ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી કરતાં એઈડ્ઝનો રોગ વધુ

  • કેન્દ્રીય બજેટ 2020-21માં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પીપીપી મોડમાં હોસ્પિટલો સ્થાપવા માટે સંભવિત આંતર-ભંડોળ માટેનો પ્રસ્તાવ
  • 2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે

નવી દિલ્હી, 01-02-2020

કેન્દ્ર સરકારે દરેક માટે સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા કેન્દ્રિય બજેટ 2020-21માં આરોગ્ય સેવાઓ ક્ષેત્ર માટે 69,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલા 69,000 કરોડ રૂપિયામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પેનલમાં 20,000થી વધુ હોસ્પિટલો સામેલ છે. આ યોજનાનો લાભ વધુ ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર આ યોજનાની પહોંચ બીજા અને ત્રીજા સ્તરના શહેરો સુધી લઈ જવા માંગે છે. આ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારી(PPP)ના માધ્યમથી હોસ્પિટલો બનાવવા માટે મૂડીની અછતની પૂરી કરવામાં આવશે.યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં એવા મહત્વાકાંક્ષી જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જ્યાં આયુષ્માન યોજના સાથે સંકળાયેલી કોઈ હોસ્પિટલો નથી. આનાથી યુવાનોને રોજગારીની વિશાળ તકો મળશે. તબીબી ઉપકરણો પર લગાવવામાં આવતા કરનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રની આવી મહત્વપૂર્ણ માળખાગત સુવિધા માટે કરવામાં આવશે.

આરોગ્ય અધિકારીઓ અને તબીબી સમુદાયો આયુષ્માન ભારત યોજના અંતર્ગત મશીન લર્નિંગ અને આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ દ્વારા રોગોની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી કાર્યક્ષમ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશે. ટીબી હારશે, દેશ જીતશે’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવા માટેના મજબૂત પ્રયાસોની દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો ટીબીના દર્દીઓથી પણ વધી ગયો છે! રાજય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા 82,662 છે, જયારે એચઆઈવી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,20,866 છે. રાજયમાં ટીબી કરતાં પણ એઈડ્સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટ ‘હેલ્થિ સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા’માં જણાવ્યું હતું કે, ગુજરાત ટીબીના સૌથી વધુ કેસ ધરાવતા રાજયોમાંથી એક છે.

પ્રથમ ક્રમે અમદાવાદ

પ્રતિ એક લાખે 224 લોકો ટીબીના દર્દીઓ છે. ગુજરાતથી વધારે ટીબીના દર્દીઓ માત્ર હિમાચલ પ્રદેશમાં પ્રતિ એક લાખે 226 દર્દી છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે 22,877 એઈડ્સના દર્દીઓ છે, આ પછીને ક્રમે 20,776 દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે. સરકારના આંકડા મુજબ મોરબીમાં સૌથી ઓછા 729 એઈડ્સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. શહેરમાં 12,970 ટીબીના દર્દીઓ છે, આ પછીના ક્રમે 9106 કેસો સાથે સુરતનો નંબર આવે છે. જયારે ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 271 ટીબીના દર્દીઓ છે. વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે પ્રશ્ર્નમાં ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા, જેના જવાબમાં રાજય સરકારે આ આંકડા આપ્યા હતા.

રાજ્યમાં મેડિકલ સ્થિતિ અંગે માહિતી માંગવામાં આવી

ધારાસભ્યએ આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માંગી હતી. રાજયમાં થેલેસેમિયાના સૌથી વધુ દર્દીઓ રાજકોટ (566) જિલ્લામાં છે. આ પછીના ક્રમે જામનગરમાં 300 દર્દીઓ છે. રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, અરાવલી, અમરેલી, તાપી, નર્મદા, મહિસાગર અને મોરબી જિલ્લામાં થેલેસેમિયાના એકપણ દર્દી નથી. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પોઝિટિવ પીપલના સેક્રેટરી દક્ષા પટેલે કહ્યું કે, દર્દીઓના આ આંકડા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ થયેલા અને ગુજરાત એઈડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી અપાયેલા છે. શકય છે કે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ એઈડ્સના વધુ દર્દીઓ હોય.

નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ જિલ્લાઓમાં 2 હજાર દવાઓ અને 300 સર્જિકલ ઉપકરણો પૂરા પાડતી જન ઔષધિ કેન્દ્ર યોજનાને વિસ્તૃત કરવાની જાહેરાત કરી હતી.