આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામોમાં પાણીની અછત જોવા મળી છે. પાણીની અછતના કારણે કેટલાક ગામોના ખેડૂતો વાવણી પણ નથી કરી શક્યા, જેના કારણે ઘાસચારની અછત ઊભી થઈ હતી. આવા સમયમાં ગુજરાત સરકારે એક સર્વે કરાવીને કેટલાક ગામો અને જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ જિલ્લામાં પાટણ જિલ્લાના 7 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારની આ જાહેરાતના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રની એક ટીમે પણ પાટણ તાલુકાના અછત ગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી છે. હાલ 1.30 લાખથી વધુ લાભાર્થીઓ અછત ગ્રસ્તની સહાય માટે નોંધાયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1.23 લાખ જેટલા અછત ગ્રસ્તોને 123 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા પુરતો ઘાસનો જથ્થો ન આપવામાં આવતા પશુપાલકો રઝળી પડ્યા છે.
આ બાબતે પશુપાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, પશુઓ માટે ઘાસ એકવાર મળ્યું હતું પછી ક્યારેય ઘાસ મળ્યું નથી. અમારા ફોર્મ પણ ભરાઈ ગયા છે, પરંતુ હજી પણ અહીં ઘાસ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, પાટણમાં 28 જેટલા ઘાસડેપો આવેલા છે. આ ઘાસડેપોમાંથી 20 ડેપોમાં ઘાસ જ નથી. ત્યારે પશુપાલકોના પણ આક્ષેપો છે કે, તેમણે એકથી બે વાર જ ઘાસ મળ્યું છે. બાકી ઘાસની અછતની સ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. પશુ પાલકોને પૂરતા પ્રમાણમાં ઘાસ ન મળતું હોવાના કારણે તેમણે સરકારી કચેરીના ધક્કાઓ ખાવા પડે છે.
આ મામલે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે 7 ડેપોમાં જ ઘાસ છે, બાકી 20 જેટલા ડેપોમાં ઘાસ નથી. વલસાડથી જેવું ઘાસ આવશે તેવું તમામ ડેપોમાં ફાળવી દેવામાં આવશે