દેશમાં 8 રાજ્યોએ નાગરિકતા કાયદાનો વિરોધ કરીને તેનો અમલ નહીં કરવા માટે જાહેરાત કરી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર મોદીના સમર્થનમાં તુરંત વિધાનસભા બોલાવવાની જાહેરાત કરી છે.
દેશના નાગરિકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. ભારતના બંધારણની વિરૂદ્ધ હોવાનું લોકોએ જાહેર કર્યું છે. ત્યારે ભાજપ લોકોની વિરૃદ્ધ જઈને હવે ગુજરાતમાં પણ લોકશાહીના મંદિરમાં લોહશાહીની હત્યા કરવા જઈ રહ્યો છે.
પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે એવી જાહેરાત ભાજપની સરકારે કરી છે.
વળી અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણને વધુ સુદ્રઢ બનાવવા માટેના ઐતિહાસિક સુધારાને સમર્થન આપવા રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે.
અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટેના કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આપવા માટે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બોલાવવાનું રાજ્યપાલ દ્વારા આહવાન કરવામાં આવશે. સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલશ્રીના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કરાશે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં 126મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે.
પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા ત્યાંના લઘુમતી સમુદાય (હિન્દુ, પારસી, શીખ, બૌધ્ધ, ખ્રિસ્ત્રી, જૈન) કે જેઓ ભારતમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલાથી વસવાટ કરે છે તેમને ભારતનું નાગરિકત્વ આપવા માટેના ઐતિહાસિક નિર્ણય કરાયો છે. આનાથી ભારતના લઘુમતિ સમુદાયને કે તેમના નાગરિકત્વ પર કોઇ અસર થવાની નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપવા માટે વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.