સત્તા પરિવર્તન – દિલીપ પટેલ – ઈતિહાસ
22 વર્ષ જૂના આત્મારામ પટેલના ધોતિયાકાંડ કેસમાં વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત 39 આરોપી 31 જાન્યુઆરી 2018માં દોઢ કલાકમાં જ છૂટી ગયા હતાં. સરકાર તરફે સીઆરપીસીની કલમ 321 હેઠળ કેસ પરત ખેંચવા કરેલી અરજી એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે.એમ.બારોટે ગ્રાહ્ય રાખી હતી. પણ હવે તેનું સાચું રહસ્ય બહાર આવ્યું છે. આત્મારામ પટેલ આ કેસમાં ફરિયાદી હતા જેના વકીલ તરીકે ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપુત વકીલ હતા. તેમણે રહસ્ય પરથી પડદો ઉઠાવતાં કહ્યું હતું કે, મારા અસીલનું અવસાન થયું હતું. તેથી મેં કોર્ટને કહ્યું હતું કે હવે મારા અસીલ જ રહ્યાં નથી તેથી તે કેસમાં હું કઈ રીતે રહી શકું. તેમ કહીને કોર્ટ સમક્ષ આત્મારામ પટેલનું મરણ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેથી કેસ ચાલી શકે તેમ ન હતો. આમ સરકાર જ નહીં પણ જરૂપસિંહ રાજપુતની આ કેસમાં મહત્વની ભૂમિકા રહી હતી. એવો તેમણે આજે ઘટસ્ફોટ કર્યો હતો. આ કેસમાં તમામ 39 આરોપીઓ નિર્દોષ જાહેર થયા હતા.
શું છે ડબલ ધોતી કાંડ ?
1996માં જાહેરમાં ધોતી ખેંચીઈ હતી
1996માં ભાજપમાં ધોતિયા કાંડ થયો હતો. અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા ભાજપના રાજકીય કાંડથી સમગ્ર દેશમાં ભાજપ બદનામ થયો હતો. મહેસાણાના સહકારી આગેવાન અને ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ ભાજપ છોડીને બળવાખોર શંકરસિંહ વાઘેલા સાથે જોડાઈ જતાં તેમની શાખ ખતમ કરવા માટે તેમનું ધોતિયું ખેંચીને ભાજપના જ કાર્યકરોએ વસ્ત્રાહરણ કર્યું હતું.
1995થી શરૂઆત
1995માં 121 બેઠકો સાથે ભાજપ પહેલીવાર ગુજરાતમાં સત્તા પર બેઠો હતો. જે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીને પસંદ પડ્યું ન હતું. સંઘમાંથી ભાજપમાં આવતાં લોકો સત્તા પર આવ્યા હતા. સંઘી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નિયુક્ત થયા હતા. તેમની કચેરીની અંદર જ ભાજપના મહામંત્રી નરેન્દ્ર મોદી બેસતાં હતા. તેઓ જ વહીવટ સચાવતાં હોવાથી તેમને સુપ્રિમ સરકાર ગણવામાં આવતી હતી. કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે અટલ બિહારી વાજપાયી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ કુશાભાઉ ઠાકરે હાજર રહ્યાં હતા. પણ મુખ્યમંત્રીના બદલે મહામંત્રી નરેન્દ્ર મોદી નિર્ણયો લઈ રહ્યાં હતા. જેની સામે આઈએએસ, આઈપીએસ, અને સરકારી અધિકારીઓએ વિરોધ કર્યો હતો. તેમાં શંકરિસંહ વાઘેલા પોતે પણ જોડાયા હતા. નરેન્દ્ર મોદીએ કેશુભાઈને એવું સાબિત કરી આપ્યું હતું કે શંકરસિંહ વાઘેલા મુખ્ય પ્રધાન બનવા માંગે છે. તેથી તેમને દૂર રાખો. તેથી શંદરસિંહ વાઘેલાનો કોઈ ભાવ પૂછતા ન હતા.
કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ
તે સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણા હતા. તેમને રાજીનામું આપી દેવા માટે રાષ્ટ્રીય પ્રમુખ લાલ કૃષ્ણ અડવાણીએ આદેશ કર્યો હતો. કેશુભાઈને ભાજપના જ નેતાઓએ ચારેબાજુથી ઘેરી લીધા હતા. તેમને ભાજપના ટોચના નેતાથી અલગ કરી દેવાયા હતા. જેમાં નરેન્દ્ર મોદીનું ભેજું કામ કરી રહ્યું હતું. શંકરસિંહને સત્તાથી દૂર રાખતા અને નિર્ણયોમાં તેમની કોઈ ભાગીદારી ન રહેતાં તેઓ નારાજ થયા હતા. હવે તેમણે સબક શિખવવાનું નક્કી કર્યું હતું. તેમણે મુખ્ય પ્રધાન બનવાનું નક્કી કરી લીધું હતું. કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો.
શંકરસિંહનો બળવો
શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો અને સરકાર પાડી દેવા માટે ગાંધીનગર પાસેતા તેમના વતન વાસણ ગામમાં ધારાસભ્યો એકઠા કરી કેમ્પ કર્યો હતો. ત્યાં ખતરો ઊભો થતાં પછી ધારાસભ્યોને ચરાળા ખાતે હરીભાઈના ફાર્મમાં લઈ જવાયા. ત્યાં પણ હુમલો થતાં બધા ધારાસભ્યોને એવું કહીને બહાર કાઢાયા હતા કે રાજ્યપાલ પાસે લઈ જવાના છે. પણ ખરેખર મધ્ય પ્રદેશના દિગ્વિજયસિંહના વડપણ હેઠળની સરકારની મદદથી ખજુરાહો એક રિસોર્ટમાં લઈ જવાના હતા. જો તે પહેલાં જાહેર કરે તો ગાંધીનગરમાં પોલીસ અધિકારી વણજારા ધારાસભ્યોના કાફલાને રોકીને ત્યાં જ અટકાવી દેવા તૈયાર બેઠા હતા.
ખજુરાહો કાંડ
ત્યારબાદ ત્યાંથી અમદાવાદ લાવી વિમાન માર્ગે 40-45 ધારાસભ્યોને મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે લઈ જવાયા હતા. અટલ બિહારી વાજપાયીએ દરમિયાનગીરી કરી અને શંકરસિંહને ભાજપ નહીં છોડવા સમજાવ્યા હતા. વચ્ચેનો રસ્તો શોધી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા હતા. સુરેશ મહેતા મુખ્ય પ્રદાન બને તે શંકરસિંહને માન્યા ન હતું. વળી આરએસએસને પણ પસંદ ન હતું. કારણ કે સુરેશ મહેતા સંઘ સાથે જોડાયેલા ન હતા. તેઓ પૂર્વ ન્યાયાધીશ હતા. આ વાત સંઘમાંથી ભાજપમાં આવેલા સત્તા લાલચુ લોકોને પસંદ ન હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણાએ કેશુભાઈની માંગણી સાથે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી દીધા હતા. આ વાત મોદીના ટેકેદારો અને સંધના લોકોએ અટલ બિહારી વાજપાયીનો જાહેરમાં આડકતરો વિરોધ શરૂ કર્યો હતો. જેમાં અટલ બિહારી વાજપેયીની ધોતી સાત કરોડમાં વેચાઈ ગયા હોવાનો આરોપ પણ ભાજપમાંથી લગાવવામાં આવ્યો હતો. આ સૂત્રોચ્ચાર સરદાર પટેલ સ્ટેડિયમમાં પણ કરાયા હતા. કારણ કે સંઘમાંથી આવેલાં મહામંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી દેવા માટે વાજપેયી તૈયાર થયા હતા. તેથી જ શંકરસિંહ વાઘેલાએ સમાધાન કર્યું હતું. ભાજપની સરકાર બચી હતી પણ કેટલાંક લોકોને પસંદ ન હતું.
બાજપેઈનું સન્માન કરવા સ્ટેડિયમ આખું ભરેલું હતું
1996માં લોકસભાની ચૂંટણીમાં વાજપાયી ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડ્યા હતા અને જીતી વડાપ્રધાન થયા હતા. તેથી તેમનું ભવ્ય સન્માન કરવા માટે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં 20 મે 1996ના રોજ કાર્યક્રમ હતો. વાજપાયીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે ખાડિયા ભાજપના કેટલાક તોફાની કાર્યકરોએ સૂત્રો બોલવાનું શરૂ કર્યું હતું. મીડિયા માટે અલગ રાખવામાં આવેલી જગ્યાની બરાબર સામે પણ કેટલાક કાર્યકરો એકઠા થઈને ઉગ્ર બન્યા હતા. આગળની હરોળમાં સરકારના મંત્રીઓ પણ હતા. જેમાં આત્મારામ પટેલ પણ સામેલ હતા. આ મંત્રીઓમાં ઘણાં એવા હતા કે જેમણે શંકરસિંહ વાઘેલાના બળવાનો સાથ આપ્યો હતો. જે મહામંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ પણ કર્યો હતો.
કાળું પ્રકરણ ધોતી ખેંચાઈ
અમદાવાદમાં જનતાનું અભિવાદન કાર્યક્રમ હવે ભાજપના ઈતિહાસમાં એક કાળું કલંકિત પ્રકરણ બની જવાનું હતું. જેવી સભા પૂરી થઈ તેની સાથે જ ભાજપના કાર્યકરો તોફાને ચઢ્યા હતા. ધક્કામુક્કી અને હાયહાયના સૂત્રો વચ્ચે વાજપાયીની ધોતી 7 કરોડમાં વેચાઈના સૂત્રો પણ હિન્દીમાં બોલી રહ્યાં હતા. ભારતના રાજકારણમાં નગ્ન કાંડ શરૂ થયો. જે પ્રધાન હાથમાં આવે તેને ધક્કે ચઢાવીને અપમાનિત કરવામાં આવ્યા હતા. અનેકના વસ્ત્રો ખેંચાયા, અનેકની સાથે ચેનચાળા થયા હતા. મહિલાઓ પોતાની સલામતી માટે સ્ટેડિયમની બહાર નીકળવા રીતસર દોડી રહી હતી. પરિણામે સ્ટેડિયમમાં ચારેબાજું અરાજકતા ફેલાઈ હતી. શહેરના મધ્યભાગમાં જ આ બધું થઈ રહ્યું હતું. જ્યાંથી નીકળી શકાય ત્યાંથી લોકો ભાગવાની કોશિશ કરી રહ્યાં હતા.
અત્મારામને ટાર્ગેટ કરાયા
વયોવૃદ્ધ નેતા અને મંત્રી આત્મરામ પટેલ બહાર ભાગી શકે તેમ ન હતા. નક્કી કરેલા આયોજન પ્રમાણે ટોળું આત્મારામ પાસે ગયું અને તેમને ધક્કો મારી નીચે પટકી દીધા હતા. એક તોફાની કાર્યકરે તેમનું ધોતિયું ખેંચી લીધું તેઓ નિર્વસ્ત્ર થઈ ગયા હતા. સાથે જ તેમને ગડદા પાટુનો ખૂબ માર મારવામાં આવ્યો હતો. તોફાન દરમિયાન પોલીસ આવી ખરી પણ આત્મારામને બચાવીને ભાગી જવું પડ્યું તેવી સ્થિતિ થઈ હતી. અહીં એકેએક વિરોધીઓને અપમાનિત કરાયા હતા. સ્ટેડિયમ બહાર ભાજપના મંત્રી દત્તા ચિરંદાસ પાછળ ટોળું પડ્યું હતું. તેથી જીવ બચાવીને તેઓ દોડ્યા હતા. કોઈએ તેમને વાહનમાં બેસાડીને જીવ બચાવ્યો હતો. નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલવામાં જેમનો પણ હાથ હતો તેમને પકડીપકડીને માર મારવામાં આવ્યો હતો. (આ કાર્યક્રમમાં આ લેખના લેખક દિલીપ પટેલ એક પત્રકાર તરીકે હાજર હતા.)
ધમાલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હતા
તેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાંક કાર્યકરો પણ હતા. ધમાલ કેમ કરવી તેની સુચના નારણપુરાના ભાજપના હાલના શક્તિશાળી નેતાના ઘરેથી આપવામાં આવી હતી. મુળ યોજના બોપાલ-ઘુમા પાસે એક શૈક્ષણિક સંસ્થામાં બનાવવામાં આવી હતી. જેમણે ધમાલ કરાવી હતી તે બન્ને નેતાઓ હાલ ભાજપમાં ટોચના સ્થાને બેઠા છે. સત્તા તેમની પાસે કેન્દ્રીત થયેલી છે. કેસ ચાલી રહ્યો છે ડો.તોગડીયા અને બીજા લોકો પર. જ્યાં ક્રિકેટ રમાવી જોઈએ ત્યાં સત્તાનું નગ્ન તાંડવ ખેલાયું હતું. તાંડવ ખેલનારા આજે સત્તા પર બેઠા છે.
પ્રવિણ તોગડિયા સામે ગુનો
તે સમયે વિશ્વ હિન્દુ પરાષદના મંત્રી ડો.પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી મિત્રો હતા. નારણપુરા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ તોગડિયા, ભાજપના નેતા બાબુ જમનાદાસ પટેલ સહિત 39 ભાજપના કાર્યકરો સામે આત્મારામ પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરી કેશુભાઈ પટેલની સરકાર બનતાં 1998માં સરકારે આ કેસ પરત ખેંચવા મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે કાઢી નાંખી હતી. સરકારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અરજી જજ બેલાબેન ત્રિવેદીએ મેટ્રો કોર્ટમાં ફરીથી સાંભળવા મોકલી આપી હતી. ત્યારથી આ અરજી મેટ્રો કોર્ટમાં પડી રહી હતી.
શંકરસિંહને હરાવ્યા
1996ની લોકસભાની ચૂંટણીમાં અટલજી ગાંધીનગર અને લખનૌ બંને બેઠકો પર જીતીને 13 દિવસના વડાપ્રધાન થયા હતા. એ વેળાની ચૂંટણીમાં શંકરસિંહ ગોધરાથી ભાજપના ઉમેદવાર હતા પણ એમને વિહિપ થકી હરાવાયા. ‘એક ગુપ્ત બેઠકમાં નક્કી થયું હતું કે વાજપેયી બહુ મોટી બહુમતી મેળવે નહીં, આડવાણીજી કરતાં ઓછા મત મેળવે એટલું જ કામ કરવું. તો, શું કામ કરવાનું હતું ભાજપે? તેમણે ગોધરામાં શંકરસિંહ વાઘેલા અને બીજા પાંચેક સાથી ઉમેદવારોને હરાવવાના હતા. તેમ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદને આગળ ધરવામાં આવી હતી. જેમાં પ્રવીણ તોગડિયા એક હતા. કેટલાક સાધુઓને ઉપવાસ પર બેસાડાયા. આ માટે કોંગ્રેસ કાર્યાલયનો ઉપયોગ થયો હતો.
ઘટના તાજી થઈ
20 મે 1996ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા ધોતીયાકાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. 21 વર્ષ બાદ અમદાવાદ કોર્ટ દ્વારા આ કેસના મુખ્ય આરોપી ડૉ. પ્રવિણ તોગડીયા સહિત 39 આરોપીના બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યા હતા. જેના પગલે હવે તમામ આરોપીઓ એક પછી એક કોર્ટ સામે હાજર રહી જામીન મેળવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં જેમને ભાગેડુ દર્શાવવામાં આવ્યા છે તેવા ત્રણ આરોપીઓ પૈકી માણસાના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર મંગળદાસ પટેલનું પણ નિધન થઈ ગયુ છે. યતીન ઓઝા અને વિપુલ ચૌધરી પણ કેસમાં હતા.
ફરિયાદ નોંધનાર અને કેસના પહેલા તપાસ અધિકારી નારણપુરાના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર બી આર ગીગલાણીને કોર્ટ સામે હાજર રહેવા ફરમાન કર્યુ હતું. જેમા બીજી બધી વાવતો તો જાહેર થઈ છે પણ ફરિયાદી આત્મારામ પટેલનું અવસાન થયું હોવાથી તે ફરિયાદ ટકી શકે તેમ ન હતી. વળી ફરિયાદીના વકીલને આત્મરામ પટેલનું અવસાન થઈ જતાં કેસમાંથી બહાર નિકળી જવાની દલિલ કોર્ટમાં કરી હતી.
(દિલીપ પટેલ)