ભગવાનનું બ્રાન્ડ નામ રાખી જંતુનાશકો અને ખાતરમાં વ્યાપક ભેળસેળ

બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની કૃષિ વિભાગે ચકાસણી કરીને ૫૦૦ વસ્તુના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જંતુનાશકો અને ખાતરના ૧૨૨૪ ડિલરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી. 10,000 ક્વિન્ટલથી વધુ જથ્થો અટકાવાયો છે. રાજ્યમાં હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ એટલા મોટા પ્રમાણમાં આવી રહી છે કે ખેડૂતો તેમાં પાલમાલ થઈ રહ્યાં છે.ખેડૂતોની વ્યાપક ફરિયાદો કૃષિ વિભાગને મળી રહી છે. તેથી આટલી વ્યાપક ફરિયાદો પણ દાખલ કરવી પડી છે.

ભેળસેળની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે રજ્યભરમાં ૩૭ ટીમોની રચના કરી હતી આ સ્કવોર્ડ દ્વારા બિયારણ, રાસાણિયક ખાતર અને જંતુનાશક દવાઓના મળી ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની સઘન ચકાસણી કરવામાં આવી છે અને શંકાસ્પદ જણાતા ૫૦૯ નમૂનાઓ મેળવી તેને પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ ચકાસણી દરમિયાન અંદાજે રૂા. ૮૫૪ લાખની કિંમતનો ૧૦,૧૯૮ ક્વિન્ટલ જથ્થો અટકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ કાયદાના ભંગ બદલ ૧૨૨૪ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

બિયારણના ૭ કિસ્સામાં, રાસાયણિક ખાતરના ૩ કિસ્સામાં અને જંતુનાશક દવાના ૨ કિસ્સા મળી કુલ ૧૨ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે રાસાયણિક ખાતરના ૧ કિસ્સામાં પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

બિયારણના વિક્રેતા કૃતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામના શ્રીનાથજી એગ્રો સેન્ટર, કચ્છ- માંડવી તાલુકાના કોડાઇ ગામના હરિ એગ્રો સેન્ટર, વડોદરાના પાદરાની સીયારામ સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ, મોડાસાની ઉમા એગ્રો સીડ્સ, બાયડની જલારામ સીડ્સ કોર્પોરેશન અને મહુધાની કરૂણાસાગર એગ્રો એજન્સી ઉપરાંત બોટાદની બજરંગ એગ્રો એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આજ રીતે બિન પ્રમાણિત ખાતરના વેચાણ-ઉત્પાદન સંદર્ભે થરાદની કિસાન એન્ટરપ્રાઇઝ, વરતેજ ભાવનગરની વેસ્ટર્ન ઇન્ડિયા બોન્સ એન્ડ ફર્ટિલાઇઝર ઉપરાંત નિઝર તાલુકામાં રૂમકી તળાવ ખાતેની શક્તિ ઓટો પાર્ટ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. આ સિવાય રાજકોટ જિલ્લાની મટોડા ગામની આર.એચ.પી. ક્રોપ સાયન્સ પ્રા.લિ. સામે શંકાસ્પદ જંતુનાશક દવા બાબતે અને વેરાવળ શાપરની ક્રિસ્ટલ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.