ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષે નિધન

ગાંધીનગર, તા. 25
ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા.

દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. દિલીપ પરીખ પ્લાસ્ટિકના વેપારી પણ હતા. 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ હતા. 1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા. અને પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા દિલીપ પરીખ બાપુ સાથે હતા. શંકરસિંહે રાજીનામું આપતા દિલીપ પરીખે રાજ્યના 13મા મુખ્યપ્રધાન બન્યા હતા.

દિલીપ પરીખ ઉંમરના કારણે લાંબા સમયથી રાજકારણમાંથી નિષ્ક્રીય હતા. તેઓ જાહેર જીવનમાં પણ ખાસ જોવા મળતા નહોતા. શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પની સ્થાપના કરી તે સમયે એકાદ વખત તેઓ જોવા મળ્યા હતા અને બાપુને અમારો સહયોગ છે તેવું કહ્યું હતું પરંતુ તેઓ રાજકારણમાં ક્યાંય સક્રિય નહોતા.