છે, જેના અંગે અધ્યાપકો અને અધિકારીઓમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર્સ અને અધિકારીઓઓને 15મી ઓગસ્ટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંગે અગાઉ કોઈપણ જાહેરાત કરવામાં આવી નહોતી, કુલપતિ દ્વારા અચાનક જ એવોર્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે હવે સિન્ડિકેટની મળેલી બેઠકમાં આ પ્રકારના એવોર્ડ આપવા માટે અલગથી કમિટીની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે વર્ષ દરમિયાન એસેસમેન્ટ કરીને કયા અધિકારી કે પ્રોફેસરને એવોર્ડ આપવો તે નક્કી કરશે.

યુનિવર્સિટીમાં અત્યાર સુધી ક્યારેય કોઈ અધિકારી કે પ્રોફેસરને સારી કામગીરી માટે એવોર્ડ આપવામાં આવતા નહોતા, પરંતુ વર્તમાન કુલપતિએ ચાલુવર્ષે 15 ઓગસ્ટે પોતાની રીતે પાંચ અધિકારી અને પ્રોફેસરને એવોર્ડ આપવાની જાહેરાત કરી દીધી હતી, અને જે-તે દિવસે તેમને એવોર્ડ પણ આપી દેવામાં આવ્યો હતો. કોઈપણ જાતની પૂર્વ જાહેરાત વિના આપવામાં આવેલા આ એવોર્ડ અંગે પાછળથી પ્રોફેસર્સ અને અન્ય અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. આ નારાજગીના ભાગરૂપે કેટલાક પ્રોફેસર્સે માત્ર લાગતા-વળગતા લોકોને જ એવોર્ડ અપાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. અસંતુષ્ટ પ્રોફેસર્સની ફરિયાદ મુજબ કુલપતિની કિચન કેબિનેટમાં ગણાતા પ્રોફેસર અને અધિકારીઓને જ એવોર્ડ આપી દેવામાં આવ્યા છે. તે બાદ સોમવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કમિટીનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિટી વર્ષ દરમિયાન દરેકના કામનું મૂલ્યાંકન કરશે, અને કામના આધારે કોને એવોર્ડ આપી શકાય તે નામ નક્કી કરશે. કમિટી દ્વારા આ નામને સિન્ડિકેટમાં રજૂ કરવામાં આવશે, જેના પર સર્વસંમતિ બાદ જ અધ્યાપકો અને અધિકારીઓને એવોર્ડ આપવામાં આવશે. વર્ષમાં બે વખત ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના રોજ આ પ્રકારના એવોર્ડ એનાયત કરવાનુ નક્કી કરાયું છે.

આ એવોર્ડ માટે અગાઉથી કોઈપણ જાતનાં ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં નહોતાં. સામાન્ય રીતે એવોર્ડ માટે કયા પ્રકારના નિયમો છે તેની અગાઉથી જાણ કરાતી હોય છે, પરંતુ કોઈપણ જાતની જાહેરાત વિના જ કુલપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી હતી.