જામનગરના જિલ્લાના ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે ત્યારે આ કેનાલ પરથી પસાર થઇ રહેલી એક ઇકો કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા તેણે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નારણ કરસન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
જ્યારે ધીરૂભાઇ ભીમાભાઇ કદાવરાને ગંભીર હાલતમાં સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા કેનાલ પાસે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી હતી અને તેથી કાર પથ્થરોમાં પટકાઇ હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે એકસાથે ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા.