દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો લઈ જવા પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે.
આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરાવવા માટે ચૂંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન કોઈ ઉમેદવાર કે તેનો એજન્‍ટ કે પક્ષનો કોઈ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં રૂપિયા ૫૦ હજાર કરતા વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા ઉકત વાહનમાં કોઈ પણ પ્રકારની ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ (illicit articles) લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્‍કાલિક અસરથી જપ્‍ત કરી લેવામાં આવશે. આ તપાસ અને જપ્‍તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્‍થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

કોઈ વાહનમાં રૂ. ૧૦ લાખથી વધુ રોકડ રકમ મળે અને તે અંગે કોઈ ગુનાખોરી અથવા કોઈ ઉમેદવાર કે એજન્‍ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલા હોવાની શંકા ન હોય તો, સ્‍થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહી અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવક વેરા અધિકારીને પહોંચાડશે.