ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે

અમદાવાદ, તા. 29

શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમયજ્ઞનું આયોજન પણ કરાયુ હતુ.

આ જાહેરાત કે શ્રમયજ્ઞનો કોઈ જ નક્કર ફાયદો શહેરીજનોને થયો નથી. તથા નદીની સ્વચ્છતામાં લેશમાત્ર સુધારો થયો નથી. અમપા દ્વારા જ નદીને દૂષિત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ દ્વારા ટ્રીટેડ વાટર માટે જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તેનો ભંગ અમપા દ્વારા જ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના સુએરજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સબ-સ્ટાન્ડર્ડ છે. તથા તેને અપગ્રેડ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં ૬ મહિના કરતા પણ વધુ સમય થાય તેમ છે.

અમપાને સુઅરેજ વાટરને ટ્રિટ કરવા માટે વાસણા, વિંઝોલ તથા પીરાણામાં ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. આ તમામ પ્લાન્ટમાં સુઅરેજ વાટરને ટ્રિટ કર્યા બાદ જ નદીમાં છોડવામાં આવે છે એવો નિયમ છે, પરંતુ તેનો અમલ થતો નથી. તે અલગ બાબત છે. અમપાને જે તે સમયે પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એસટીપી બનાવ્યા હતા. જેમાં ટ્રિટેડ વાટરમાં બીઓડીની માત્ર ૩૦ અને સીઓડીની માત્રા ૧૦૦ને માન્ય રાખવામાં આવી હતી.

પરંતુ સેન્ટ્રલ પોલ્યૂશન બોર્ડ દ્વારા બીઓડી અને સીઓડીની માત્રામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ એસટીપીમાંથી ટ્રિટ કરવામાં આવેલા સુએરજ વોટરમાં બીઓડીની માત્રા ૧૦ અને સીઓડીની માત્રા પ0થી વધુ હોવી જાઈએ નહીં. મનપાના ૦૬ એસટીપી પ્લાન્ટ જૂના પેરામીટર મૂજબ ચાલી રહ્યા છે. તથા નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા અનુસાર વાસણા ૪૮ એમએલડી એસટીપીમાં જ નિયમ મુજબ સુઅરેજ વાટર ટ્રિટ થઈ રહ્યું છે.

જ્યારે પીરાણા વિંઝોલ તથા વાસણાના એસટીપીમાં જૂના પેરામીટર મુજબ પરિણામ મળી રહ્યા છે. વિંઝોલમાં કેમિકલયુક્ત એસિડિક પાણી વધુ પ્રમાણમાં આવ્યું હોવાથી પ્લાન્ટ ખવાઈ ગયા છે. તેથી ૭૦ એમએલડી પ્લાન્ટમાં નવી મશીનરી નાંખવામાં આવશે. જેના માટે રૂ. પાંચ કરોડનો ખર્ચ થશે. વાસણા ર૮પ એમએલડી એસટીપીમાં પણ રૂ. ર.પ૦ કરોડના ખર્ચથી નવી મશીનરી નાંખવામાં આવી રહી છે. તેથી આ બંન્ને પ્લાન્ટ આપોઆપ અપગ્રેડ થઈ જશે.

તે સિવાયના અન્ય એસટીપીને અપગ્રેડ કરવા માટે સર્વે પ્રક્રિયા ચાલી રહી છે સર્વેના રિપોર્ટના આધારે પીરાણા તથા અન્ય એસટીપીને અપગ્રેડ કરવામાં આવશે. જેના માટે લગભગ છ મહિનાનો સમય થઈ શકે છે. વિંઝોલમાં ૩પ એમેઅલડી ક્ષમતાનો નવો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. જેની ટ્રાયલ ચાલી રહી છે, જ્યારે ૧૦૦ એમએલડી પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએરજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ થયા બાદ જ બીઓડી અને સીઓડીની માત્રામાં ઘટાડો થશ તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.