સમી, તા.૦૪
સમી તાલુકાના નાની ચંદુર ગામમાં પાલકરી તળાવ વાસ વિસ્તારના લોકોને ગામથી બહાર નીકળવા માટેના રસ્તા ઉપર એક ફૂટ જેટલો કીચડ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાનીચંદુર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં તળાવ વાસ જવાના રસ્તા ઉપર છેલ્લા 15 વર્ષથી વરસાદ થતાં જ કીચડ થઇ જાય છે. જેના કારણે આજુબાજુના લોકો દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે. પ્રાથમિક શાળામાં જવાના મુખ્ય માર્ગ ઉપર જ કિચડ થતાં શાળાએ જતા બાળકોને પણ આ કીચડમાંથી પસાર થવું પડે છે. ઉપરાંત આ વિસ્તારના લોકોને ગામમાંથી બહાર નીકળવા મુખ્ય માર્ગ હોય ચોમાસા દરમિયાન પાણી ભરાઇ જતાં વાહનો નીકળી શકતા નથી.
આ અંગે ગામના ઠાકોર અભયસિંહના જણાવ્યા પ્રમાણે તંત્રને વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી, મચ્છરો અને અસહ્ય દુર્ગંધથી ગામમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, આ પ્રશ્નનું સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહી કરીશું.