અમદાવાદ,તા.14
ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે.

શું છે ત્રિનેત્ર પ્રોજેકટ?
ખાનગી સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રાજ્ય સરકારે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ત્રિનેત્ર પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટમાં સોસાયટીમાં સીસીટીવી લગાવવાનો સરેરાશ ખર્ચ બે લાખથી માંડીને પાંચ લાખ સુધીનો છે. જેમાં સોસાયટીના સભ્યો પહેલા સીસીટીવી ઇન્સ્ટોલેશન કરાવ્યા બાદ ચુકવણીની રકમનુ બિલ અને અને જરુરી દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં રજુ કરે છે અને બાદમાં તે ડીસીપી ઓફિસથી યોગ્ય તપાસ કરાવ્યા બાદ ફાઇલને પોલીસ કમિશનર ઓફિસમાં પહોંચતી કરવામાં આવે છે. જેમાં કુલ ખર્ચના 30 ટકાની રકમ પોલસ વિભાગના વહીવટી વિભાગ મારફતે તે રકમ સીધી સોસાયટીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. ચોરી-લૂંટફાટની ઘટના અટકાવી શકાય નાગરિક અને પોલીસના સહિયારા પ્રયત્ન વડે અટકાવી શકાય તે આ પ્રોજેકટનો મુળ હેતુ છે.

પોલીસની ચોરનીતી
ત્રિનેત્ર પ્રોજેકટમાં સીસીટીવી ઈન્સટોલેશનની 30 ટકા રકમ પોલીસે હજુ સુધી ચુકવી નથી.અમદાવાદમાં ચાલી રહેલા ત્રિનેત્ર પ્રોજેક્ટમાં 100થી વધુ સોસાયટીઓના નાણાં છ માસ જેટલો સમય વિતવા છંતાય, હજુ સુધી ન ચુકવવામાં આવતા સોસાયટીના લાખો રુપિયાની રકમ બાકી છે. સૌથી નવાઇની વાત એ છે કે ત્રિનેત્ર પ્રોજેક્ટના નાણાં ઉપરથી આવે છે પણ આ નાણાંની મોટાભાગની રકમ જુના સીસીટીવીના મેઇન્ટેઇનન્સ અને પોલીસ સ્ટેશનમાં આઇએસઓ પ્રમાણપત્ર લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. છેલ્લાં છ માસથી એવી સ્થિતિ થઇ છે કે પોલીસ કમિશનર ઓફિસમાં 100થી વધુ સોસાયટીની ફાઇલો પહોંચી ગઇ છે પણ સબસીડીની રકમની ચુકવણી થઇ શકી નથી. ત્યારે સોસાયટીના સભ્યો આ રકમ પાસ થાય તે માટે અનેકવાર પોલીસ કમિશનર ઓફિસના ચક્કર કાપી આવ્યા છે પણ હજુ સુધી ફાઇલો પાસ નથી થઇ.

પાટીદાર આંદોલનમાં લગાડેલા સીસીટીવીના મેઈનટેન્સમાં ગ્રાંટ વપરાઈ
પહેલા સોસાયટીના સભ્યોને એમ કહેવામાં આવ્યું હતું કે ગૃહ વિભાગ દ્રારા હજુ સુધી ગ્રાંટ મંજુર નથી કરવામાં આવી બાદમાં તપાસ કરતા સોસાયટીના સભ્યો ચોંકી ઉઠ્યા હતા કારણ કે ગ્રાંટ ગૃહવિભાગ દ્રારા ચુકવવામા આવી હતી પણ સુરક્ષા સેતુની આ ગ્રાંટનો ઉપયોગ અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના મેઇનટેનન્સમાં અને પોલીસ સ્ટેશનના આઇએસઓ પ્રમાણપત્ર મેળવવા માટે થતા સોસાયટીને ત્રિનેત્ર પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવતી સબસીડી પહોંચાડી શકાય જ નહોતી.

ગૃહ વિભાગની ગ્રાંટ ન હોવાના કારણે સબસીડીની ફાઈલ પેન્ડીંગ
સુરક્ષા સેતુની ગ્રાંટ મંજુર કરવાની સતા જેસીપી એડમીનની છે અને હાલ જેસીપી એડમીન ડો.વિપુલ અગ્રવાલ હૈદરાબાદ ટ્રેનીગ માટે છે અને નવેમ્બર માસ સુધી ટ્રેનીગમાં છે ત્યારે સેક્ટર-1 જેસીપી અમિતકુમાર વિશ્વકર્માને જેસીપી એડમીનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તે હાલ સેક્ટર-1 ઉપરાંત, સુરક્ષા સેતુ અને એડમીનના અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી આ અંગે કોઇ નિર્ણય લઇ શકાતા નથી. જો કે ઉચ્ચ અધિકારીઓ કહે છે કે ગૃહવિભાગની ગ્રાંટ ન હોવાને કારણે ફાઇલો પેન્ડીંગ છે પણ દિવાળી પહેલા સબસીડીની રકમ સોસાયટીને ચુકવવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. આ અંગે અમિત વિશ્વકર્માનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.
રહીશોમાં વિરોધનો સુર
ઉસ્માનપુરમાં આવેલા કલાસાગર એપાર્ટમેન્ટના સંદીપ જૈન કહે છે કે અમે બે મહિના પહેલા ફાઇલ પોલીસ કમિશનર ઓફિસમાં મોકલી છે પણ હજુ સુધી સબસીડી પાસ કરવાની પ્રક્રિયા જ નથી કરવામાં આવી તો પાલડીમાં આવેલા સત્યાર્થ ફ્લેટના સભ્ય કહે છે કે સરકારે સબસીડીની સ્કીમ પ્રોત્સાહન માટે મુકી છે અને જો આ પ્રકારની મુશ્કેલી સતત રહેશે તો જાગૃતતા ઘટશે. ખાસ કરીને પોલીસ અધિકારીઓએ પણ આ અંગે વિચારવુ જોઇએ,
સોસાયટીના રુ.એક લાખથી ત્રણ લાખની સબસીડી અટકી પડી
સામાન્ય રીતે એક એપાર્ટમેન્ટથી માંડીને એક સોસાયટીમાં સરેસાશ બે લાખથી સાત લાખના ખર્ચે સીસીટીવી ઇન્સ્ટોલ થાય છે. જેમાં સબસીડી સીધા સોસાયટીના બેંક એકાઉન્ટમાં જ ડીપોઝીટ થાય છે. પણ બીલ પાસ ન થતા મોટા પ્રમાણમાં સબસીડી અટકી પડી છે.
ગુજરાતી
English




