બેંકના એસએમએસ એલર્ટથી વેપારીના ખાતામાંથી ખોટી રીતે ઊપડી ગયેલા પાંચ લાખ બચ્યા

રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતા જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતા ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતા કલાકોમાં વેપારીના ખાતામાં પૈસા પાછા જમા થયા હતા. આ મામલે જૂના ડ્રાયવર અને તેના સાગરીત સામે રાધનપુર પોલીસમાં ફરીયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાધનપુર હાઇવ પર ચામુંડા સોસાયટીમાં રહેતા ફરસુ મુળજી ગોકલાણી જેઓ કોલસાનો વેપાર કરે છે જેનો હિસાબ કિતાબ તેમનો અમદાવાદ ખાતે રહેતો મોટો દિકરો ભાર્ગવ સંભાળે છે. શનિવારે એચઅડીએફસી બેંકના ખાતામાંથી 5 લાખની લેવડદેવડ થયાનો બેંક એલર્ટ મેસેજ આવતા તેમણે રાધનપુર ખાતે ફરસુને જાણ કરતાં તેમણે તરતજ બેંકમાં જઇ તપાસ કરતાં મેનેજરે ચેક બતાવતા તેમના એકાઉન્ટનો એક ચેક અમદાવાદ શાખામાં જમા કરાવાયો હોવાનું જણાવતા ફરસુએ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું.

ફ્રોડ થયાનું જણાવતા બેંકના મેનેજરે પણ અમદાવાદ શાખાને જાણ કરતા કાઇટ્સ ટેકનોસોફ્ટ નામનું ખાતું પણ સ્ટોપ કરાયું હતું અને તેમાં જમા થયેલા નાણા પાછા ફરસુના ખાતામાં જમા થઇ ગયા હતા. આ મામલે રાધનપુર પોલીસ મથકે રવિવારે તેમનો જૂનો ડ્રાયવર નરેન્દ્ર મારવાડી અને તેના મળતીયા ખાતાધારક એમ બે શખ્સો સામે ફરીયાદ આપતા ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

વેપારી ફરસુ ગોકલાણીએ જણાવ્યું કે નરેન્દ્ર મારવાડી અગાઉ મારી પાસે રોજગારી માટે આવેલો અને તેને ડ્રાયવર તરીકે રાખ્યો હતો. તેણે આ ચેક ચોરીથી કાઢી લીધો હશે જે હવે ઉપયોગ કર્યો છે.
આ ઘટનામાં જો બેંક મેસેજ સીસ્ટમ ન હોત તો તત્કાળ નાણાકીય લેવડદેવડની જાણ થઇ ન હોત અને સામેવાળાએ નાણા કેશ પણ કરી લીધા હોત, પણ ટ્રાન્જેકશન એલર્ટ મેસેજ આવતા જ સ્ટોપ પેમેન્ટ કરાવી દેતાં ગયેલા નાણા બે ત્રણ કલાકમાં જ પાછા આવી ગયા હતા.