જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તમામ અખાડાના સાધુ-સંતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સંતોએ શિવરાત્રીના કુંભના મેળાને સાદગીથી ઉજવવા માટે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના કુંભમેળાને લઘુકુંભ જાહેર કરવામાં આવ્યો છે. કુંભના મેળાની તૈયારી માટે સરકાર દ્વારા 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના કારણે કુંભની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે મળેલી સાધુ-સંતોની અને વહીવટી તંત્રની બેઠકમાં કુંભના આકર્ષણનું કેન્દ્ર એટલે સાધુસંતોની નીકળતી રવેડી એકદમ સાદાઈથી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે સંતોએ જણાવ્યું હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા છે, ત્યારે કુંભના મેળામાં થતા ખર્ચની રકમને સૈનિક ફંડમાં આપી દેવામાં આવે એ વધુ યોગ્ય છે.
વહિવટી અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કુંભના મેળામાં સાધુસંતો દ્વારા કાઢવામાં આવતી રેલીમાં હાથી, ઘોડા, બેન્ડવાજ અને બગી નહીં લાવવાનો નિર્ણય સાધુસંતો દ્વારા લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠક અગાઉ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના ત્રણ પ્રધાનોએ સાધુસંતો સાથે કુંભના મેળાની તૈયારીને લઈને બેઠક કરી હતી. જે-તે સમયે પણ મહંત ઇન્દ્રભારતી બાપુએ કુંભના મેળાને સાદાઈથી ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.