બુલેટ ટ્રેન માટે સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામનું જમીન સંપાદન બાકી

Land acquisition of 14 villages of Surat, 8 of Navsari and 2 villages of Valsad are pending for the bullet train

અમદાવાદ, 8 ફેબ્રઉઆરી 2020

સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે મળેલી કલેકટર કોન્ફરન્સમાં બુલેટ ટ્રેનના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બુલેટ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થઈ રહી છે તે તમામ જીલ્લામાંથી જમીન સંપાદનનું કામ કેટલે સુધી પહોંચ્યું અને ખેડૂતોને કેટલું ચુકવણું કરવામાં આવ્યું તે બાબતને લઇ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે ૮૦ ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે.

જ્યારે ૨૦ ટકા જમીન હજુ પણ જંત્રીના ભાવ અને બજારભાવ આ બંને વચ્ચે અટવાયો છે. સુરત વલસાડ અને નવસારીના કુલ ૨૪ ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. તે જમીનના ભાવ જંત્રી પ્રમાણેની આકારણીમાં ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય તેના કારણે કામ અટકાવ્યું છે અને હજુ સુધી જમીન સંપાદન થઇ નથી. નોંધવનીય છે કે અત્યાર સુધીમાં ૮૦ ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે. જેમાં ૨૧ કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે.

કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે રાજ્યના તમામ શહેરોના કલેકટર સાથે અને ગાંધીનગર રેવન્યુ વિભાગ સાથે કોન્ફ્રરન્સ કરવામાં આવી હતી. જેમાં મહેસુલ વિભાગની તમામ કામગીરીની રિવ્યુ કરવામાં આવી છે. કોંફરન્સના પ્રથમ સેશનમાં સીએમની ઓફિસમાં સીએમ ડેસ્ક બોર્ડ બાબતે ચર્ચા કરી દરેક જિલ્લાના પરફોર્મન્સ રિવ્યુ કરાયો હતો.

જ્યારે મહેસૂલના કેસોને લઈને રાજ્ય સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ દ્વારા ૪૫૦ કેસો અલગ જિલ્લામાં નોંધાયા છે. જેમાં ૭૦ ટકા કેસો ગુનેગારોને સજા થાય તેવા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે મહેસૂલને લાગતી કામગીરીમાં ધારાસભ્યોની રજુઆતની નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં ખેડૂતોની જમીનમાં દસ્તાવેજમાં સાત-બારનો ઉતારો મહત્વનો હોય છે તેના બદલે હવે રાજ્ય સરકાર પ્રોપર્ટી કાર્ડ આપશે જે પ્રોપર્ટીકાર્ડ ૩૦ જૂન સુધી તમામ ખેડૂતોને આપવામાં આવશે. રાજ્યમાં સરકારી જમીન પર અનેક દબાણો જોવા મળી રહ્યા છે. જેમાં સરકારે તમામ કલેક્ટરોને સરકારી જમીન પરના દબાણનો રેકોર્ડ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

રેકોર્ડ તૈયાર થયા બાદ રાજ્યમાં તમામ સરકારી જગ્યા પરથી ટુંક સમયમાં દબાણ દૂર કરવામાં આવશે. જાહેર જનતાને મકાન, પ્રોપર્ટીના દસ્તાવેજ બનાવવા માટે સબ રજીસ્ટરને ત્યાં જવું પડતું હતું અને ટોકન લઈને બેસવાનો વારો આવતો હતો પણ હવે ટોકન લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે જેથી સમયનો વ્યવ ન થાય. આ પાયલોટ પ્રોજેકટ ૧૭ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.