ડૂંગળીની રૂ.13 કરોડની સબસીડી સરકાર આપતી નથી

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સબસીડી આપવાની 13 હજાર જેટલી અરજીઓ પડી છે. તળાજા અને પાલિતાણા પણ આવી અરજીઓ ખેડૂતોએ કરેલી છે. લગભગ ત્રીસ હજાર જેટલા ખેડૂતોને આનો લાભ મળવો જોઈતો હતો પરંતુ હજુ સુધી મળ્યો નથી. ડુંગળીના એક બોરીએ પચાસ રૂપિયાની સબસીડી આપવાની હતી. સરકારે જૂન  2017ના રોજ નિર્ણય કર્યો હતો. પછી કેટલાક નિયમોમાં સુધારા પણ કર્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવામાં યાર્ડમાં ખેડૂતોને 40 કરોડ રૂપિયા જેવી સબસિડી ચૂકવી આપી છે. પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને હજુ સબસાડી આપી નથી. તેનું એવું કારણ આપવામાં આવ્યું છે કે, ખેડૂતોએ ગેટ પાસ બનાવ્યા ન હતા. તેથી તેમને સબસિડી મળે નહીં. ખેડૂતોની માગણી એવી છે કે જ્યારે સરકારે નિયમો કરેલા હતા ત્યારે ગેટ પાસની બાબતો એમના ધ્યાન પર ન હતી. બાકીના તમામ પુરાવાઓ ખેડૂતો પાસે છે. એમની કેટલી ડુંગળી વેચી હતી અને કયા ભાવે વહેંચી હતી એના બીલો પણ છે. તેમ છતાં સરકાર ટેકનિકલ કારણોસર 13 કરોડ રૂપિયા હજુ સુધી આપતી નથી. તેથી ખેડૂતોમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે. વિજય રૂપાણીની સરકાર સામે લડવા માટે તેઓ એક થઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2018ના દિવસે 11 કલાકે  ટાઉનહોલ ખાતે ભાવનગરમાં બધા ખેડૂતો એકઠા થશે. જેમાં સરકાર સામે લડી લેવા માટેના ઠરાવ પણ પસાર થઈ શકે છે.