વિજયનગર, તા.૧૬
વિજયનગર તાલુકાના પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા ‘સે નો પ્લાસ્ટિક ઈન પોલો’ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રવિવારે ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ તથા શાળા કોલેજોના 700 સ્વયંસેવકો તથા વન વિભાગના કર્મચારીઓએ સફાઈ અભિયાન આદરીને આશરે 250 કોથળા પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્ર કરી તેનો નાશ કરવાની કામગીરી કરી હતી.
પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા ઠેર ઠેર પ્લાસ્ટિક અને અન્ય કચરો ફેંકવામાં આવતા કચરાના ઢગ જામી ગયા હતા. જે અંગે પોળોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સે નો ટુ પ્લાસ્ટિક ઈન પોળો નામનું અભિયાન કરી સોશિયલ મીડિયાના માધ્યમથીપ્રચાર પ્રસાર કરી લોકોને આ બાબતનાસંદેશ મોકલી તેમને આ અભિયાનમાં જોડાઈને પોતાનું યોગદાન, શ્રમદાન આપવા માટે આહવાન કરાયું હતું જેમાં રવિવારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં રાજ્યના 15થી વધુ સ્વયં સેવી સંગઠનો, કોલેજો, આઈટીઆઈ, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ 700 જેટલા સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા.
જેમણે અભાપુર શરણેશ્વર મંદિરથી લઈને હરણાવ ડેમ સુધીમાંથી 250 કોથળા ભરીને પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી પોળોને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં હિંમતનગર નેચર ક્લબ, અમદાવાદ, સાઠમ્બા, ડેમાઈ, તલોદ, ધ્રાગંધ્રા યુથ ક્લબના સભ્યોએ પણ ઉત્સાહભેર જોડાઈ આ અભિયાનને સફળ બનાવ્યું હતું. સરકાર દ્વારા પોળોમાં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક સાથે ન લાવે તે માટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લાદવો જોઇએ તેવી માંગણી સંદર્ભે વન અધિકારી યોગેશ દેસાઈએ કલેકટર કચેરી દ્વારા આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. તેવું સાબરકાંઠા જિલ્લાના નાયબ વન સંરક્ષક તથા વાઈલ્ડ લાઈફ વોર્ડને જણાવ્યું હતું.