જો અમદાવાદના કરદાતાઓની આવકમાં રુ, 25 લાખ નું ઉમેરણ હશે તો તેમના કેસ સ્ક્રૂટિનીમાં આવશે.

અમદાવાદ,તા.6

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્ક્રૂટિની એસેસમેન્ટની બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં મેટ્રો સિટી સહિતના દેશના આઠ મોટા શહેરોમાં કાયદાકીય જોગવાઈઓ અને રિટર્ન આધારિત મુદ્દાઓ પર જે કરદાતાઓની આવકમાં રૂા. 25 લાખનું ઉમેરણ કરવામાં આવ્યું હશે તે કરદાતાઓના કેસ મેન્યુઅલ સ્ક્રૂટિની માટે પસંદ કરી શકશે. આ પસંદગીની સત્તા જે તે આવકવેરા અધિકારીઓને આપવામાં આવી છે.

10 લાખથી વધુ રકમનો ઉમેરો હશે તેવા કેસો મેન્યુઅલ સ્ક્રુટીમાં

નાના શહેરોમાં જે કરદાતાની આવકમાં અગાઉના વર્ષોમાં વારંવાર રૂા. 10 લાખથી વધુ રકમનો ઉમેરો થયો હશે તેવા કેસો પણ મેન્યુઅલ સ્ક્રૂટિનીમાં લેવામાં આવશે. અમદાવાદને મોટા શહેરની ગણતરીમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને ભુજ જેવા શહેરોને નાના શહેરની ગણતરીમાં લેવામાં આવ્યા છે

કેવા પ્રકારના કેસો મેન્યુઅલ સ્ક્રુટિનીમાં આવી શકશે?

કરવેરાના નિષ્ણઆત હિરેન વકીલનું કહેવું છે કે ટ્રાન્સફર પ્રાઈસિંગના કિસ્સાઓમાં એટલે કે કંપનીનો નફો ઓછો બતાવવા પોતાની જ અન્ય કંપનીને માલ ટ્રાન્સફર કરીને પોતાના હિસ્સામાં ઓછો નફો દર્શાવતી કંપનીઓના કિસ્સામાં વાંરવાર રૂા. 10 કરોડનું ઉમેરણ કરવામાં આવ્યું હોય તેવા કેસોને પણ મેન્યુઅલ સ્ક્રૂટિનીમાં લઈ શકાશે. બીજું, જે કરદાતાઓએ એસેસમેન્ટ ઓફિસરના ઓર્ડર સામે અપીલ ન કરીને તેના ઓર્ડરને સ્વીકારી લીધો હોય તેવા કેસમાં પણ સ્ક્રૂટિની એસેસમેન્ટ કરી શકાશે. હા, જે કરદાતાઓએ આવકનાર ઉમેરણ સામે અપીલ કરી હોય તેવા કરદાતાઓના કેસમાં અપીલ ઓથોરિટીનો ચૂકાદો આવકવેરા કચેરીની તરફેણમાં આવ્યો હોય અને ત્યારબાદ કમિશનર સેકન્ડ અપીલ, ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ કે પછી હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં તે ચૂકાદાને પડકારવામાં ન આવ્યો હોય તેવા કેસને પણ મેન્યુઅલ સ્ક્રૂટિનીમાં પસંદ કરી શકાશે. આ જ રીતે અપીલના કેસોમાં હાર્યા પછી ટ્રિબ્યુનલમાં ગયા હોય અને હારી ગયા હોય તેમ જ અપીલના પ્રથમ તબક્કામાં જ આવકમાં કરેલા ઉમેરણને કન્ફર્મ કરવામાં આવ્યું હોય તેવા કેસમાં કરદાતા અપીલમાં ગયો હોય અને કેસ પેન્ડિંગ હોય તો તેવા કેસોની પણ સ્ક્રૂટિની કરવામાં આવશે.

કાયદાના નિષ્ણાતનું કહેવું છે કે આવકવેરા ધારાની કલમ 133 (એ)મું કોઈ કરદાતાને ત્યાં આવકવેરા ખાતાના અધિકારીઓએ તપાસ (સર્વે કર્યો) કરી હોય પરંતુ તેના ચોપડાં જપ્ત ન કર્યા હોય, તેમ જ સર્વે દરમિયાન આવકવેરાની ચોરીની જે રકમ ડિસ્ક્લોઝ કરી હોય તે આવક અગાઉના વર્ષોમાં રિટર્નમાં બતાવેલી આવક જેટલી જ કે વધુ હોય તેવા કેસ સિવાયના કેસમાં સ્ક્રૂટિની કરવામાં આવશે. આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા હોય તે પાર્ટીને ત્યાંથી અન્ય કોઈ પાર્ટીના વહેવારો પકડાયા હોય તેવા કેસમાં અન્ય કરદાતાની સ્ક્રૂટિની મેન્યુઅલ સ્ક્રૂટિનીના કેસમાં ગણતરીમાં લઈ શકાશે.

તદુપરાંત આવકવેરા કાયદાની કલમ 12(એ) (ચેરિટેબલ ટ્રસ્ટ)ની જોગવાઈઓ હેઠળ એક્ઝામ્પશન-વેરા માફી લેવામાં આવી હોય તેવા કેસમાં કે પછી કલમ 35(1) હેઠળ સાયન્ટિફિક રિસર્ચમાં કરીને તેને માટે કરેલા રૂા. 100ના ખર્ચ સામે રૂા.175 આવકમાંથી બાદ લીધા હોય  પરંતું સંબંધિત સત્તાવાળાઓએ તેમનું રજિસ્ટ્રેશન રદ કરી દેવાનો કોઈ કારણોસર નિર્ણય લીધો હોય તેવા કેસ પણ મેન્યુઅલ સ્ક્રૂટિની માટે પસંદ કરવાની આવકવેરા અધિકારીઓને છૂટ આપવામાં આવી છે.

જીએસટી કે પછી મનીલોન્ડરિંગ એક્ટ સહિતના કોઈપણ કાયદા હેઠળ કરદાતાએ કોઈ પણ પ્રકારની ચોરી કરી હોવાનું પ્રસ્થાપિત થયું હોય તેવા કેસમાં પણ સ્ક્રૂટિની કરવાની છૂટ આપવામાં આવશે. જોકે તે માટે ઉપરી અધિકારીની મંજૂરી લેવાની જોગવાઈ સ્ક્રૂટિની માટેની નવી ગાઈડલાઈન્સમાં રાખવામાં આવી છે.આ જ રીતે કોમ્પ્યુટર એડેડ સ્ક્રૂટિની એસેસમેન્ટમાં કરદાતાના રિટર્નમાં જે અનિયમિતતા આવકવેરાના આકારણી અધિકારીને દેખાશે તે જ વિગતો માટે તે કરદાતા પાસેથી ડેટા માંગી સકશે.