દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ટ્રકો ભરીને રેલી લઈ જવામાં આવે છે. અબજો રૂપિયાની સંપત્તિની લૂંટ થઈ રહી છે. સરકારને રોયલ્ટીના કારણે મોટી ખોટ પડી છે.
કલેકટરને ફરી એક વખત રજૂઆત
નાવાદ્રા ગામના ખેડૂતો 20 મહિનાથી રેતી માફિયાઓ સામે લડત ચલાવી રહ્યાં હોવા છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી લઈને તલાટી સુધીના જવાબદાર એવા 700 લોકોએ કોઈ જ પગલાં ભર્યા નથી. ભ્રષ્ટાચારીઓએ પાકી પદ્ધતિ વિકસિત કરી છે અને માફિયાઓના હપ્તા ગામ, તાલુકા, જિલ્લા, ઝોન, ભૂસ્તર વિભાગ અને સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચે છે. ગામના લોકોએ 31 જૂન 2019ના દિવસે દ્વારકા કલેક્ટરને ફરી એક વખત મળીને રજૂઆત કરી છે. ગામ લોકોએ કલેક્ટર સમક્ષ સીસીટીવી કેમેરા અને દરિયા કાંઠે ચેક પોસ્ટ મૂકવા માટે માંગણી કરી છે.
દરિયો અંદર આવી ગયો
દરિયા કિનારાનું પાણી રેતી ચોરીના કારણે ખેતીની જમીનમાં ઘૂસી જતાં ખેતીની જમીન નાશ પામી રહી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેતરો બરબાદ થઈ ગયા છે. દરિયો અને રેતીની કુદરતી રીતે જ પાળ બનાવી આપે છે. તેથી મોજાનું પાણી કાંઠો તોડીને અંદર આવતું નથી. પણ રેતી ચોરોએ 35 કિલો મીટર સુધી રેતીનો પાળો ઉઠાવી લીધો હોવાથી ખેતરોમાં મોજા પહોંચી જાય છે તેથી હજારો હેક્ટર ખેતીની જમીન ખારી બની ગઈ છે અને તેથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. દરિયાના પાણીને જમીન પર પહોંચાડવા રેતીની ફારતી પાળ પણ તૂટી જતાં ખેડૂતોના ખેતરો, કૂવા, બોરમાં પણ ક્ષાર આવી ગયો છે.
કયા ગામમાં રેતીનું કૌભાંડ
બરડિયા, ચંદ્રભાગા, વરવાળા, ભોગાત, ગાંધવી, નાવદરા તથા કલ્યાણપુર તાલુકાના લાંબા
ગામ લોકોને ધમકી
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના કરશન રજનીકાંત, નિતેશ ભીખાભાઈ, દ્વારા કટેક્ટર અને ભુસ્તરશાસ્ત્રી સમક્ષ ફરિયાદ કરી છે કે, તેમના ગામમાં રેતી ચોરવામાં આવે છે. તેનો વિરોધ કરતાં અમને ધમકી આપવામાં આવે છે. પોલીસ તેમને મદદ કરે છે. પોલીસ રક્ષણ આપવાની તેમણે માંગણી કરી હતી. બે કિલોમીટર જેટલી નાળી બનાવી દીધી છે. રોજ રાતે રેતી ચોરી કરી જાય છે. તેથી દરિયાનું પાણી જમીનની અંદર આવી રહ્યું છે. દરિયા કાંઠે પોલીસ પેટ્રોલીંગ મૂકવા માંગણી કરી હતી. 12 જૂન 2018માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પગલાં ભરવા માટે આદેશ આપ્યો હતો. તેમ છતાં એક વર્ષથી ચોરી ઘટવાના બદલે વધી છે. મુખ્ય પ્રધાને તે અંગે નિયમિત અહેવાલ આપવામાં આવે છે છતાં ચોરી થાય છે તેનો મતલબ અહીં જુદો કાઢવામાં આવી રહ્યો છે.
કયા આરોપીઓ પકડાયા છે
બરડિયા ગામના લખમણ સાંગા ગરસર, ભરત સાંગા ગરસર, મેરૂભા દેવૂભા કારા તથા દ્વારકાનાં નારણ હાજા હાથિયા અને જીતુભા રાણાભા માણેક રેતી ચોરી કરતાં પકડાયા છે.
ગોમતી નદીની એ રેતી ક્યા ગઈ
ગોમતી નદી માંથી મે 2018માં 25 થી 35 હજાર મેટ્રિક ટન રેતી કાઢીને દૂર કરવામાં આવી હતી. પાંચમાં દિવસે ગોમતીનદી માંથી આશરે 210 ક્યુબીક મીટર દરિયાઇ રેતી માટી કાઢવામાં આવી હતી. દરરોજ એક મહિના સુધી અંદાજીત 200 ક્યુબીક મીટર દરિયાઇ રેતી બહાર કાઢવામાં આવી હતી. તે રેતી ક્યાં નાંખવામાં આવી છે ?
આંખ બંધ કરતાં રાજકારણીઓ અને અધિકારીઓ
ખાણ ખનિજ, પોલીસ, કલેક્ટર, મામલતદાર, ધારાસભ્યો, સાંસદો વગેરેને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. લાંબા ગામના ગ્રામજનોએ દ્વારકાના તત્તકાલીન ધારાસભ્ય પબુભા માણેકને મળીને રેતી ચોરી અટકાવવા રજૂઆત કરી હતી. ત્રણ કિ.મી.નો સમુદ્ર કિનારો રેતી ચોરીના કારણે નાશ પામ્યો છે. ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. દરિયા કિનારાનું પાણી રેતી ચોરીના કારણે ખેતીની જમીનમાં ઘૂસી જતાં ખેતીની જમીન નાશ પામી રહી છે, અને ગરીબ ખેડૂતો માટે તો આ રેતી ચોરીના કારણે રોજીરોટીની મોટી સમસ્યા થઈ ગઈ છે. રેતી ચોરી બંધ ન થતાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે.
હજારો કાચબા પર જોખમ
દ્વારકાથી પોરબંદર કે જામનગર સુધી દર વર્ષે હજારો દરિયાઈ કાચવા ઈંડા મૂકવા આવે છે. ઓખા મઢી બીચ નજીક આવેલા કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી 40થી 45 હજાર દરિયાઈ કાચબાઓના ઈંડા ઉછેરીને તેના બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે. સમગ્ર કિનારા પર આવા લાખો કાચબાના બચ્ચા ઉછેર પામે છે. અહીં 10થી 7 કરોડ વર્ષથી એટલે કે ડાયનાસોર યુગથી ઈંડા મુકવા માટે કાચબા આવે છે. હવે રેતી ન રહેતાં તેમના અસ્તીત્વ પર જોખમ ઊભું થયું છે.