ભાજપાના નેતાના કૌભાંડ પહેલાં 1200 તળાવોનું 9 હજાર કરોડનું કૌભાંડ પકડાયું હતું

ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે.

ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 8,500 હેકટર જમીનમાં 1,200 તળાવો ખોદી નાંખવામાં આવ્યાં હતાં. રૂ.9,000 કરોડનું જીંગા કૌભાંડ અંગે ભરૂચના મત્સયવિભાગના અધિકારી વી.એસ. ચૌધરીએ ધી કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટી એકટની કલમ 14 મુજબ દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પછી તેમાં કોને સજા થઈ તે અંગે આજ સુધી સત્તાવાળાઓએ જાહેર કર્યું નથી.

ભાજપના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ મૌન બની ગયા હતા.

સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ મૌન ધારણ કરી લીધું હતું. આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે.

જીંગા તળાવ કૌભાંડ બહાર બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં. 200થી વધારે લોકો જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયાં હતાં. ભાજપ તરફથી કોઇ મદદ કરવામાં આવી નથી. જીંગા તળાવમાં થયેલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાંસોટના કોમી રમખાણો માટે જવાબદાર હતો. તેથી ભાજપમાંથી ઘણાં લોકોએ રાજીનામાં આપી દીધા હતા.