દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્મવિલોપન કરવાનું જાહેર કરાયું છે. તેમનો આરોપ છે કે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની મંજૂરી વગર જમીન હડપ કરી રહી છે.
શું છે આખો મામલો
દિલ્લી- મુંબઇ એક્સપ્રેસ ગોધરા તાલુકાના 25 ગામ અને મોરવા(હ)ના 3 ગામમાંથી પસાર થવાનો છે. અસરગ્રસ્ત ગામના ખેડુતોએ 5 સપ્ટેમ્બર 2018ના રોજ રેલી કાઢીને રાજયપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. ખેડૂતોની વહારે જિલ્લા કોગ્રેસ આવતા ભાજપના સાંસદે ખેડૂતો સાથે રહેવાની વાત કરવી પડી છે.
પંચમહાલ જિલ્લામાંથી કાલોલ તાલુકા , ગોધરા તાલુકા અને મોરવા(હ) તાલુકામાં દિલ્લી- મુંબઇ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર એકસપ્રેસ હાઇવે પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સમાચાર પત્રમાં જાહેરાત આપતાં ગોધરા અને મોરવા(હ) તાલુકાના ખેડૂતોને તેમની જમીન હાઇવેમાં જતી રહેવાની ખબર પડતાં અરસગ્રસ્ત ખેડૂતોએ મંગળવારે રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના 25 ગામોમાંથી ખેડૂતોની જમીનના સર્વે નંબર માંથી એક્સપ્રેસવે પસાર થાય છે.
જમીનમાં આવેલા કુવા, બોર, વૃક્ષો તથા મકાનો આ હાઇવેના કારણે જતાં રહેશે. ખેડુતોના ગુજરાન માટે ફક્ત ખેતી છે, જો જમીન વિહોણા થશે તો તેમની રોજગારી જતી રહેશે. તેથી તેઓ બરબાદ થઈ જશે એવું તેઓ માની રહ્યાં છે. મનસ્વી રીતે ભાજપ સરકાર જમીન છીનવી રહી હોવાનું લાગતાં ખેડૂતોએ વિરોધ ચાલુ રાખ્યો છે.
25 ગામોની આશરે 1500 એકર જમીન પર એક્સપ્રેસ બનાવવામાં આવશે. હાઇવેની કામગીરી મુલતવી રાખવાની અસરગ્રસ્ત ખેડૂતની માંગણી છે. હાલની સંપાદન કરવાની જમીનની બજાર કિંમત રૂ.2 લાખથી રૂ.10 લાખ એક એકર દીઠ છે. રોડ મંજૂર ન કરવાથી લઈને આજ સુધી તેઓ વિરોધ કરતાં રહ્યાં છે.
18 જેટલી વાંધા અરજીઓ આવી
હાઇવેના માટે જમીન સંપાદનના અરસગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે કોઇ નોટીસ આપ્યા વગર પર સરકારે કબજો મેળવવા માટે સંપાદનની પ્રકીયા શરૂ કરી દીધી છે. પંચમહાલ જિલ્લામાંથી અનેક ખેડૂતોએ પોતાની જમીન પરથી હાઈવે પસાર કરવા સામે વાંધા અરજી કલેક્ટરને આપી છે. મોટા ભાગની વાંધા અરજીઓમાં જમીનના બદલામાં જમીનની માંગણી કરી છે.
ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ખેડૂતોનો રોષ જોઈને જાહેર કરવાની ફરજ પડી હતી કે સરકારે હાઈવે માટે ફેરવિચારણા કરવી જોઇએ. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઇએ. હું ખેડૂતોની સાથે છું. જો તેઓની જમીન જતી રહેતી હોય તો સરકાર પાસે વધુ વળતર મેળવવા વાંધા અરજી કરવી જોઇએ.
પંચમહાલમાં 61 કિમીનો હાઇવે બનશે
કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર 6 લેન એક્સપ્રેસ હાઇવે પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવા(હ) અને કાલોલ તાલુકામાંથી પસાર થશે. ત્રણ તાલુકામાં થઇને એક્સપ્રેસ હાઇવે અંદાજીત 61.702 કીમીનો બનશે અંદાજીત રૂ.600 કરોડ ખર્ચ થશે. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ગુજરાતના ત્રણ જિ્લલામાંથી પસાર થવાનો છે. હાલ મુંબઇ દિલ્લી વચ્ચે 1450 કી.મી જેટલું અંતર કાપતાં 24 કલાક લાગે છે. પણ એક્સપ્રેસ હાઇવે બની જશે તો તે ઘટીને 16 કલાક થઇ જશે. સરકારે હાઇવેના સંપાદન માટે રૂ.6000 કરોડનું બજેટ નક્કી કર્યું છે. એક્સપ્રેસ હાઇવે પંચમહાલના ગોધરા નજીકથી પસાર થશે. 61 કી.મી હાઇવે બન્યા બાદ સાવલી તાલુકામાં થઇને ધોળકા હાઇવે સાથે જોડી દેવાશે. 2021 સુધી હાઇવેની કામગરી પુરી થશે. 200 મીટરની જરૂરીયાત સામે હાલ 100 મીટરનો પહોળો રોડ બનાવાનું શરૂ કરાશે.
કયા ગામો છે
ગોધરા તાલુકાના અંબાલી, એરંડી, ભાટપુરા, ભલાણીયા, ભામૈયા, ભાનપુરા, બોડીદ્રાબુર્ઝગ, છબનપુર, ચંચોપા, દરૂણીયા, ધનોલ, ગોધરા, ગોવીંદી, કણજીયા, કંકુથાંભલા, કેવડીયા કોટડા, મહેલોલ, નાનીકાંટડી, નસીરપુર, ઓરવાડા, પાંડવા, રૂપનપુરા, વાંસીયા તથા કાલોલ તાલુકાના બલેટીયા, ભાદરોલીબુર્ઝગ, ભાદરોલ, દેલોલ, નવેરીયા, કાનોડ, કનેટીયા, જેલી, પીંગળી, સમા, રતનપુરા તથા મોરવા તાલુકાના ખાબડા, નાટાપુરા, વાડીમાતરીયા ગામની જમીન સંપાદન કરી એકસપ્રેસ હાઇવે પસાર થનાર છે.
29 સપ્ટેમ્બર 2018માં પણ સંમેલન થયું હતું
ખરોડ ગામે ડાળીયા વડલા પાસે દાહોદ-ઝાલોદ હાઈવે રોડની બાજુમાં આદિવાસી પરિવાર દ્વારા જાહેર સભા મળી હતી. પછી એક વિશાળ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં આદિવાસી પરિવારો દ્વારા આ હાઈવેનું બાંધકામ તુરંત બંધ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. રેલીમાં આવવા દાહોદ જિલ્લાના તમામ રાજકીય પક્ષના ચુંટાયેલા લોકોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સાંસદ, આદિવાસી સમાજના રાજકીય આગેવાનો, તમામ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાના ઘણાં લોકો હાજર રહ્યાં હતા. 31 ઓક્ટોબર 2018માં દાહોદ જિલ્લો બંધ રાખી વિરોધ કરાયો હતો.
તેમ છતાં રાજ્ય કે કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોની વાત સાંભળી નથી.