એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરનાં ખેડૂતોની માંગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગયાં હોવાથી પાણી ખેતરમાં પહોંચી નથી શકતું. બીજી બાજુ પાણીની અછતને લઈને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી બે દિવસથી નર્મદાની માઈનોર કેનાલ દ્વારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે. પણ કેનલોમાં પડેલાં ગાબડાંને લઈ તેનો વેડફાટ થઈ રહ્યો છે. ખેતરો સુધી તો પાણી નથી પહોંચી રહ્યું. પણ કોતરોમાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. આજે કોતરો તળાવોની માફક દેખાઈ રહ્યાં છે. કોતરોમાં જે પાણી ભરાયું છે જે ખેડૂતોના કોઈ કામનું નથી.
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે. પાણીની હાલ જરૂરિયાત છે. પાણીની માંગને લઈ ને પાણી છોડવામાં આવ્યું છે, પણ ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા આજે તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોને એક ચિંતા સતાવી રહી છે કે કયારે આ ઢાળિયા કેનલોમાં રીપેર થશે અને કયારે તેમને પાણી મળશે. જો સમયસર ખેડૂતોને પાણી નહિ મળે તો ચોક્કસ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે.