ભાજપના નેતા દશરથ પટેલ સામે બિલ્ડીંગ કૌભાંડમાં કોઈ પગલાં ન લેવાયા

અમદાવાદ – શહેરના શિવરંજની પાસે વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી  પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલી શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દે એક વર્ષ થયું છતાં કોઈ પગલાં લેવાયા નથી.

લડત સમિતિના સભ્યોએ કોમ્પલેક્ષમાં બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ જશુ પટેલ દ્વારા પાંચમાં  માળે અને ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા લડત ચલાવી હતી.

ભાજપના નેતા દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સોસાયટીના બોગસ સભાસદો ઉભા કરી તેમના નામે ભૂતિયા શેરસર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવાયા હોવાનું ગંભીર કૌભાંડ આચરાયું છે.

બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ તથા અન્યો વિરૂદ્ધ  સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એમ અત્રે શકિત-૨૧ કો.કો.ઓ.હા.સો.લિના અજય મોદી, દેવલ મોદી અને આલાપ મોદીએ 14 ઓગસ્ટ 2018માં જાહેર કર્યું હતું. તેમ છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી.

મંડળીનો વહીવટ બિલ્ડરની ડમી કમીટી દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગના તમામ કોમર્શીયલ યુનિટ્સનું વેચાણ થઇ ગયું છે અને બિલ્ડર દશરથ જશુભાઇ પટેલ દ્વારા સભ્યો પાસેથી ૪૫ ટકા સુપર બિલ્ટઅપ એરિયા પ્રમાણે પૈસા પણ વસૂલી લેવાયા છે. બિલ્ડર દ્વારા હજુ સુધી સોસાયટીનો વહીવટ તેના કાયદેસરના સભ્યોને સોંપ્યો નથી.

ચાર માળની પરવાનગી હોવાછતાં બિલ્ડરે પાંચમા માળે ધાબા-ટેરેસ પર ગેરકાયદેસર ઓફિસ અને બાંધકામ કર્યું છે. ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિગની જગ્યામાં દુકાનો ઉતારી દીધી છે. સમિતિના સભ્યો શાર્દૂલભાઇ, કિરીટ પટેલ, હાર્દિક ગર્ગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

બિલ્ડર ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી ભાજપના નામે દમ મારે છે. બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટે કમીટીને કોઇ કાર્યવાહી સામે સ્ટે ફરમાવ્યો છે પરંતુ જિલ્લા સહકારી રજિસ્ટ્રારે સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ સોસાયટીમાં વહીવટદારની નિમણૂંક કરી દીધી હતી.  બિલ્ડર તરફથી ગાંધીનગર એપેલેટ કોર્ટમાં અપીલ કરી હતી. તેઓ અહીં કોઇ રહેતાં જ નથી.