મહિલાએ પતિ સામે દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા.3

શહેરના ચાણક્યપુરીમાં રહેતી પરિણીતાને દહેજ માટે પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેમજ પિતા પાસેથી રૂપિયા બે લાખ લાવવાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે ઇન્દિરા સરકારી વસાહતમાં પોતાના પતિ સાથે રહેતા પાર્વતીબેન શૈલેષભાઈ કબીરા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા. 3 ઓક્ટોબરના રોજ બપોરના સમયે પાર્વતીબેન તેના ઘરે હતા ત્યારે તેમનો પતિ શૈલેષ દારૂ પીને આવ્યો હતો. અને તેણે પાર્વતીબેનને કહ્યું હતું કે, તું તારા બાપના ઘરેથી રૂ. બે લાખ લઈ આવ. જેથી પાર્વતીબેને કહ્યું હતું કે, મારા બાપના ઘરે હાલમાં કોઈ પૈસા નથી તમારે જરૂર હોય તો ઉછીના કરી લો. જેથી શૈલેશે તેમને ગાળો આપીને મારઝૂડ કરી હતી. ત્યાર બાદ શૈલેષને તેના સાળાની પત્ની ઉર્મિલા સાથે આડાં સંબંધ હોય મારે તારી જરૂર નથી તેમ કહીને ઘર છોડી ગયો હતો અને પાર્વતીબેનની ભાભી ઉર્મિલા સાથે નાસી ગયો હતો.

આથી પાર્વતીબેને પોતાના પતિ શૈલેષ સામે મારઝૂડ કરીને બે લાખ રૂપિયાના દહેજની માંગણી કરી ત્રાસ આપ્યાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.