ગુજરાત કોંગ્રેસના પ્રદેશના આગેવાનો 7 મે 2019થી 10 મે 2019 દરમિયાન ગુજરાતના દુષ્કાળ ગ્રસ્ત અને પાણી ગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. સમગ્ર ગુજરાતમાં પાણી અંગેની જે પણ સમસ્યાઓ ઉભી થઇ છે, કેટલાં પ્રમાણમાં થઇ છે, કોના કારણે ઉભી થઈ છે અને ઉકેલ શું આવે, તે અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ ત્રણ દિવસની અંદર અહેવાલ તૈયાર કરી પ્રદેશ કોંગ્રેસને આપવામાં આવશે. અહેવાલ પરથી પાણીની સમસ્યા કેમ કરીને જલ્દી ઉકેલાય તેવા પ્લાન સાથે જીલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ રજૂઆતો કરશે.
કોંગ્રેસના મહામંત્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકારની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઉભી થઇ છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા નવેમ્બર 2018માં 81 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છતાં સરકાર દ્વારા ઉનાળાનું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું નહિ, જે આ સરકારની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ દેખાય છે.
સરકાર દ્વારા નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવામાં આવ્યા પછી સારાએવા પ્રમાણમાં પાણી આવ્યું હતું. હાલ પણ 51 ટકા પાણી નર્મદા બંધમાં છે. ગુલબાંગોમાં રાચતી ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ કે તો પછી આ પાણી પ્રથમ વર્ષમાં વધુ ભરાયું છે છતાં ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ કેમ? શું પાણી કોઈ ચોરી ગયું ? ગુમ થઇ ગયું ?
આમ જ ભાજપ સરકાર દ્વારા ‘સુજલામ સુફલામ’, ‘સૌની યોજના’, ‘ચેક ડેમ’ જેવી મોટી મોટી યોજનાની જાહેરાતો કરીને પ્રજા સાથે છેતરપીંડી કરી છે. વર્ષોની પરંપરા મુજબ જે તે સરકાર દર વર્ષે નિષ્પક્ષ નિષ્ણાંતોની પાણીના આયોજન માટે કમિટી બનાવે છે. આવી જવાબદાર કમિટી પણ આ સરકારે વિખેરી નાંખી, તેમના માનીતા લોકોની કમિટી બનાવી એ પણ ભાજપની માનસિકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ હિમાંશુ પટેલે જણાવ્યું હતું.