ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્રદ

અમદાવાદ,તા.12

આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે  જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે જેથી તાવ , શરદી ,કફ જેવી સમસ્યાઓને નોતરે છે ત્યારે નવરાત્રી બાદ આવતી શરદઋતુ ટાઢક આપનારી હોય થછે જે શિયાળાના પ્રારંભકાળ છે. ત્યારે નવરાત્રી બાદ અને દિવાળી પહેલાં આવતી શરદપૂર્ણિમા  ધાર્મિક દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે ત્યારે શરદપૂર્ણિમાની ઉજવણી આસોમાસો શરદ પૂનમનીરાત જો જેવી પ્રચલિત ગીત સાથે થાય છે.

શરદ-પૂનમની ઉજવણી શા માટે ?

પૂનમ ચંદ્રની સ્થિતિ દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગ્રહો અને નક્ષત્રોની ખૂબ ઊંડી અસર પૃથ્વી અને પૃથ્વીવાસીઓ પર એટલે કે જીવસૃષ્ટિ પર પડે છે. ઘણા લોકો જ્યોતિષશાસ્ત્રને એટલે કે ગ્રહોની મનુષ્યજીવન પર થતી અસરને સ્વીકારી શકતા નથી. પરંતુ હવે તો વિજ્ઞાને અનેક સંશોધનો દ્વારા સાબિત કર્યું છે કે પ્રકૃતિમાં આવતા પરિવર્તન તેમ જ ગ્રહોની ચાલ સાથે મનુષ્ય જીવનને સીધો સંબંધ છે. ચંદ્રની કળા એટલે કે ચંદ્રની  અમાસથી પૂનમ સુધીની વધઘટની દેખિતી અસર સમુદ્ર પર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે  સમુદ્રમાં આવતા ભરતી અને ઓટ ચંદ્રની કળાને આભારી છે. સમુદ્ર અને માનવશરીરની રચનામાં ખૂબ સામ્યતા છે. જેમ કે સમુદ્રમાં મુખ્યત્વે મીઠું અને પાણી છે જયારે માનવશરીરમાં પણ ૬૦ થી ૭૦ ટકા પાણી રહેલું છે તેમ જ ક્ષાર છે. એનો અર્થ એ થયો કે જો ચંદ્ર સમુદ્રને અસર કરી શકે તો મનુષ્યને પણ અસર કરી જ શકે. એક અભ્યાસ પ્રમાણે મોટાભાગની માછલી ઓટના દિવસોમાં ઈંડા મૂકે છે અને પંદર દિવસ પછી ભરતીના દિવસોમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે અને સાગરની લહેર તેમને અંદર પાણીમાં લઇ જાય છે. આજ સુધી એ ખબર નથી પડી કે માછલીને ભરતી અને ઓટની ખબર કેવી રીતે પડે છે? આ તમામ પાછળ ચંદ્રની સંવેદના જવાબદાર છે. માછલી ચંદ્રની સંવેદનાને ઓળખે છે. એ જ કારણ પક્ષીઓના સીઝન પ્રમાણે પ્રદેશ બદલવા પાછળ જવાબદાર છે. આમ ગ્રહો જીવોને અસર કરે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ પરથી જાપાનમાં એક ચકલી ધરતીકંપના ૨૪ કલાક પહેલા પ્રદેશ છોડી દે છે. અંતરિક્ષની સમગ્ર હીલચાલની અસર જીવસૃષ્ટિ પર પડવા પાછળનું રહસ્યમય તત્વ પાણી છે. એટલે કે પાણીના માધ્યમથી એ અસર અનુભવાય છે. ગર્ભમાં મા અને બાળકનું જોડાણ પણ પાણીને જ આભારી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો કારક છે જેથી ચંદ્રકળાની માનવ મન પર પ્રબળ અસર પડે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ નોંધ્યું છે કે સૌથી અધિક પાગલપનના કિસ્સા પૂનમના દિવસે જોવા મળ્યા છે. શરદપૂનમની રાત્રે ચંદ્રની સ્થિતિ ઉત્તમ હોય છે. જેનો લાભ લેવા શરદપૂનમની ઉજવણી ખૂબ વૈજ્ઞાનિક છે. ચંદ્ર મનનો કારક હોવાને લીધે મનની શક્તિ વધારવામા તેનું અનેરું પ્રદાન છે. ઉપરાંત ચંદ્ર પવિત્રતા અને શાંતિ પ્રદાન કરે છે. એનો સફેદ રંગ શાંતિનો કારક છે. એટલા માટે આપણે ત્યાં મરણ બાદ સફેદ રંગના વસ્ત્રોનો રીવાજ છે એ જ રીતે ચાંદીના વાસણો અને ઘરેણાં વ્યક્તિને માનસિક બળ પૂરું પાડવામાં ઉપયોગી છે. એક અભ્યાસ પ્રમાણે સફેદ રંગની ગાડી અકસ્માતની શક્યતા ઘટાડે છે. ચંદ્ર વાસ્તવમાં કિરણોને ગાળવાની ગરણી છે એટલે કે સૂર્યના હાનિકારક કિરણો તે ઝીલી પૃથ્વી પર સૌમ્ય કિરણો મોકલવાનું મહાન કાર્ય કરે છે. એટલા માટે તો તેને ચંદામામા તરીકે ઓળખવામાં આવે છે કેમકે તે પૃથ્વીનો ભાઈ બની ધરતીના સંતાનોને મદદ કરી માનસિક સ્વાસ્થ્ય બક્ષે છે.

શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદે જણાવ્યું હતું કે

વળી આજના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં તો ચંદ્રપ્રેમ અતિ લાભકારક છે. આવા અનેક વૈજ્ઞાનિક કારણોને લીધે ચંદ્રકિરણોમાં મૂકેલા દૂધ-પૌવા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યવર્ધક છે. વળી શરદપૂનમના દિવસે બીજું કંઈ જ નહીં માત્ર દૂધ-પૌવા ખાવા પાછળ પણ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. ચોખાના પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ હોવાની સાથે તે પચવામાં ખૂબ હલકા છે. ઉપરાંત ચોમાસાની ઋતુમાં ઉત્પન્ન થયેલ પિત્તનો નાશ દૂધ-પૌઆ અને ચંદ્રકિરણોથી વધુ સારી રીતે બીજું કોણ કરી શકે? આમ દૂધપૌવા અને ચંદ્રકિરણોનો સંગ ઉત્તમ પરિણામ આપી શકે એ દૃષ્ટિએ શરદપૂનમની ઉજવણી દૂધપૌવા સાથે થાય એ સર્વના હિતમાં છે. જેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય તો પ્રાપ્ત થાય જ છે પરંતુ મનની શક્તિ પણ વધે છે. તેમજ મન પવિત્રતા સાથે શાંત બને છે. વાચકમિત્રોને શરદપૂનમની ખુબ ખુબ શુભકામના અને મિત્રો પૂનમની ઉજવણી દૂધપૌવા અને ચંદ્રકિરણોના સાનિધ્યમાં કરે તેવી અપેક્ષા.

શરદ પૂર્ણિમા સાથે વણાયેલી માન્યતાઓ

આ દિવસે ખાસ ચાંદનીમાં સોયમાં દોરો પરોવવામાં આવે છે જેને કારણે આંખનું તેજ વધતી હોવાની પારંપારિક માન્યતા છે. માટે જ જૂની પેઢીના લોકો ચાંદની માણવા અગાસી, ધાબા કે નદી કિનારે જઇને ચાંદની માણે છે અને પોતાની આંખોનું તેજ વધારે છે.

શરદપૂર્ણિમાના દિવસે અગાસી,ધાબા કે ગામડાંઓમાં પતરાં હોય છે તેના ઉપર સાકર મૂકવામાં આવે છે આ સાકરમાં ચદ્રના કિરણો પડે છે . આ સાકર ખાવાને કારણે શરીરમાં ગરમી થતી નથી અને તાવ આવેત્યારે શરીરનું તાપમાન જાળવવા માટે પણ ઉપકારક નિવડે છે. તેવી પણ માન્યતા છે. આજે પણ ગામડાઓમાં જૂની પેઢીના લોકો આવી સાકર શરદપૂર્ણિમાના દિવસે ઉપર મૂકે છે.

શરદપૂર્ણિમાની રાતે બહાર રહેવા પાછળ પણ કેટલાંક ઔષધિય કારણો છે. જેમેકે શરદ ઋતુના ચંદ્રમાના કિરણોમાં શાતા હોય છે આ શાતા કિરણો સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે જેને કારણે પણ શરીરની ગરમીમાં રાહ મળે છે.,આ કિરણોની અસર લાંબો સમય સુધી ચાલે છે.