નવલખા મંદિરનું અધુરૂં સમારકામ પૂરું કરો નહીંતર નાશ થશે

જામનગર-પોરબંદર નજીક બરડા ડુંગરની તળેટીમાં સુરક્ષા માટે સૈધવો-જેઠવા રાજવીઓએ સ્થાપેલી પ્રાચીન નગરી ઘુમલીમાં આવેલા નવલખા મંદિરના શિલ્પ સ્થાપત્યના અદ્ભૂત નમૂનારૂપ વિશાળ મંદિરનું રીસ્ટોરેશન (રીપેરીંગ) કામ રાજ્ય પૂરાતત્ત્વ ખાતા તરફથી શરૂ કરાયું હતું, સ્થાનિક અધિકારીની બદલી થતાં 8 વર્ષથી કામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું છે. અહીંના સ્થાપત્યએ દેશનું ધ્યાન દોર્યું છે. ભારતનું પ્રથમ એવું ગણપતીનું ઉજ્જડ મંદિર અહીં છે.

બે મોટી જેતાવાવ અને વીકિયો નામની બે પ્રાચીન વાવ આવેલી છે. આ બન્ને વાવની ગણના ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાચિન અને વિશાળ કદની નામાંકિત વાવોમાં રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગ તરફથી કરવામાં આવી છે. આ બન્ને વાવ નષ્ટ થવાને આરે ઊભી છે. અસ્તિત્વ નામશેષ થવાની હાલતમાં આવી ગયું છે. સમારકામની કામગીરી માટે  જામનગરના સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરિટેજ કેર ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ અને જામનગરના નવાગામ (ઘેડ) રાજપૂત સમાજના પ્રમુખ દિલીપસિંહ જેઠવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને કરી છે.