બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન કર્યું

બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં ચાલતા સ્ટોન ક્રશર અને બ્લાસ્ટ બંધ કરાવીને કંપની પાસેથી દંડ સાથે રોયલ્ટી વસુલવા માટે ગુજરાત સરકારમાં લાયન નેચર ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળા ફરિયાદ કરી છે.

ખાંભાના આ વિસ્‍તારમાં સિંહ, દિપડા, રોઝ, હરણ, ઝરખ, જંગલી સુવર, મોર સહિતનાં વન્ય પશુ પક્ષી વસે છે. 10 વર્ષના ભાડા પેટે બ્‍લેક ટ્રેપમાં લીઝ મંજુર કરવામાં આવેલી હતી. તેમ છતાં આજે તે ખાણ નેસડી 2 ગામથી 1 કિ.મી. દુર અને નેસડી-રાજુલા રોડથી બીલકુલ નજીક આવેલ ગેરકાયદે માઈન્‍સમાં 8થી 10 ફૂટના પરીઘના દાર બનાવી ચાલું છે.

જ્યાં સિંહ વસે છે ત્યાં પ્રતિબંધિત એવા એલ્‍કા બ્‍લાસ્‍ટ કરવામાં આવી રહ્યાં છે. તેથી નેસડી ગામના રહેણાંકના મકાનો ધ્રુજી ઊઠે છે. બ્‍લાસ્‍ટના કારણે ભુગર્ભમાં તીરાડો પડવાથી ભુગર્ભ જળ ભંડાર વધુમાં વધુ ઉંડા ઉતરવાથી 3 કિ.મી. વિસ્‍તારના ખેડૂતોના કૂવામાં પાણી રહ્યું નથી. જેના કારણે કરોડો રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ખેડૂતો બેકાર બન્યા છે. ખેડૂતો હિજરત કરી ગયા છે.

વળી, રાજુલા-જાફરાબાદના દરીયાકાંઠે બંધાતી જેટીઓના કામમાં દરીયો પુરવા 10થી 20 ટનની શીલાઓ અહીંથી બ્‍લાસ્‍ટ કરીને કાઢીને દરરોજના સેંકડો ટ્રક ઘ્‍વારા ગેરકાયદે લઈ જવામાં આવે છે. તેથી રસ્તાને પારાવાર નુકસાન થયું છે. હવામાં તરતા રજકણો વધી જતાં લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થયું છે. પથ્થરો ખુલ્‍લામાં લઈ જવાતા ખનીજ તત્‍વોથી ખેતીની જમીનને અને ખેતીના ઉભા પાકને પણ નુકસાન થાય છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અને ગ્રીન ટેબ્‍યુનલની ગાઈડલાઈન ભંગ કરી પર્યાવરણનું નખોદ કાઢનારા નેસડી 2 ગામના ગેરકાયદે ચાલતા સ્‍ટોન ક્રશરને વ્‍યાપક જનહિત અને પર્યાવરણ બચાવવા ખાતર તાત્‍કાલિક અસરથી બંધ કરાવી છેલ્‍લા 9 વર્ષમાં થયેથી ખનીજ ચોરીની રોયલ્‍ટીની ગણતરી કરી રોયલ્‍ટી વસુલવા સાથે 10 ગણી રોયલ્‍ટીની રકમનો દંડ ફટકારવા માંગણી કરી છે.