તુરંત સહાય માટે હવે 112 ફોન નંબર ઘુમાવો

હેલ્પલાઇનના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા ગુજરાતને રૂા.૧૧.૮૭ કરોડની રકમની ફાળવણી કરવામાં
આવી છે.  નેશનલ ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર-૧૧૨નો નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયો. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કે નવરચિત ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા-ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર એમ ૭ જિલ્લામાં તા.૨૪ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ ૧૧૨ તત્કાલિન હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે.

રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે રાજયની ઈમરજ્ન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની– ૧૦૮, પોલીસ (ગૃહ) વિભાગની –૧૦૦, ફાયર- ૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦, ૧૦૭૭ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ નંબર સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.

લોકોમાં ૧૧૨ હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમ્યાન હાલમાં પ્રવર્તમાન હેલ્પનલાઈન નંબર ઉપર આવતા ફોન કોલ્સ ૧૨ (બાર) મહિના સુધી આપોઆપ નવી હેલ્પ લાઈન ૧૧૨ ઉપર ટ્રાન્સફર થઈ જશે.

GVK EMRI દ્વારા હાલમાં કઠવાડા ખાતે ઈમરજન્સી સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્ર્કચર પહેલેથી જ સ્થાપિત છે અને ૧૦૮, ૧૮૧ અને ૧૦૦ જેવી ઈમરજન્સી સેવાઓ પુરી પાડતી હોવાથી નવીન હેલ્પલાઇન નંબર-૧૧૨ આધારિત ઈમરજ્ન્સી સેવાઓ પણ આ સંસ્થા દ્વારા કાર્યરત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા તબક્કામાંમાં સમગ્ર રાજ્યમાં હેલ્પલાઇન ૧૧૨ આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવશે. રાજયમાં નેશનલ ઇમરજન્સી રીસ્પોન્સ સિસ્ટમ સ્થાપિત કરવા ગૃહ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્યરત છે.