ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું

અમદાવાદ,ગુરૂવાર

ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા સોળ દેશો તરફથી ભારત પર દબાણ વધારવામાં આવ્યું ત્યારે ભારતે ખસી જવાનું પસંદ કર્યું છે. ભારતના મેન્યુફેક્ચરર્સ અને ઉત્પાદકોને પણ તેમની મર્યાદાઓની ખબર છે. આ પાર્ટનરશીપ કરવામાં તેઓ એક્સપોઝ થઈ જવાનો તેમને ડર લાગી રહ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ગ્લોબલ કોમ્પિટીટીવ ઇન્ડેક્સમાં ભારત 140 દેશોની યાદીમાં 68માં સ્થાને છે તેથી ભારતના વેપાર-ઉદ્યોગોને તેમની મર્યાદાનો અંદાજ છે.

આયાત ડ્યૂટી ઘટાડવા માટેનું વર્ષ 2014થી બદલીને 2019 કરવાની ભારતની માગણીને રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના 16 દેશો સ્વીકારવા તૈયાર નહોતા. અન્ય દેશમાંથી ભારતમાં આયાત વધી જાય તેવા સંજોગોમાં આપોઆપ જ સેફગાર્ડ ડ્યૂટીની ટ્રીગર ચાલુ થઈ જાય તેવો પણ ભારતનો આગ્રહ હતો. જોકે વિશ્વની 350 કરોડની વસતીને આવરી લેતા 16 દેશના રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં જોડાવાનો ભારત માટેનો રસ્તો હજીય ખુલ્લો જ છે. હા, તેને માટે ભારતે વાજબી માગણી જ મૂકવી પડશે. ભારતનું બજાર મોટું છે અને બધાં દેશોને તેના બજારમાં પ્રવેશવાની ઉત્સુકતા છે તેથી ભારતે આકરી શરતો મૂકી હતી. આ શરતોને સ્વીકારવામાં આવી નથી.

સ્પર્ધાત્મકતાની બાબતમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો ભારત કરતાં જોજનો આગળ છે. આ દેશોના ઉત્પાદનો પર ડ્યૂટી રાખવામાં આવે તો પણ ભારતના ઉત્પાદનોની તુલનાએ તે ખરીદવાનું મોટાભાગના ગ્રાહકો પસંદ કરે તેવી સ્થિતિ છે. વિયેટનામ, ફિલિપાઈન્સ, મલેશિયા જેવા દેશોની નિકાસ પણ અત્યંત ભારત કરતાં વધુ સ્પર્ધાત્મક બની શકે તેમ હતી. ભારતે ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉત્પાદનોના મોરચે સ્પર્ધાનો જે સામનો કરવો પડે તેનાથી મોટો ખતરો જણાતો હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ભારતના ઉદ્યોગો રક્ષણ મેળવીને જ ટકવાને ટેવાયેલા છે. તેમનામાં પણ સ્પર્ધા કરવાની હિમ્મત ઓછી છે. તેમનામાં પોતાની ક્ષમતા વધારી સ્પર્ધાત્મક બનવાની હિમ્મત જ નથી. વાસ્તવમાં નિકાસ વધારવા માટે વધુ સ્પર્ધાત્મક બનવું અનિવાર્ય છે. હરીફનો મુકાબલો કર્યા વિના હારી જવાની માનસિકતા ભારતના ઉદ્યોગોએ આવનારા સમય માટે પણ છોડવી પડશે. સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા કરતાં નિકાસ વધારવી એ અર્થતંત્રને સંગીન ફલક પર લઈ જવા માટે હવે પછીના સમયમાં અનિવાર્ય જરૂરિયાત બની જશે. અન્યથા ભારતીય ગ્રાહકોએ ભારતના ઉદ્યોગો દ્વારા જે આપવામાં આવશે તે સ્વીકારી લેવા સિવાય કોઈ ચારો જ રહેશે નહિ. તેઓ ગમે તેવી ક્વોલિટી અને ઇચ્છે તે ભાવ ચૂકવીને તેમના સામાન ખરીદવાની ભારતના ગ્રાહકોને ફરજ પડશે. ગ્રાહકોને ક્વોલિટી ગુડ્સ મળે તે માટે પણ ભારતે આ પ્રકારનું સાહસ કરવું જોઈએ.

ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેેન્ટ સાથે વિશ્વના બજાર મેળવવા અનિવાર્ય છે. તેના થકી જ માર્કેટ મળશે. હજીય આરસીઈપીમાં જોડાવું હોય તો આ હકીકતને ધ્યાનમાં રાખીને ભારતે બાર્ગેનિંગ કરવાનું રહેશે. અન્યથા ભારત ક્યારેય વિશ્વ સ્તરે સ્પર્ધા કરવાની પાત્રતા કેળવી શકશે નહિ. આ પાત્રતા મેળવવા માટે ભારતે સ્પર્ધાત્મક બનવું જરૂરી છે. દુનિયાની કુલ વસતીના 50 ટકા વસતી એટલે કે અદાજે 350 કરોડની વસતીને આવરી લેતા 16 દેશોમાં વિયેટનામ, ફિલીપાઈન્સ, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ચીન, મલેશિયા અને ન્યુઝીલેન્ડ કરતાં પાછળ છે તે ભારત સરકાર અને ભારતના વેપાર ઉદ્યોગો બંધાં જ જાણે છે.તેથી જ 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તેવી વાત આવી ત્યારે જ તેઓ ફફડી ગયા હતા. તેમણે તેને પરિણામે દેશભરમાં બૂમરાણ મચાવી મૂકી હતી.