કઠીન પરિસ્થિતીમાં કાર્ય કરતા પોલીસને કામકાજના સ્થળે અને વિરામ દરમ્યાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળા રૂ.2122 કરોડના ખર્ચે 36,856 ઘર અને ગાંધીનગરમાં સેકટર-10-બીમાં 2938 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી રૂ.8.70 કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી.ની વડી કચેરી સરકારે બનાવી છે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. સરકારે પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુકત, ઝડપી અને ટાઇમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે. ગુડ ગર્વનન્સથી શ્રેષ્ઠ કાર્યસ્થળોના નિર્માણની જે દિશા આપી છે તેને વર્કકલ્ચરમાં બદલાવ અને કોર્પોરેટ ટાઇપ ભવનો-સુવિધાઓથી જાળવી રાખવાની છે.
રૂપાણીએ વધુંમાં જણાવ્યું હતું કે, આવાસ નિગમ દ્વારા હવે નિર્માણ થનારા આવાસો, ભવનો-કચેરીઓ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ, સોલાર પેનલ્સ અને વોટર મેનેજમેન્ટના કન્સેપ્ટ સાથે બનાવવાનું સૂચન કર્યું હતું.
વિજયભાઇ એ રાજ્યમાં પ્રવર્તમાન પોલીસ લાઇનોના મકાનોની મરામત દુરસ્તી હાથ ધરવા પણ નિગમને પ્રેરણા આપી હતી. 35,134 મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે. 2948 બિનરહેણાંક મકાનો રૂ.1406 કરોડના ખર્ચે બાંધવાનું કામ હાથ ધરીને 1600 રહેવાના મકાનો વપરાશ માટે સોંપી દીધા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવી કચેરી રૂ.80 કરોડની બની રહી છે. નિગમે ACB ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેકટસ પણ હાથ ધરેલા છે. પોલીસ આવાસ નિગમ દ્વારા વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠય પુસ્તકમંડળ, ઘેટાં ઊન વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયા છે. રાજ્યમાં પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજ્જ મકાનો આપવાની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે રૂ. પપ૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં ભરતી વધતાં આવાસ અને મોકળાશ ભરી કચેરીઓનો સેટિફેકશન રેશિયો મેઇન્ટેઇન કરવા આવાસોની આવશ્યકતા પોલીસ આવાસ નિગમ પરિપૂર્ણ કરી રહ્યું છે.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે, પોલીસ વિભાગ માટે રહેણાંકના મકાનોની પ્રાપ્તિમાં 80 ટકા પૂર્તતાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા પણ આવાસ નિગમના ઇજનેરો, કર્મયોગીઓને અનુરોધ કર્યો હતો. રાજ્યમાં પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતાં સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો, કચેરીઓ તેમજ કર્મયોગી આવાસો નિર્માણની નેમ વ્યકત કરી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના આસીસ્ટંટ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા ગમે તે જાહેર કરતાં હોય પણ હાલ મોટા ભાગના પોલીસના ઘર અત્યંત ખરાબ હાલતમાં છે. તેમનું સમારકામ પણ પોલીસ આવાસ નિગમ દ્વારા કરવામાં આવતું નથી. પોલીસને 12થી 18 કલાક સુધી ડ્યુટી ભરવી પડે છે. તેમાં જ્યારે રાજકીય કાર્યક્રમ સરકારનો હોય છે અને સરકાર જ્યારે તેમના વિસ્તારમાંથી પસાર થતી હોય છે ત્યારે તેમની ડ્યુટી વધી જતી હોય છે. તેવા સંજોગોમાં પોલીસ પોતે પોતાના ઘરે સારી રીતે ઉંઘ પણ લઈ શક્તિ નથી. વળી તેમના ઘર પણ સારી સ્થિતીમાં જોવા મળતાં નથી.